‘આતંકવાદ ખતમ થવો જોઈએ પણ પાકિસ્તાનમાં ઘણી બધી… ‘, IND vs PAK મેચને લઈને દાદાએ પોતાના મનની વાત કહી દીધી
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને એવામાં ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ IND vs PAK મેચને લઈને મોટી વાત કહી દીધી છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવા અંગે મોટી વાત કહી છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એશિયા કપ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે આ મેચનો ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો હતો, જ્યારે ગાંગુલીને આ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આતંકવાદ બંધ થવો જોઈએ.
દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું. આ પછી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો નહોતો. આ અંગે ઘણો વિવાદ થયો અને પાકિસ્તાને આ અંગે ICC તેમજ ACC ને ફરિયાદ કરી છે.
#WATCH | Kolkata | On India vs Pakistan match in Asia Cup 2025, former Captain of the Indian Cricket Team Sourav Ganguly says, “Terror must stop, it is most important, but sports also cannot stop.” pic.twitter.com/V4SGPagYY2
— ANI (@ANI) September 15, 2025
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા આ મેચ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ગાંગુલીએ કહ્યું, “આતંકવાદ બંધ થવો જોઈએ પરંતુ રમતગમત બંધ ન થઈ શકે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આતંકવાદનો અંત થવો જોઈએ. પાકિસ્તાનમાં ઘણી બધી બાબતો થઈ રહી છે, જેને રોકવી પડશે.”
વિરોધ પ્રદર્શન થયા પણ મેચ રમાઈ
આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. દરેક મોરચે પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની વાતો થઈ રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે આ મેચની જાહેરાત કરવામાં આવી, ત્યારે ભારતના લોકોમાં ઘણો ગુસ્સો ભરાયો હતો, જે મેચ પહેલા જ દેખાઈ રહ્યો હતો. જણાવી દઈએ કે, ભારતમાં ઘણી જગ્યાએ આ મેચ સામે વિરોધ પ્રદર્શનો થયા.
સૂર્યકુમારે આ જીત કોને સમર્પિત કરી?
ભારતે મેચ જીતી લીધી અને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને સંદેશ આપ્યો કે, તેઓ પહેલગામમાં શું થયું તે ભૂલી શક્યા નથી. મેચ પછી સૂર્યકુમારે આ જીત સેનાને સમર્પિત કરી. તેણે કહ્યું કે, તેઓ અને તેમની ટીમ પહેલગામ હુમલાના પીડિતો સાથે ઉભા છે.
