ભારત સામે શરમજનક હાર બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આકરા પાણીએ, કહ્યુ 5 દિવસમાં રિપોર્ટ રજૂ કરો
ભારત અને શ્રીલંકા વચ્ચે તિરુવનંતપુરમમાં રવિવારે રમાયેલી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાનો 317 રનથી ઐતિહાસિક વિજય થયો હતો. શ્રીલંકન ટીમ પ્રવાસની અંતિમ મેચમાં શરમજનક હાર સાથે પરત ફરી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે 3 મેચોની સિરીઝની અંતિમ વનડે રમાઈ હતી. ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલ અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સદી નોંધાવી હતી. આ સદીની મદદ થી ભારતે 390 રનનો સ્કોર ખડક્યો હતો. જેની સામે 73 રનમાં જ શ્રીલંકન ટીમ સમેટાઈ ગઈ હતી. જોકે શ્રીલંકન ટીમનો એક ખેલાડી ઈજાને લઈ મેદાનમાં બેટિંગ કરવા માટે ઉતરી શક્યો નહોતો. શ્રીલંકાએ 317 રનથી શરમજનક હાર ભારત સામે મેળવી હતી.
ભારતીય ટીમના બેટ્સમેનોએ સારી શરુઆત સાથે જ વિશાળ લક્ષ્ય ખડકવાનો પાયો ટોસ જીતીને બેટિંગ કરતા રચ્યો હતો. જવાબમાં સ્કોરનો પિછો કરવા માટે ક્રિઝ પર ઉતરેલા શ્રીલંકન બેટ્સમેનોની વિકેટ ટપોટપ પડવા લાગી હતી. આમ 22 ઓવરમાં જ શ્રીલંકન ટીમનો દાવ સમેટાઈ ગયો હતો. હવે શ્રીલંક બોર્ડ ટીમના પ્રદર્શનને લઈ ખફા છે. શરમજનક હાર પર રિપોર્ટ માંગ્યો છે.
કોચ અને કેપ્ટન રજૂ કરશે હારના કારણો
શ્રીલંકન ક્રિકેટ બોર્ડ (SLC) ટીમના પ્રદર્શન સામે લાલઘૂમ છે. ટીમ સ્વદેશ પરત ફરતા જ હવે બોર્ડે રિપોર્ટ રજૂ કરવા માટેનુ ફરફરીયુ પકડાવી દીધુ છે. જે મુજબ હવે ટીમના કોચ અને કેપ્ટને હારના કારણો સવિસ્તાર રજૂ કરવા પડશે. આ માટે શ્રીલંકા ક્રિકેટે ટીમ મેનેજરને બોલાવીને રિપોર્ટ માંગ્યો છે. શ્રીલંકા ક્રિકેટે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે, “શ્રીલંકા ક્રિકેટે રાષ્ટ્રીય ટીમના મેનેજરને ભારત સામેની હાર અંગે રિપોર્ટ સોંપવા કહ્યું છે. આ રિપોર્ટમાં કેપ્ટન, મુખ્ય કોચ અને પસંદગી સમિતિ તેમજ ટીમ મેનેજરના મંતવ્યો સામેલ હશે. SLC એ મેનેજરને પાંચ દિવસમાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું છે.”
નિવેદનમાં આગળ લખવામાં આવ્યું છે કે, “બોર્ડ આ લોકો પાસેથી સમજવા માંગશે કે છેલ્લી ODIમાં ટીમ ઈન્ડિયા સામે ખરાબ પ્રદર્શન પાછળનું કારણ શું છે.”
Sri Lanka Cricket (SLC) has directed the Manager of the National Team to submit a report pertaining to Sri Lanka’s heavy defeat faced against India in the 3rd ODI, which was played on the 15th January 2023 at Thiruvananthapuram.https://t.co/2HuuJCNJW8#INDvSL #SLC
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) January 16, 2023
શ્રીલંકાએ પ્રવાસમાં માત્ર એક જ જીત મેળવી
ભારત પ્રવાસે આવેલી શ્રીલંકન ટીમનુ પ્રદર્શન ભારત સામે ખરાબ રહ્યુ હતુ. ટીમ ઈન્ડિયાએ બોલિંગ અને બેટિંગ બંને રીતે પોતાનો દમ બતાવી પ્રવાસી ટીમને વ્હાઈટ બોલ બંને સિરીઝમાં હાર આપી હતી. ટી20 શ્રેણી ભારતે 2-1 થી અને વનડે સિરીઝ 3-0 થી જીતી હતી. આમ માત્ર એક જ મેચમાં પ્રવાસ દરમિયાન જીત મેળવી શ્રીલંકાએ સંતોષ માનવો પડ્યો હતો. જેની સામે 5 મેચોમાં હાર થઈ હતી.