IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સે ગુજરાત વતી રમતા રાજકોટના આ ક્રિકેટરને ટીમમાં સમાવ્યો, ઘરેલુ ક્રિકેટમાં દેખાડી ચુક્યો છે દમ
IPL 2021 ના બીજા તબક્કાની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) એ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નો સામનો કરવો પડશે. તે પહેલા મુંબઇએ નવા ખેલાડી તરીકે રાજકોટમાં જન્મેલા અને ગુજરાત વતી રમતા ક્રિકેટરનો સમાવેશ કર્યો છે.
IPL 2021 નો બીજો તબક્કો રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આ તબક્કાની પ્રથમ મેચમાં વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) નો સામનો ત્રણ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે થશે. પરંતુ આ મેચ પહેલા પણ મુંબઈએ પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. ટીમે ડાબા હાથના ઝડપી બોલર મોહસીન ખાન (Mohsin Khan) ની જગ્યાએ અન્ય ઝડપી બોલર રોશ કાલરીયા (Roosh Kalaria) નો સમાવેશ કર્યો છે. IPL એ પોતાની વેબસાઈટ દ્વારા આ માહિતી આપી છે.
મોહસીન કરતા રોશ કાલરીયા ઘણો વધારે અનુભવી છે. રોશ 2012 થી ગુજરાતની ટીમ માટે રમે છે. ઉત્તર પ્રદેશનો મોહસીન અત્યાર સુધી એક ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. આ સાથે જ 14 લિસ્ટ-એ અને 23 ટી 20 મેચ તેના નામે છે. આમાં તેણે અનુક્રમે 8, 76 અને 52 વિકેટ લીધી છે.
બીજી બાજુ, જો આપણે રોશની કારકિર્દી પર નજર કરીએ તો, તેણે ગુજરાત માટે અત્યાર સુધીમાં 54 પ્રથમ કક્ષાની મેચ રમી છે જેમાં તેણે 168 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે 46 લિસ્ટ-એ મેચમાં 66 વિકેટ લીધી છે. તેણે 31 ટી 20 મેચમાં 37 વિકેટ લીધી છે. મુંબઈ રોશ બેટથી પણ કમાલ કરી શકે છે. તેણે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી છે. તેણે પોતાનો સર્વોચ્ચ સ્કોર 118 રન બનાવ્યો છે.
રાજકોટ (Rajkot) માં જન્મેલ 28 વર્ષીય રોશે 2019 ની રણજી ટ્રોફી સીઝનમાં કેરળ સામે ક્વાર્ટર ફાઇનલમાં હેટ્રિક લીધી હતી. 2019 ની રણજી ટ્રોફી સીઝનમાં કેરળ સામે ક્વાર્ટર ફાઇનલમાં હેટ્રિક લીધી હતી. રોશે 2012 માં મધ્યપ્રદેશ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે, તેણે સૌરાષ્ટ્ર સામે લિસ્ટ-એમાં પ્રવેશ કર્યો હતો. તે 2018-19 રણજી ટ્રોફી સિઝનમાં ગુજરાત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે આઠ મેચમાં 27 વિકેટ લીધી હતી. રોશે 2020 માં ગોવા સામે અણનમ 118 રનની ઇનિંગ રમી હતી.
ટાઇટલ હેટ્રિક માટે મુંબઈ પ્રયાસ કરી રહ્યું છે.
મુંબઈ જ્યારે રવિવારે ચેન્નાઈ સામે બીજા તબક્કાના અભિયાન શરૂ કરશે, ત્યારે આઈપીએલમાં હેટ્રિક મેળવવા તત્પર રહેશે. મુંબઈએ 2019 અને 2020 માં IPL ખિતાબ જીત્યો. આ વખતે પણ તે ટાઇટલ માટે દાવેદાર છે. આઈપીએલના પહેલા તબક્કામાં મુંબઈએ સાત મેચ રમી અને ચાર જીતી, જ્યારે ત્રણ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના મિડલ ઓર્ડરને ચેન્નઈ સામે સારા પ્રદર્શનની જરૂર છે અને તેમના બોલરોએ પણ પાવરપ્લેમાં વધુ સારું રમવું પડશે.
સુકાની રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. જ્યારે સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને લેગ સ્પિનર રાહુલ ચાહર વિશ્વકપ ટીમમાં સ્થાન મેળવવા માટે આત્મવિશ્વાસથી ભરપૂર હશે. હાર્દિક પંડ્યા પણ નિયમિત બોલિંગ કરે તેવી અપેક્ષા છે, જેનાથી ભારતને ICC ટૂર્નામેન્ટ માટે વધુ વિકલ્પો મળશે. પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો કેટલાક ખેલાડીઓને પરત ખેંચવાથી પ્રભાવિત થઈ છે. તેના અન્ય ખેલાડીઓએ તેની ભરપાઈ કરવી પડશે.