IND VS LEI: રોહિત શર્મા અને વિરાટ કોહલી જ્યાં નિષ્ફળ રહ્યા, તે પિચ પર ઈંગ્લીશ બોલરો સામે શ્રીકર ભરતે કર્યુ શાનદાર પ્રદર્શન
શ્રીકર ભરતે વોર્મ (Srikar Bharat) અપ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. પહેલા દિવસે અણનમ 70 રન બનાવ્યા હતા. જે પીચ પર રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર જેવા બેટ્સમેન રમ્યા નહોતા ત્યાં ભરતે પોતાની તાકાત બતાવી.
એજબેસ્ટન ટેસ્ટની નક્કર તૈયારીઓ માટે ભારતીય ટીમ (Indian Cricket Team) લેસ્ટરશાયર સામે વોર્મ-અપ મેચ રમી રહી છે. જો કે આ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયા ની તૈયારીઓનો પર્દાફાશ થયો હતો. વોર્મ-અપ મેચમાં ભારતીય ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો હતો. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) થી લઈને શુભમન ગિલ, શ્રેયસ અય્યરથી લઈને હનુમા વિહારી સુધી કોઈ પણ પોતાનો કમાલ બતાવી શક્યું નથી. જાડેજા પણ ફ્લોપ રહ્યો હતો અને વિરાટ કોહલીએ પણ સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી હતી. પરંતુ આ ખેલાડીઓને હાલમાં જ ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા વિકેટકીપર-બેટ્સમેન શ્રીકર ભરતે (Srikar Bharat) અરીસો બતાવ્યો હતો. વોર્મ-અપ મેચના પહેલા દિવસે ભરતે અણનમ 70 રન બનાવ્યા હતા.
ભરતે કર્યો કમાલ
શ્રીકર ભરત જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાની પાંચ વિકેટ પડી ગઈ હતી. ભરતે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને જવાબદારી સંભાળી લીધી હતી અને બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. શ્રીકર ભરતે પહેલા ક્રીઝ પર પગ મૂક્યો અને પીચના મૂડને સમજ્યો. તે ઘણો મોડો બોલને રમતા જોવા મળ્યો, જેના કારણે તેને ફાયદો થયો. સેટ થયા બાદ શ્રીકર ભરતે તેની અડધી સદી પૂરી કરી હતી અને તેણે આ ઇનિંગમાં 8 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જો કે શ્રીકર ભરતની આ ઈનિંગ તેને કેટલો ફાયદો આપશે તે કોઈ જાણતું નથી. કારણ કે આ ખેલાડી માટે એજબેસ્ટન ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે.
શ્રીકર ભરતે જે પ્રકારની બેટિંગ કરી છે તેને જોતા તેને એજબેસ્ટન ટેસ્ટમાં તક આપવાનું વિચારવું જોઈએ. વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના મોટાભાગના બેટ્સમેન ફોર્મમાં નથી. રોહિત, વિરાટ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત બધા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોઈ રન બનાવનાર ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે તો તેનાથી ટીમને જ ફાયદો થશે.
મોટા ખેલાડીઓ જ ઝડપથી પેવેલિયન પરત ફર્યા
વોર્મ-અપ મેચમાં ભારતીય ટીમના મોટા નામ લેસ્ટરશાયરના બિનઅનુભવી બોલરોની સામે નિષ્ફળ સાબિત થયા હતા. શુભમન ગિલ 21, રોહિત શર્મા 25 રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ અય્યર ખાતું ખોલાવી શક્યો નહોતો. હનુમા વિહારી માત્ર 3 રન બનાવી શક્યો હતો. રવિન્દ્ર જાડેજાએ માત્ર 13 રન અને શાર્દુલ ઠાકુરે 6 રનની ઇનિંગ રમી હતી.
ઉમેશ યાદવે 23 અને મોહમ્મદ શમીએ અણનમ 18 રન બનાવી ટીમ ઈન્ડિયાને પહેલા દિવસે 246 રન સુધી પહોંચાડી દીધી હતી. લેસ્ટરશાયર માટે મધ્યમ ઝડપી બોલર રોમન વોકરે માત્ર 23 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ ખેલાડીએ અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ મેચ રમી નથી પરંતુ વોકર ભારતીય બેટ્સમેનોને પરેશાન કરતો જોવા મળ્યો હતો.