શું વિરાટ કોહલીના ખરાબ ફોર્મ માટે રવિ શાસ્ત્રી જવાબદાર? પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરનો બફાટ
Cricket : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નું ખરાબ ફોર્મ નવેમ્બર 2019 થી ચાલુ છે. ત્યારથી વિરાટ એક પણ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી શક્યો નથી. જાણો પૂર્વ પાકિસ્તાની કેપ્ટને (Pakistan Cricket) આના પર શું કહ્યું...
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લા કેટલાક મહિનાઓથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેનું આ ખરાબ ફોર્મ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સીઝનમાં પણ જોવા મળ્યું હતું. વિરાટ કોહલીએ બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી નથી. તમામ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાંતો કોહલી પાસેથી સારા ફોર્મની અપેક્ષા રાખી રહ્યું છે. ત્યારે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં કોહલી પોતાનું ફોર્મ પરત મેળવવા માંગશે.
વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર ક્રિકેટના ઘણા દિગ્ગજોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. ત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફ (Rashid Latif) નું નામ પણ જોડાયું છે. પરંતુ લતીફે કોહલીના ખરાબ ફોર્મને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે.
પુર્વ પાકિસ્તાની ક્રિકેટર રાશિદ લતીફનું માનવું છે કે, પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) ના કારણે કોહલી આ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. લતીફે એક યુટ્યુબ ચેનલ પર આ વાત કહી હતી. વાસ્તવમાં ખરાબ ફોર્મના કારણે રવિ શાસ્ત્રીએ કોહલીને બ્રેક લેવાની સલાહ આપી હતી. આ અંગે પૂર્વ પાકિસ્તાની વિકેટકીપર બેટરને આ અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.
રવિ શાસ્ત્રીને કોચિંગ સાથે કઇ જ લેવા-દેવા ન હતા
આ પ્રશ્નના જવાબમાં રાશિદ લતીફે કહ્યું, ‘આ બધું તેમના (રવિ શાસ્ત્રી) કારણે થયું છે.’ આના પર લતીફે વધુમાં કહ્યું, ‘2019માં તમે અનિલ કુંબલે જેવા ખેલાડીને દુર કરીને રવિ શાસ્ત્રીને કોચ બનાવો છો. મને ખબર નથી કે તેની પાસે માન્યતા હતી કે નહીં. તે (રવિ શાસ્ત્રી) કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યા હતા. તેને કોચિંગ સાથે કોઈ લેવાદેવા ન હતા.
રાશિદ લતીફે કહ્યું, ‘મને નથી લાગતું કે વિરાટ કોહલી સિવાય રવિ શાસ્ત્રીને લાવવામાં અન્ય કોઈની ભૂમિકા હશે. પરંતુ હવે આ દાવ ઉલટો પડી રહ્યો છે. જો તે (રવિ શાસ્ત્રી) કોચ ન બન્યો હોત તો તે (કોહલી) ખરાબ ફોર્મમાં ન રહ્યો હોત.
2017 માં રવિ શાસ્ત્રીને ફુલ ટાઇમ કોચ બનાવવામાં આવ્યો
તમને જણાવી દઈએ કે રવિ શાસ્ત્રી 2014માં પહેલીવાર ટીમ ઈન્ડિયા સાથે ડિરેક્ટર તરીકે જોડાયેલા હતા. આ દરમિયાન તેમનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2016 સુધીનો હતો. આ પછી અનિલ કુંબલેને એક વર્ષ માટે કોચ બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય ટીમની હાર બાદ રવિ શાસ્ત્રીને પૂર્ણ સમયના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રવિ શાસ્ત્રીના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ શ્રેણી જીતી હતી.
રવિ શાસ્ત્રીના કોચ પદ હેઠળ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધીની સફર કરી. જોકે, શાસ્ત્રીના કોચિંગ હેઠળ ભારત અત્યાર સુધી ICC ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી. જેના કારણે BCCI માં નારાજગી છે. જોકે રવિ શાસ્ત્રી પોતાનો કોચ પદનો કરાર આગળ વધારવા માટે તૈયાર ન હતા. કોચ તરીકે શાસ્ત્રીનો કેપ્ટન વિરાટ કોહલી સાથે સારો સંબંધ રહ્યો છે.