IND vs IRE: હાર્દિક પંડ્યાની આગેવાનીમાં આયરલેન્ડનો પ્રવાસ ખેડનારી ટીમ સાથે ચેતન શર્મા પણ જશે, આ ચીજો પર રાખશે નજર!
ટીમ ઈન્ડિયા જૂન માસના અંતિમ સપ્તાહમાં આયર્લેન્ડ (India vs Ireland) સામે બે ટી20 મેચની શ્રેણી રમનાર છે. જેની પ્રથમ મેચ 26મી જૂને રમાનાર છે, જ્યારે બીજી મેચ 28 જૂને રમાનાર છે.
ટીમ ઈન્ડિયા આગામી સપ્તાહે આયર્લેન્ડના પ્રવાસે પહોંચશે. ભારતીય ટીમ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની આગેવાનીમાં આયર્લેન્ડ સામે ટી20 સિરીઝ રમનારી છે. સિરીઝ 2 ટી20 મેચની છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા પણ ભારતીય ખેલાડીઓ પર બારીકાઈથી નજર દાખવશે. તેઓ પણ ટીમ ઈન્ડિયા સાથે આયર્લેન્ડના પ્રવાસે જનાર છે. જ્યાં તેઓ ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને નજીકથી વિદેશની ધરતી પર નિરીક્ષણ કરશે. આ માટે એવી પણ અટકળો સામે આવી રહી છે કે આગામી ટી20 વિશ્વકપને લઈને ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓના પ્રદર્શન પર સિલેક્ટરોની નજર મંડરાયેલી છે. ચેતન શર્મા (Chetan Sharma) આગામી 22 મી જૂને આયર્લેન્ડ જનાર છે.
ડબલિનમાં ભારતીય ક્રિકેટ ટીમની સાથે જ મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા રહેશે એમ મીડિયા અહેવાલથી જાણકારી સામે આવી છે. સુનિલ જોષી પણ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ દરમિયાન ભારતીય ટીમની સાથે છે. 19મી જૂને અંતિમ ટી20 મેચ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ સામે સમાપ્ત થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસમાં વ્યસ્ત થઈ જશે. ચેતન શર્મા આયર્લેન્ડ સામેની બે મેચની T20I શ્રેણી બાદ ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ T20 મેચ 26 જૂને અને બીજી મેચ 28 જૂને રમાનારી છે.
આખરે, પસંદગીકાર ટીમ સાથે કેમ જઈ રહ્યા છે? આ છે કારણ!
- આ વર્ષે T20 વર્લ્ડ કપ થવાનો છે. આવી સ્થિતિમાં પસંદગી સમિતિ પોતાને જોઈને ખેલાડીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા ઈચ્છે છે.
- આયર્લેન્ડ સામે હાર્દિક પંડ્યા ટીમનું નેતૃત્વ સંભાળનારો છે
- ભારતીય ટીમ વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ વિના આયર્લેન્ડના પ્રવાસે છે. ઋષભ પંત પણ આ ટીમનો હિસ્સો નથી.
- ટીમમાં રાહુલ ત્રિપાઠી એકમાત્ર નવો ચહેરો છે.
- મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ટીમની સાથે ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ પ્રવાસે રહેનાર હોઈ આયર્લેન્ડમાં ટીમ ઈન્ડિયા વીવીએસ લક્ષ્મણના માર્ગદર્શન હેઠળ મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમમાં રાહુલ ત્રિપાઠીને તક, સંજુ સેમસન અને સૂર્યકુમાર પણ સામેલ
આયર્લેન્ડના પ્રવાસે જઈ રહેલી ટીમમાં રાહુલ ત્રિપાઠીને તેના આઇપીએલ પ્રદર્શનના આધારે તક આપવામાં આવી છે. તેણે આઈપીએલ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કરીને 413 રન નોંધાવ્યા હતા. તેણે પ્રદર્શન વડે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોને પોતાની તરફ આકર્ષ્યા હતા.
તો વળી આ પ્રવાસમાં ખાસ તો સંજૂ સેમસન અને સૂર્યકુમાર યાદવની વાપસી થઈ રહી છે. આ બંને બેટ્સમેનો વિસ્ફોટક છે અને જે આર્યલેન્ડ પ્રવાસમાં મહત્વના ખેલાડી તરીકે પુરવાર થઈ શકે છે. તેમની પાસેથી પણ ટીમ ઈન્ડિયાને પ્રવાસમાં ખૂબ જ અપેક્ષાઓ છે. તેમજ વિશ્વકપ પહેલા પણ તેઓ પોતાને સાબિત કરવા વિદેશી ધરતી પર પુરો દમ લગાવી દેશે.