IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ વનડે હારવા સાથે ગુમાવ્યો નંબર 1 નો તાજ, રોહિત શર્માએ બતાવ્યુ હારનુ કારણ
ભારતીય ટીમે સતત 7 વનડે સિરીઝમાં જીત બાદ ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈમાં વનડે સિરીઝની અંતિમ મેચ રમાઈ હતી, જેમાં ભારતે 21 રનથી હારનો સામનો કર્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ શ્રેણી કબ્જે કરી હતી.
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. અંતિમ વનડે મેચ ચેન્નાઈમાં રમાઈ હતી, જ્યાં ભારતે 21 રનથી મેચ ગુમાવવા સાથે સિરીઝ ગુમાવી હતી. અંતિમ વનડેમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ચેન્નાઈની પિચ પર બંને ટીમો ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 270 રનનુ લક્ષ્ય ભારત સામે રાખ્યુ હતુ, જવાબમાં ભારતીય ટીમ માત્ર 248 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. ભારતે આ સાથે જ 2 1 થી સિરીઝ ગુમાવી હતી. 7 વનડે સિરીઝ જીત્યા બાદ ભારતે ઘર આંગણે આ શ્રેણી ગુમાવી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનુ પણ શ્રેણી ગુમાવવાથી દિલ તુટ્યુ હતુ. ભારતે સિરીઝ ગુમાવવા સાથે વનડેમાં નંબર-1 નુ સ્થાન પણ ગુમાવી દીધુ છે.
વનડે વિશ્વકપ પહેલા ઘર આંગણે વનડે સિરીઝને લઈ તૈયારીઓ માનવામાં આવી રહી હતી. ભારતીય ટીમ ખામીઓ શોધીને તેને સુધાર કરવાનો પ્રયાસ કરવાની વાત હતી. જોકે અહીં તો બેટિંગ લાઈને સવાલો જ ખડા કરી દીધા છે. આવી જ બેટિંગ અને જુસ્સા સાથે વનડે વિશ્વકપમાં ઉતરવુ મુશ્કેલ બની રહેશે, એવી ચિંતાઓ ઉભી કરી દીધી છે.
મેચ આમ કહ્યુ કેપ્ટને
કેપ્ટન રોહિતે મેચ બાદ કહ્યું કે “ટીમને મળેલો ટાર્ગેટ બહુ મોટો નહોતો પરંતુ બીજી ઇનિંગમાં વિકેટ થોડી પડકારજનક બની ગઈ હતી”. રોહિત તેની ટીમની બેટિંગથી બિલકુલ ખુશ નહોતો અને તેણે કહ્યું કે “તેની ટીમ જીત માટે જરૂરી ભાગીદારી બનાવી શકી નથી. ટીમ ઈન્ડિયાએ જે રીતે વિકેટો ગુમાવી”, રોહિત શર્માએ તેને નિરાશાજનક ગણાવ્યું અને કહ્યું કે “દરેક વ્યક્તિ આવી વિકેટો પર રમી રહ્યો છે અને ખેલાડીઓએ પોતાને એક તક આપવી જોઈએ”.
ઓપનિંગ બેટિંગ કરનાર રોહિતે વધુમાં કહ્યું કે, “એક બેટ્સમેન અંત સુધી ટકી રહે તે જરૂરી હતું. દરેક જણ પોતપોતાનું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ એવું બન્યું નહીં. અમે જાન્યુઆરીથી નવ વનડે રમ્યા છે, અમે તેમાંથી ઘણી સકારાત્મક બાબતો લઈ શકીએ છીએ. આ કોઈ એકની નહીં પણ આખી ટીમની હાર છે”.
આખી ટીમની હાર-રોહિત શર્મા
હારનો દોષ કોઈ એક ખેલાડી પર નાખવાનો ઈન્કાર કરતા રોહિત શર્માએ કહ્યું કે “તે હાર માટે કોઈ એક કે બે ખેલાડીઓને દોષી ઠેરવી શકે નહીં કારણ કે આ હાર આખી ટીમની છે. ટીમ ઈન્ડિયાને આગામી પાંચ મહિનામાં આવી જ સ્થિતિમાં વર્લ્ડ કપ રમવાનો છે, જેના માટે ટીમ તમામ ખામીઓનું ધ્યાન રાખે તે જરૂરી છે”.