IPL 2023: CSK અને LSG ને લાગ્યો ઝટકો, આ બે ખેલાડીઓ ઈજાને લઈ થઈ શકે છે બહાર
IPL 2023 ની શરુઆત પહેલા અનેક ટીમોને ઈજાને લઈ ખેલાડીઓ બહાર રહેવાની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના એક એક ખેલાડી બહાર થવાની સંભાવનાઓ લાગી રહી છે.
આગામી સપ્તાહથી IPL 2023 ની શરુઆત થનારી છે. આ સાથે જ આતુરતાનો અંત થનારો છે. IPL 2023 ની શરુઆત પહેલા જ કેટલીક ટીમનો ખેલાડીઓની ઉપલબ્ધતાને લઈ ચિંતા સતાવી રહી છે. હાલમાં રોજ કોઈના કોઈ ખેલાડીને લઈ ચિંતા જગાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના ખેલાડીઓ ઈજાને લઈ ટૂર્નામેન્ટથી દૂર થઈ શકે છે. ચેન્નાઈની ટીમનો મુકેશ ચૌધરી અને લખનૌની ટીમનો મોહસીન ખાન ઈજાને લઈ ટૂર્નામેન્ટમાં નહી રમે તેવી સંભાવનાઓ છે.
IPL 2023 ની સિઝન શરુ થવાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે, એમ એમ ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી પણ લાંબી થતી જઈ રહી છે. હવે આ યાદીમાં ચેન્નાઈ અને લખનૌના ખેલાડીના નામ જોડાયા છે. બંને ખેલાડીઓ લેફ્ટ આર્મ પેસર છે અને બંનેએ ગત સિઝનમાં જ આઈપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ અને બીજી સિઝનમાં તેઓ બહાર રહેવા મજબૂર બની શકે છે.
ગત સિઝનમાં ડેબ્યૂ
મુકેશ અને મોહસીને ગત સિઝનમાં જ આઈપીએલ ડેબ્યૂ કર્યુ હતુ. મોહસીન ખાને લખનૌ સુપર જાયન્ટ્સ અને મુકેશ ચૌધરીએ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડેબ્યૂ કર્યુ હતુ. ચેન્નાઈના CEO કાશી વિશ્વનાથને પહેલા જ આ વાતની પુષ્ટી કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સનુસાર તેઓએ બતાવ્યુ હતુ કે,અમે મુકેશ ચૌધરીની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ અમને તેને લઈ વધારે આશા લાગી રહી નથી. મુકેશ અમારા માટે ગત સિઝનમાં મહત્વપૂર્ણ બોલર રહ્યો હતો. જો તે આ સિઝન નથી રમી શકતો તો એ અમારા માટે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હશે.
CSK નો મુકેશ હાલ NCA માં
ગત સિઝનમાં મુકેશ ચૌધરી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો મહત્વનો બોલર રહ્યો હતો. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈની ટીમ વતી તે, 13 મેચો રમીને 16 વિકેટ ઝડપી ચુક્યો છે. મુકેશ 7 વર્ષથી ઘરેલુ ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે અને તે અત્યાર સુધીમાં 13 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી ચુક્યો છે. મુકેશ ચૌધરી હાલમાં નેશનલ ક્રિકેટ એકડમીમાં છે. જ્યાં તે બેંગ્લુરુમાં ઈજા બાદ રિહૈબથી પસાર થઈ રહ્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સનો મોહસીન ખાન પણ ગત સિઝનમાં પ્રભાવિત કરનારા ખેલાડીઓની યાદીમાં સામેલ રહ્યો હતો. મોહસીને ગત સિઝનમાં 9 મેચ રમીને 14 વિકેટ ઝડપી હતી. મોહસીનની ઈકોનોમી રેટ પણ ઓછી રહી હતી. લખનૌને પ્લેઓફ સુધીની સફર કરાવવામાં મોહસનીની ભૂમિકા મહત્વની રહી હતી.