IND vs AUS: વિરાટ કોહલી ફોર્મમાં છતાંય આ કારણે સૌરવ ગાંગુલીએ કહ્યુ-હજુ સુધારો કરવાની જરુર
વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી બેટ વડે ધમાલ મચાવવા લાગ્યો છે. તેના બેટ વડે સદી નિકળતી જોવા મળી રહી છે. હવે ટેસ્ટ સિરીઝમાં તે આવો જ કમાલ દર્શાવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનુ બેટ હાલમાં ધમાકેદાર ચાલી રહ્યુ છે. વિરાટના બેટમાંથી છેલ્લા છ મહિનામાં ચાર સદી જોવા મળી છે. વ્હાઈટ બોલ ક્રિકેટ માં હવે તે પોતાના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. હવે એ અંદાજથી રમત દર્શાવવા લાગ્યો છે, જેના માટે તે જાણિતો છે. હવે તે રેડ બોલ ક્રિકેટમાં પણ આવી જ રીતે મોટી ઈનીંગ રમતો જોવા મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. એશિયા કપ 2022માં અને ત્યાર બાદ વનડે ક્રિકેટમાં તેણે પોતાનો દમ દેખાડ્યો હતો. આ દરમિયાન હવે પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ ના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને લઈ પોતાની વાત રાખી છે.
આગામી મહિને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. બંને વચ્ચે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અગાઉ મહત્વની સિરીઝ રમાનારી છે. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં 4 ટેસ્ટ મેચો રમાનારી છે. આ દરમિયાન ભારત તરફથી 3 જીત મેળવવી જરુરી છે, જે ફાઈનલ માટે ટિકીટ નિશ્ચિત કરી શકે છે. આ માટે ટી20 અને વનડે ક્રિકેટની માફક વિરાટ કોહલીએ ટેસ્ટમાં પણ બેસ્ટ પ્રદર્શન દર્શાવવુ જરુરી છે.
વિરાટે સુધારો કરવો જરુરી
હાલમાં ફોર્મમાં જોવા મળી રહેલા વિરાટ કોહલીના ગાંગુલીએ વખાણ કર્યા હતા. આ સાથે જ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યુ હતુ કે, વિરાટે હજુ ટેસ્ટમાં સુધારો કરવો જરુરી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ વાતચિતમાં ગાંગુલીએ કહ્યુ હતુ કે, “હા ચોક્ક્સ. તેણે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે શાનદાર બેટિંગ કરી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સુધારો કરવાની જરૂર છે, કારણ કે ભારત તેના પર ખૂબ નિર્ભર છે. અને ઓસ્ટ્રેલિયા સામે એક મહત્વપૂર્ણ શ્રેણી આવી રહી છે જે મારા મતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું અપેક્ષા રાખું છું કે તે ખૂબ જ સ્પર્ધાત્મક શ્રેણી હશે. બંને સારી ટીમો છે. આ બંને ટીમો ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમશે તેવી પૂરી શક્યતા છે.
અંતિમ ટેસ્ટ સિરીઝમાં નિષ્ફળ રહ્યો
વ્હાઈટ બોલ સિરીઝમાં ફોર્મમાં જોવા મળી રહેલો વિરાટ કોહલી અંતિમ ટેસ્ટ સિરીઝમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. ભારતીય ટીમ ડિસેમ્બરમાં બાંગ્લાદેશના પ્રવાસે ગઈ હતી. જ્યાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સિરીઝ રમાઈ હતી. બંને ટેસ્ટ દરમિયાન વિરાટ અડધી સદી પણ નોંધાવી શક્યો નહોતો. ચટગાંવમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનીંગમાં 1 રન અને બીજી ઈનીંગમાં 19 રન નોંધાવ્યા હતા. જ્યારે મીરપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પ્રથમ ઈનીંગમાં 24 અને બીજી ઈનીંગમાં 1 રનનુ યોગદાન આપ્યુ હતુ.