વર્ષની શરુઆતે ટીમ ઈન્ડિયાથી ડ્રોપ કરાયો, હવે વિનીંગ સ્ટાર, જાણો કેવી રીતે ચેતેશ્વર પુજારાએ કર્યુ કમબેક
ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારાએ સારુ કમબેક કર્યુ છે. વર્ષની શરુઆતમ તેના માટે ખરાબ રહ્યુ હતુ. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ તેને ટીમ ઈન્ડિયાથી બહાર કરી દેવાયો હતો.
ભારતીય ટીમે બાંગ્લાદેશના તેના જ ઘરમાં 2-0 થી ટેસ્ટ શ્રેણીમાં પરાજય આપ્યો છે. ભારતે પ્રથમ ટેસ્ટમાં શાનદાર વિજય 188 રનના અંતરથી મેળવ્યો હતો. જયારી મીરપુર ટેસ્ટમાં ભારતે 3 વિકેટે જીત મેળવી હતી. ભારતની શાનદાર જીતમાં ચેતેશ્વર પુજારાનો મહત્વનો ફાળો રહ્યો હતો. પુજારાને ટેસ્ટ શ્રેણી માટે પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પુજારાએ ટેસ્ટ સિરીઝની બંને મેચોમાં વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી હતી.
કમબેક કરવાનો મોકો મળતા જ ચેતેશ્વર પુજારાએ શાનદાર રીતે તે ઝડપી લીધો હતો. સિનીયર ખેલાડી પુજારાએ પોતાને મળેલ તક દરમિયાન તેણે શાનદાર રમત દર્શાવી હતી. પોતાની રમત વડે તેણે સૌને પ્રભાવિત કર્યા હતા. ચટગાંવમાં તેણે પ્રથણ ઈનીંગમાં 90 અને બીજી ઈનીંગમાં અણનમ 102 રન નોંધાવ્યા હતા. પુજારાએ ચાર ઈનીંગમાં રમતા શ્રેણીમાં સૌથી વધારે રન નોંધાવ્યા હતા. તેણે 222 રન ભારત માટે બનાવ્યા હતા. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
પોતાના જ શબ્દોમાં કહી સફળતાની વાત
પુજારાએ ઢાકા ટેસ્ટ બાદ પોતાના પ્રદર્શનને લઈ વાત કરી હતી. તેણે આ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વિતાવેલા સમયને શ્રેય આપ્યો હતો. પૂજારાએ કહ્યું, તે એક મુશ્કેલ શ્રેણી હતી. મને લાગે છે કે મને મારી લય મળી ગઈ છે. મેં ઘણી બધી ફર્સ્ટ ક્લાસ મેચ રમી અને મારી રમત પર કામ કર્યું. જો તમે બે ટેસ્ટ સિરીઝ વચ્ચેના તફાવતને જોશો તો ફર્સ્ટ ક્લાસ મેચો તમને તમારી લય જાળવી રાખવામાં મદદ કરે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દરેક મેચ મહત્વપૂર્ણ છે અને તમારે તમારા શ્રેષ્ઠ ફોર્મમાં હોવું જરૂરી છે.
10 મહિના પહેલા ડ્રોપ કરાયો હતો
સિનીયર બેટ્સમેન પુજારાનુ કમબેક ખૂબ જ મુશ્કેલ રહ્યુ છે. 10 મહિના પહેલા જ તે ટીમ ઈન્ડિયાથી બહાર થયો હતો. દક્ષિણ આફ્રિકાની શ્રેણી બાદ તેને ડ્રોપ કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની તે સિરીઝમાં ખાસ પ્રદર્શન રહ્યુ નહોતુ. ત્યાર બાદ તે શ્રીલંકા અને ભારત વચ્ચેની ટેસ્ટ સિરીઝથી બહાર રહ્યો હતો. તેની સાથે અજિંક્ય રહાણે પણ બહાર કરી દેવાયો હતો. એ વખતે એમ મનાઈ રહ્યુ હતુ કે, ના તો પુજારા ટીમ ઈન્ડિયાનો ફરીથી હિસ્સો બની શકશે કે, ના રહાણે. જોકે થોડા જ મહિનાઓમાં તેને મોકો મળ્યો અને તે સિધો જ મહત્વની જવાબદારી સાથે ટીમનો ઈન્ડિયાનો હિસ્સો બન્યો.
હવે શાનદાર રીતે પરત ફર્યો છે. તેણે સદી સાથે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. આ દરમિયાન તે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ અને ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રમત દર્શાવી. કાઉન્ટી ક્રિકેટમાં સસેક્સ ક્રિકેટ ક્લબ તરફથી રમતા તેણે 8 મેચોમાં 1094 રન નોંધાવ્યા હતા. એટલે કે તેની સરેરાશ 109ની રહી હતી. આ દરમિયાન 5 સદી અને 3 બેવડી સદી નોંધાવી હતી. જેના થકી પુજારાને ઈંગ્લેન્ડમાં એજબેસ્ટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા વતી રમવાનો મોકો મળ્યો હતો. જેમાં તેણે અડધી સદી નોંધાવી હતી.