જસપ્રીત બુમરાહને લઈ નિરાશાજનક સમાચાર, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર થઈ શકે છે
ભારતીય સ્ટાર બેટ્સમેન જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પીઠની સમસ્યાને મેદાનથી દૂર છે. તે હાલમાં મેદાનમાં પરત ફરવા માટે ખૂબ પ્રયાસો કરી રહ્યો છે. પરંતુ હજુય તેના પરત ફરવાને લઈ આશંકાઓ છે.
ભારતીય ટીમ નો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહની મેદાનમાં પરત ફરવાની રાહ જોવાઈ રહી છે. તે ગત વર્ષ સપ્ટેમ્બર મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર ચાલી રહ્યો છે. આ દરમિયાન તેણે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. વર્ષ 2021 અને 2022 માં તે ઈજાને લઈ પરેશાન રહ્યો છે. હાલમાં પીઠની ઈજાને લઈ તે ટીમ ઈન્ડિયાથી બહાર રહેવા માટે મજબૂર છે. હાલમાં શ્રીલંકા સામેની વ્હાઈટ બોલ સિરીઝમાં સ્ક્વોડમાં સમાવેશ થયા બાદ તે હટી ગયો હતો. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં પણ તે હિસ્સો રહ્યો નહીં. હવે ઓસ્ટ્રેલિયા સામે પણ ટેસ્ટ સિરીઝમાં ઉતરશે કે કેમ તે સવાલો વચ્ચે મીડિયા રિપોર્ટ્સે નિરાશા પેદા કરી છે.
ઓસ્ટ્રેલિયા આગામી ફેબ્રુઆરી મહિનામાં ભારત પ્રવાસે આવનાર છે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સિરીઝ રમાનારી છે. ટીમ ઈન્ડિયા માટે પસંદ કરવામાં આવેલા ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહને પસંદ કરવામાં આવ્યો હતો. જેને લઈ તે મેદાનમાં એક્શનમાં જોવા મળશે એવી આશા જાગી હતી. પરંતુ હવે સમાચાર સામે આવી રહ્યા છે તે, બુમરાહ ટેસ્ટ સિરીઝથી બહાર થઈ શકે છે.
આઈપીએલ પહેલા પરત ફરવુ મુશ્કેલ
વર્ષની શરુઆતથી જ જસપ્રીત બુમરાહના પરત ફરવાની રાહ જોવાઈ રહી હતી. ટીમ ઈન્ડિયાના નિયમીત બોલરના બાર રહેવાને લઈ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આમ છતાં ટીમના સંતુલનને વનડે, ટી20 અને ટેસ્ટ સિરીઝમાં ભારતને સફળતા મળી છે. જોકે હાલમાં બુમરાહને લઈ માનવામાં આવી રહ્યુ છે કે, તે આઈપીએલ પહેલા ટીમ ઈન્ડિયા સાથે પરત જોડાય એવી સંભાવનાઓ ઓછી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ બોર્ડના અધિકારીએ બતાવ્યુ હતુ કે, એવુ થવુ મુશ્કેલ છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે 100 ટકા ફિટ થઈ જશે. જોકે એક વાત નિશ્ચિત છે કે સિરીઝ કોઈ પણ હોય અમે તેની ઈજાથી તેને પરત ફરવા માટે ઉતાવળ નહી કરીએ. પીઠની ઈજામાંથી સાજા થવામાં સમય લાગે છે. રિહૈબમાં ખૂબ સમય લાગી જાય છે.
રોહિતે પણ આમ કહ્યુ હતુ
આગળ પણ વાત કરતા અધિકારીએ બતાવ્યુ કે, “હાલમાં જે સ્થિતી છે, તે પસંદગી માટે અનફીટ છે અને તેની વાપસીને લઈ કેટલો સમય લાગશે એ બતાવવુ મુશ્કેલ છે. હજુ તેમાં એક મહિનો કે તેનાથી પણ વધારે સમય લાગી શકે છે.”
રોહિત શર્મા સામે પણ આ મામલે ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ દરમિયાન સવાલ કરાયો હતો. તેની પાસે પણ બુમરાહને લઈ અપડેટ માંગવામાં આવ્યુ હતુ. એ વખતે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ હતુ કે, હું આને લઈને હાલમાં શ્યોર નથી. હું આશા કરુ છુ કે ઓસ્ટ્રેલિયા સામે તે અંતિમ બે ટેસ્ટ મેચ રમે. અમે તેની ઈજાને લઈ કોઈ રિસ્ક લેવા માંગતા નથી. બેક ઈજા હંમેશા ક્રિટિકલ હોય છે. અમારે સતત ખૂબ ક્રિકેટ રમવાનુ છે. અમે એનસીએમાં તેના ડોક્ટર અને ફિઝીયો સાથે સતત સંપર્કમાં છીએ. તેને જેટલો સમય જોઈએ મેડિકલ ટીમ તેને એટલો સમય આપશે.