IPL 2022: આઈપીએલમાં હવે બેટિંગ સરળ નથી, પીચો ધીમી પડી રહી છે, આ છે મોટું કારણ
IPL 2022: આ વખતે લીગ રાઉન્ડની કુલ 70 મેચો રમવાની છે. અત્યાર સુધી 60 મેચ રમાઈ ગઇ છે. કોરોનાના કારણે BCCI દ્વારા માત્ર 4 સ્થળો પર મેચો યોજવામાં આવી રહી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની વાત કરીએ તો પહેલીવાર 2 નવી ટીમોને તક આપવામાં આવી હતી. કુલ 74 મેચો રમાવાની છે અને અત્યાર સુધીમાં 60 મેચ રમાઈ ચૂકી છે. એટલે કે ટુર્નામેન્ટ હવે અંત તરફ છે. લીગ રાઉન્ડની 70 મેચ મુંબઈ અને પુણેના 4 સ્થળો પર રમાઈ રહી છે. કોરોનાને કારણે આ નિર્ણય BCCI દ્વારા લેવામાં આવ્યો હતો. જેથી ખેલાડીઓ બાયો બબલ સાથે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે.
IPLની શરૂઆતની મેચોની વાત કરીએ તો દરેક ટીમ ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરતી હતી અને તેમને જીત મળી રહી હતી. પરંતુ જો લીગની છેલ્લી 10 મેચ પર નજર કરીએ તો પરિણામ સાવ વિપરીત જ આવી રહ્યું છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે 10માંથી 7 મેચ જીતી છે. આ દરમિયાન ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમો 5 વખત 125 અથવા તેનાથી ઓછા રનમાં આઉટ થઈ ગઈ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે પીચ ધીમી પડી ગઈ છે અને હવે બેટિંગ કોઈપણ ટીમ માટે આસાન નથી.
2 સ્થળ પર રમાવાની છે 20-20 મેચ
લીગ રાઉન્ડની 70 મેચો 4 સ્થળોએ રમાઈ રહી છે. મુંબઈના વાનખેડે અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20-20 મેચો રમાવાની છે. તે જ સમયે બ્રેબોન અને પૂણેમાં 15-15 મેચો રમાવાની છે. એક જ સ્થળ પર આટલી બધી મેચો હોવાથી પીચ પર અસર થવી સ્વાભાવિક છે. અગાઉ દરેક ટીમ અવે અને હોમ પ્રમાણે મેચ રમતી હતી. આવી સ્થિતિમાં એક જ સ્થળે 7 મેચ યોજાઈ હતી. આ ઉપરાંત પ્લેઓફની 4 મેચ પણ અલગ-અલગ મેદાનો પર યોજાઈ હતી.
અગાઉ IPL 2020ની આખી સિઝન યુએઈમાં 3 સ્થળોએ યોજવામાં આવી હતી. અહીં પણ છેલ્લા રાઉન્ડ દરમિયાન પીચ ધીમી પડી હતી. ધીમી પીચનો અર્થ એ છે કે સ્પિન બોલરોને વધુ મદદ મળશે. વર્તમાન સિઝનની પ્લેઓફ મેચો કોલકાતા અને અમદાવાદમાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થઈ હતી. 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઈટન્સની ટીમ જ પ્લેઓફમાં પહોંચી શકી છે. 3 અન્ય ટીમો નક્કી થવાની બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.