ચટગાંવમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ચટગાંવ ટેસ્ટમાં શુક્રવારે એક જ દિવસમાં ભારતીય ટીમના બે ક્રિકેટરોએ બે સદી નોંધાવી હતી. શુભમન ગિલે પોતાના કરિયરની પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી હતી, જ્યારે ચેતેશ્વર પુજારાએ કારકિર્દીની 19મી સદી નોંધાવી હતી. બંનેની સદીને લઈ ભારતે ત્રીજા દીવસની રમતમાં જ બાંગ્લાદેશ સામે મોટુ લક્ષ્ય ખડકી દીધુ હતુ. સવાલ એ પણ થતો હશે કે, ભારત માટે ટેસ્ટ સદી સૌ પ્રથમ કયા ખેલાડીએ જમાવી હશે. આ વાત નો પણ જવાબ અહીં આપીશુ. ભારત માટે નોંધાયેલી પ્રથમ સદીની તારીખ પણ 17 ડિસેમ્બર જ છે.
ટેસ્ટ ક્રિકેટમાં કોઈ ભારતીય ક્રિકેટરે પ્રથમ સદી નોંધાવી હોય એ વાતને કેવી રીતે ભૂલી શકાય. કારણ કે ભારત માટે એ પળ સુવર્ણ અક્ષરે લખાઈ ચુકી છે. એ સદી નોંધાવનાર ક્રિકેટર ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનો પૈકી એક માનવામાં આવે છે. આ કમાલ ભારતીય દિગ્ગજ ક્રિકેટર લાલા અમરનાથે ઈંગ્લેન્ડ સામે કર્યો હતો. વાત છે. 1933ની મુંબઈમાં રમાયેલી ભારત અને ઈંગ્લેડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન માત્ર 117 મિનીટનો સમય લઈ આ સદી નોંધાવી હતી.
મુંબઈમાં રમાયેલી એ ટેસ્ટ મેચમાં ભારતની સ્થિતી મુશ્કેલ હતી. પ્રથમ ઈનીંગમાં ભારતે પહેલા બેટિંગ કરતા 219 રન નોંધાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનીંગમાં બેટિંગ કરતા ભારત સામે 219 રનીની લીડ મેળવી હતી. એટલે કે ભારત સામે પ્રથમ ઈનીંગમાં ઈંગ્લેન્ડે 438 રન નોંધાવ્યા હતા. આવી સ્થિતીમાં ભારત માટે સ્થિતી મુશ્કેલ બની હતી અને આ દરમિયાન લાલા અમરનાથે સદી નોંધાવી હતી.
લાલા અમરનાથ જ્યારે ક્રિઝ પર આવ્યા ત્યારે ભારતે માત્ર 21 રનમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. મક્કમતા પૂર્વકની લડાઈ લડવાની શરુઆત કરીને તેઓ બેટથી રન નિકાળતા ગયા અને હવે પરેશાની અંગ્રેજ ખેલાડીઓ પર વધવા લાગી હતી. પહેલા અડધી અને બાદમાં પુરી સદી વટાવી લીધી હતી. 117 મીનીટમાં તેમની આ સદી નોંધાઈ હતી. આ મેચમાં તેઓએ 21 ચોગ્ગા ફટકારી 118 રન નોંધાવ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી નોંધાવનાર લાલા અમરનાથ માટે આ ડેબ્યૂ મેચ હતી. આમ તે ડેબ્યૂ મેચમાં પણ સદી નોંધાવનારા પ્રથમ ભારતીય બેટ્સમેન નોંધાયા હતા. લાલા અમરનાથે સીકે નાયડૂ સાથે મળીને 186 રનની ભાગીદારી રમત નોંધાવી હતી. સીકે નાયડૂએ અડધી સદી નોંધાવી હતી. તેઓએ 67 રનનુ યોગદાન આપ્યુ હતુ. ભારતે આ મેચમાં ઈંગ્લેન્ડ સામે 40 રનનુ આસાન લક્ષ્ય રાખ્યુ હતુ અને જે ઈંગ્લીશ ટીમે સરળતાથી પુરુ કરી લઈ જીત મેળવી હતી.
આ સદી અંગે અમરનાથે પાછળથી કહ્યું કે આ તેની સર્વશ્રેષ્ઠ સદી હતી. આ સદી કર્યા બાદ તેમને સોના અને ચાંદીનો કપ મળ્યો. આ સાથે ઈનામ તરીકે પૈસા પણ મળ્યા હતા. આ સદી બાદ બે દર્શકો અમરનાથને ફુલહાર કરવા માટે મેદાનમાં દોડી આવ્યા હતા. ત્યારબાદ નાયડુએ તેમને ભગાડ્યા હતા. આ સમયે બોલ ફેંકવામાં આવ્યો હતો અને વિકેટકીપર હેરી ઇલિયટ તેને આઉટ કરવા માંગતો હતો પરંતુ ડગ્લાસ જાર્ડિને તેને ના પાડી હતી.
વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી નોંધાવનાર ખેલાડીઓ ભારતીય છે. પહેલા તો સચિન તેંડુલકર જેણે ભારત વતી 100 આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી છે. ત્યાર બાદ બીજા નંબરે સૌથી વધુ નોંધાવનાર ખેલાડી પણ ભારતીય છે, જેનુ નામ છે વિરાટ કોહલી. હાલમાં તે 72 આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી ચુક્યો છે. હજુ તે કેટલાક વર્ષો સુધી ક્રિકેટ રમનારો છે.