ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે T20 સિરીઝ રમાઇ રહી છે. આ દરમિયાન ભારતે પ્રથમ બંને મેચને જીતી લઇને ટ્રોફી પહેલાથી જ પોતાના નામે કરી લીધી છે. રવિવારે ધર્મશાળામાં શ્રેણીની અંતિમ મેચ રમાઇ રહી છે. શ્રીલંકન કેપ્ટન દાશુન શનાકા (Dasun Shanaka) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત આજની મેચ જીતીને સિરીઝમાં શ્રીલંકાને ક્લીન સ્વિપ કરવાનો ઇરાદો રાખી રહ્યુ છે. કેપ્ટન દાશુન શનાકા (Dashun Shanaka) ની આક્રમક અર્ધશતકીય ઇનીંગને લઇ સ્કોર 146 રન પર પહોંચ્યો હતો.
ભારતીય બોલરોએ સારી શરુઆત કરી હતી. પ્રથમ ઓવર લઇને આવેલા મોહમ્મદ સિરાજે દાનુષ્કા ગુણતિલાકાને શૂન્ય પર જ પેવેલિયન પરત મોકલ્યો હતો. દાનુષ્કાને સિરાજે બોલ્ડ કર્યો હતો. આ સમયે શ્રીલંકાનો સ્કોર 1 રન હતો. આમ પ્રથમ ઓવરમાં જ વિકેટ મેળવીને હરીફ ટીમ પર દબાણ સર્જી દીધુ હતુ. જ્યારે અવેશ ખાને બીજી ઓવર લઇને આવતા તેમે પણ ઓપનર પથુમ નિશંકાની વિકેટ ઝડપી હતી. આમ શ્રીલંકાએ 5 રનના સ્કોર પર જ તેના બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.
અવેશ ખાને ભારતને ત્રીજી સફળતા પણ ઝડપથી અપાવી હતી. ચોથી ઓવરના અંતિમ બોલ પર તેણે ચરિથ અસલંકાની વિકેટ ઝડપી હતી. આમ 11 રનના સ્કોર પર જ શ્રીલંકાએ 3 મહત્વની વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં મુકાઇ ગયુ હતુ. પરંતુ બાદમાં શ્રીલંકન કેપ્ટન દાશુન શનરાએ ઇનીંગને સંભાળી લીધી હતી. તેણે લડત આપતા 38 બોલમાં 74 રનની અણનમ ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. તેને દિનેશ ચાંદિમલે 25 રનના યોગદાન સાથે સાથ આપ્યો હતો. જ્યારે ચામિકા કરુણારત્ને અણનમ 12 રનના યોગદાન વડે અંત સુધી સાથ પુર્યો હતો. આમ એક સમયે ઝડપથી વિકેટ ગુમાવનાર શ્રીલંકન ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 146 રનનો સ્કોર કર્યો હતો.
આજે રોહિત શર્માએ રવિન્દ્ર જાડેજા અને વેંકટેશ અય્યરને બોલ હાથમાં આપ્યો નહોતો. જેની સામે હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ અને અવેશ ખાનનો પુરો ઉપયોગ કર્યો હતો. બોલરો ટૂંકા મેદાનમાં શાનદાર બોલીંગ કરી હતી. શ્રીલંકાને નિયંત્રણમાં રાખવાનુ કાર્ય પાર પાડ્યુ હતુ. અવેશ ખાને તેના સ્પેલમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સિરાજ, હર્ષલ અને રવિ એ એક એક વિકેટ ઝડપી હતી. સિરાજ અને અવેશે 6 થી પણ ઓછી સરેરાશ થી રન ગુમાવ્યા હતા.
Published On - 8:43 pm, Sun, 27 February 22