IPL 2023: રવિન્દ્ર જાડેજા ના CSK સાથે બગડેલા સંબંધો કોણે અને કેવી રીતે સુધાર્યા? જાણો
IPL ની ગત સિઝનમાં રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે નજર આવ્યો હતો. પરંતુ અધવચ્ચે જ મહેન્દ્ર સિંહ ધોની ફરીથી કેપ્ટનશિપ નિભાવતો નજર આવ્યો હતો. જાડેજાના એકસમયે CSK સાથે સંબંધો પૂર્ણવિરામ લાગ્યાનુ માનવામાં આવી રહ્યુ હતુ.
ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023 માં પોતાના અભિયાનની શરુઆત ગુજરાત ટાઈટન્સ સામેની ટક્કર સાથે કરશે. IPL 2023 ની શરુઆતની પ્રથમ મેચમાં જ ચેન્નાઈ અને ગુજરાત બંને આમને સામને થશે. ચેન્નાઈની આગેવાની મહેન્દ્રસિંહ ધોની કરી રહ્યો છે. ગત સિઝનમાં ચેન્નાઈનુ સુકાન બદલાયેલુ પ્રથમ વાર જોવા મળ્યુ હતુ અને રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશિપ સોંપાઈ હતી. આમ ધોનીના બદલે જાડેજાની કેપ્ટનશિપમાં ચેન્નાઈની સફર ગત સિઝનમાં ખરાબ રહી હતી અને અધવચ્ચે જ ધોનીએ ફરી કેપ્ટનશિપ સંભાળી હતી.
આ દરમિયાન જાડેજા અને ચેન્નાઈની ટીમની વચ્ચે સંબંધોમાં ખટાશ સર્જાઈ હતી. જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની તસ્વીરોને પણ દૂર કરી દીધી હતી. જોકે એ વખતે એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, જાડેજા ચેન્નાઈથી અલગ થઈ રહ્યો છે. જોકે જાડેજા ચેન્નાઈની ટીમ સાથે જ જોવા મળ્યો. હાલ અભ્યાસ સત્ર દરમિયાન પણ જાડેજા ચેન્નાઈમાં ધોની સાથે મળીને ફરી એકવાર ટીમને ચેમ્પિયન બનાવવા માટેની તૈયારીઓમાં લાગ્યો છે. આમ હવે જાડેજાની નારાજગી દૂર કેવી રીતે થઈ ગઈ એ પણ એક ચર્ચા બની રહી છે.
ધોનીએ સમજાવ્યો રવિન્દ્ર જાડેજાને?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા વચ્ચેનો લાંબા સંબંધ તૂટ્યા બાદ ફરી જોડાઈ ગયો. આ જોડવાનુ કામ કોણે કર્યુ હોય એ જવાબ પણ સૌના દિમાગમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહેન્દ્રસિંહ ધોનીએ જ તેની સાથે લાંબી વાતચિત કરીને મામલાને ઉકેલવા અને ફરીથી સંબંધોને જોડવાનુ કામ કર્યુ હતુ. ધોની અને જાડેજા વચ્ચે લાંબી વાતચિતો કર્યા બાદ ચેન્નાઈ ટીમના CEO કાશી વિશ્વનાથ સાથે સામ સામે બેઠક યોજીને તમામ ગેરસમજોને દૂર કરવામાં આવી હતી. વિશ્વનાથે બતાવ્યુ હતુ કે, વાતચિત દ્વારા ટીમ અને જાડેજા બંને સંતુષ્ટ થયા છે.
શેને લઈ નારાજ હતો જાડેજા?
રવિન્દ્ર જાડેજા કયા કારણથી નારાજ થયો હતો એ કારણો અનેક વાર ચર્ચામાં રહ્યા છે. જોકે રિપોર્ટ્સ મુજબ માનીએ તો જાડેજા પોતાની કેપ્ટનશિપ અને ફોર્મને લઈ નારાજ હતો. આ ઉપરાંત તેની કેપ્ટનશિપ પર ધોનીનુ નિવેદન પણ ખાસ પસંદ નહોતુ આવ્યુ. ધોનીએ એ વખતે કહ્યુ હતુ કે, જાડેજા કેપ્ટનશિપના દબાણમાં આવ્યો છે અને જેની અસર તેની રમત પર જોવા મળી રહી છે. જોકે હવે રવિન્દ્ર જાડેજાને ખુદ માહીએ જ સમજાવ્યો છે. હવે ધોની સમજાવે તો સ્વભાવિક જ છે કે તે સમજવાનો જ છે.