IND vs SA: ઈરફાન પઠાણે કહ્યુ આ બોલર ડેથ ઓવરમાં છે શાનદાર, હાર્દિક અને ધોનીને પરેશાન કરનારને ‘મહેમાનો’ સામે પુરી તક આપવા સલાહ
આગામી 9મી જૂનથી ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ટી20 સિરીઝ શરુ થઈ રહી છે, આ દરમિયાન મહત્વના કેટલાક ખેલાડીઓ આરામ પર ટીમની બહાર છે, આવામાં નવા ખેલાડીઓને વધુ તક મળશે
9મી જૂનથી ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ટી20 સિરીઝની ધમાલ શરુ થશે. આ સિરીઝ ઘર આંગણે રમાનારી છે. આ દરમિયાન કેટલાક મહત્વના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને જેને લઈ નવા ખેલાડીઓને વધુ તક મળવાની આશા છે. તો વળી નિયમીત કેપ્ટન રોહિત શર્મા પણ આરામ પર હોઈ કેએલ રાહુલ ટીમની આગેવાની સંભાળનાર છે. આ દરમિયાન ઈરફાન પઠાણે (Irfan Pathan) એવા બોલરને માટે પુરી તકની સલાહ આપી છે કે જેણે IPL માં મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેનોના બેટને ડેથ ઓવરમાં શાંત રાખવામાં સફળ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં અર્શદીપ સિંહ (Arshdeep Singh) ને તમામ મેચ રમાડવા માટેનો પોતાનો મત રજૂ કર્યો છે.
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે આગામી ટી20 સિરીઝને લઈ મહત્વની વાત કહી છે. ઇરફાન ખાને આઇપીએલમાં પંજાબ કિંગ્સ વતી ડેબ્યૂ કરનારા અર્શદીપ સિંહને લઈને પોતાની સલાહ આપી છે. તેણે ડેબ્યૂ બાદ પોતાના પ્રદર્શનમાં સતત સુધારો કર્યો છે. જેના થકી જ તેણે ગત સિઝનમાં સૌ કોઈનુ ધ્યાન પોતાની તરફ આકર્ષ્યુ હતુ. આકર્ષણનુ કારણ વિકેટ ઝડપવાનુ નહી પરંતુ તે રન બચાવીને હરીફ પર દબાણ વધારતો હતો. તેના આ પ્રદર્શનને લઈ હવે તે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો છે.
અર્શદીપ સિંહની ઈકોનોમી 7.70 ની આઇપીએલમાં રહી છે. જે ઈકોનોમી ઝડપી ફોર્મેટની રમતમાં સારી ગણી શકાય, તેણે ખાસ કરીને ડેથ ઓવરમાં સારી બોલીંગ કરીને રન બચાવ્યા છે. વિસ્ફોટક બેટ્સમેનોને પણ પોતાની સામે મોટા શોટ રમતા રોકી નિયંત્રણમાં રાખ્યા હતા. જોકે તેને 14 મેચમાં માત્ર 10 જ વિકેટ હાથ લાગી હતી. જોકે ઇરફાન પઠાણે પણ આ વાતનો સ્વિકાર કરતા કહ્યુ છે કે, તેને વિકેટ નથી મળી પરંતુ મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને પરેશાન રાખવામાં તે સફળ રહ્યો હતો.
તે યોર્કર વડે પરેશાન કરે છે
દક્ષિણ આફ્રિકા સામે અર્શદીપને તમામ મેચમાં રમાડવા માટે થઈને ટીમ ઈન્ડિયાને સલાહ આપતા કહ્યુ કે, જો તમે વિકેટોના મામલામાં આઈપીએલના આંકડાઓ જોશો તો, મેચ વધારે અને વિકેટ ઓછી છે. આમ છતા પણ પસંદગીકારોએ તેને સપોર્ટ કર્યો અને તેને ટીમમાં સમાવ્યો છે. તેની પાછળનુ કારણ એ છે કે તેણે શ્રેષ્ઠ બેટ્સમેનોને શાંત રાખ્યા છે. જ્યારે તે ડેથ ઓવરમાં બોલીંગ કરે છે, તો તે ધોની અને હાર્દિક જેવા બેટ્સમેનોને શાંત રાખે છે. તે ક્રિઝ પર જામેલા બેટ્સમેનોને યોર્કર વડે પરેશાન કરે છે.
પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાને આગળ પણ કહ્યુ, તમે કંઈક તો સમજી વિચારીને એક ડાબોડી બોલરને ટીમમાં સમાવ્યો છે. કારણ કે ડાબોડી હંમેશા યોગ્ય હોય છે. માટે જ તેને તમામ મેચોમા રમાડવામાં આવે અને તે એક એવો બોલર છે જે તેની ટીમ માટે હંમેશા કંઈકને કંઈક કરશે. જ્યારે પણ કોઈ મુશ્કેલ સ્થિતી હોય તો તે યોર્કર નાંખશે અને વિકેટ મેળવવા માટેની કોશીશ કરશે.