IND vs PAK: વિરાટ કોહલી માટે પાકિસ્તાન સામે મેચ પહેલા કપિલ દેવની ખાસ સલાહ, જાણો શુ કહ્યુ
વિરાટ કોહલી (Virat Kohli) બ્રેક બાદ વાપસી કરી રહ્યો છે. તે લાંબા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે અને આશા છે કે તે એશિયા કપ (Asia Cup) માં તે ફોર્મમાં પરત ફરશે.
થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલીની જગ્યા પર સવાલ ઉઠાવ્યા હતા, હવે એ જ મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે (Kapil Dev) હવે પૂર્વ કેપ્ટનને એક ખાસ સલાહ આપી છે. એશિયા કપ-2022 માં રવિવારે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ની ટીમ સામસામે ટકરાશે. વિરામ બાદ વિરાટ કોહલી (Virat Kohli) આ મેચમાંથી વાપસી કરી રહ્યો છે અને તમામની નજર તેના પર રહેશે. એશિયા કપ બાદ ભારતે આગામી મોટી ટુર્નામેન્ટ T20 વર્લ્ડ કપ રમવાનો છે. કપિલે ખરાબ ફોર્મથી ઝઝૂમી રહેલા કોહલી વિશે કહ્યું છે કે તેણે હવે સતત મેચ રમવી જોઈએ.
કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ બ્રેક લીધો હતો. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો ન હતો અને ત્યાર બાદ તેણે ઝિમ્બાબ્વેના પ્રવાસ પર આરામ કર્યો હતો. વિરામ બાદ એશિયા કપ પહેલા કોહલીએ એક ઈન્ટરવ્યુ આપ્યો અને જણાવ્યું કે તે માનસિક રીતે કયા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. બધાને આશા છે કે એશિયા કપમાં કોહલી પોતાના ફોર્મમાં પાછો ફરશે અને કિંગ કોહલીની ઈમેજમાં પાછો આવશે.
‘આપણે તેના વિશે વિચારવું જોઈએ નહીં’
જ્યારે એક પત્રકારે કપિલને પૂછ્યું કે શું આ એશિયા કપ કોહલી માટે ટી-20 વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટેનું છેલ્લું ઓડિશન હતું? આ અંગે કપિલે કહ્યું કે, મને નથી લાગતું. આપણે તેના વિશે વિચારવું પણ ન જોઈએ. જો આપણે છેલ્લા ઓડિશન અથવા છેલ્લી તક જેવા શબ્દોનો ઉપયોગ કરીએ, તો મને નથી લાગતું કે તે યોગ્ય છે. હું તેને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે તેણે સતત રમવું જોઈએ. અમુક સમયે, તમારે ઘણા બધા વિરામ ન લેવા જોઈએ. તે એક વ્યાવસાયિક ખેલાડી છે અને તેને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. મને અંગત રીતે લાગે છે કે તેણે બને તેટલી વધુ મેચ રમવી જોઈએ. તેણે બને તેટલી મેચ રમવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે તમે સ્કોર કરવાનું શરૂ કરો છો, ત્યારે વિચારવાની પ્રક્રિયા બદલાય છે.
યુવા ખેલાડીઓને તક મળી રહી છે
કપિલે જોકે સ્વીકાર્યું કે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવાથી યુવા ખેલાડીઓને તક મળે છે. કપિલે કહ્યું કે સંજુ સેમસન, દીપક હુડ્ડા, શુભમન ગિલ જેવા ખેલાડીઓને સિનિયર ખેલાડીઓના આરામના કારણે તક મળી છે. તેણે કહ્યું, “આજના સમયમાં ટીમમાં કોણ છે અને કોણ નથી તેનાથી કોઈ ફરક પડતો નથી. અમારા જમાનામાં એવું થતું હતું કે જો કોઈ મોટો ખેલાડી ટીમમાં હોય તો તેણે રમવું પડે છે. તમે તેને બહાર બેસાડી શકતા નથી. ટી20માં ઘણું બદલાયું છે. કોહલી, રોહિત, અશ્વિન જેવા આપણા મોટા ખેલાડીઓ બહાર બેસી જાય તો વાંધો નથી. કોણ સારું પ્રદર્શન કરે છે તે મહત્વનું છે.