ક્રિકેટમાં આંકડા હવે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘણી ટીમો તેનો ઉપયોગ મોટી મેચોમાં તેમના વિરોધીઓ સામે વ્યૂહરચના બનાવવા માટે કરે છે. 27મી જૂને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગયાનામાં આયોજિત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ પહેલા વર્તમાન ટૂર્નામેન્ટ અને મેદાન સંબંધિત કેટલાક ડેટા સામે આવ્યા છે. જો ભારતીય કેપ્ટન રોહિત શર્મા આનો ઉપયોગ કરીને રણનીતિ બનાવે તો ઈંગ્લેન્ડને હરાવવાનું આસાન બની શકે છે.
ક્રિકેટમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે પિચ અને હવામાન અનુસાર કેપ્ટન બેટિંગ અથવા બોલિંગ પસંદ કરે છે. અહીં ગયાનામાં પહેલાથી જ વરસાદની સંભાવના છે, તેથી ટોસ એક મોટું પરિબળ હશે. આ T20 વર્લ્ડ કપમાં કુલ 5 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમોએ 3 મેચ જીતી હતી, જ્યારે રનચેઝ કરતા 2 મેચ જીતી હતી. આ ઉપરાંત, 2022 થી આયોજિત T20 મેચોમાં પ્રથમ બેટિંગ કરીને 9 માંથી 5 જીત હાંસલ કરવામાં આવી છે, જ્યારે રનચેઝ કરતી ટીમ 4 વખત જીતી છે. એટલે કે અહીં રનચેઝ કરવો મુશ્કેલ છે. જો રોહિત શર્મા ટોસ જીતે તો તેણે પહેલા બેટિંગ કરવી જોઈએ.
ગયાના પિચ પર સ્પિનરોનું વર્ચસ્વ છે. 2022 થી અહીં યોજાયેલી T20 મેચોમાં, સ્પિનરોએ કુલ 162 વિકેટ લીધી છે, જેમાં કાંડા સ્પિનરોએ 40 વિકેટ લીધી છે અને ફિંગર સ્પિનરોએ 122 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, કાંડા સ્પિનરોની ઈકોનોમી 6.7 અને ફિંગર સ્પિનર્સની ઈકોનોમી 7 હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજા સૌથી મોટા હથિયાર સાબિત થઈ શકે છે.
ગયાનાના મેદાન પર વર્લ્ડ કપ મેચ દરમિયાન પાવરપ્લેમાં માત્ર 6.4ની એવરેજથી રન બનાવ્યા હતા. જ્યારે મધ્ય ઓવરોમાં આ સરેરાશ ઘટીને 5.5 થઈ જાય છે, જ્યારે ડેથ ઓવરોમાં પણ માત્ર 7.6ની સરેરાશથી રન બને છે. આ સમયગાળા દરમિયાન પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 146 રહ્યો હતો. ઓવર દીઠ રનની સરેરાશ 6.20 હતી.
જ્યારે 2022 થી રમાયેલી T20 મેચોમાં પાવરપ્લે અને મિડલ ઓવરોમાં માત્ર 7.3 રન પ્રતિ ઓવરમાં જ બન્યા છે, જ્યારે છેલ્લી પાંચ ઓવરમાં પ્રતિ ઓવર 11 રનના દરે રન બનાવાયા છે. આ આંકડાઓને જોતા અંદાજ લગાવી શકાય છે કે સેમીફાઈનલમાં લો સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. એટલે કે જો ટીમ ઈન્ડિયા 160ની આસપાસ સ્કોર કરે છે તો ઈંગ્લેન્ડને ચેઝ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો: IND vs ENG : રોહિત શર્મા સેમીફાઈનલમાં ટીમમાં કરશે બદલાવ ? આ હશે ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11!