IND vs ENG: ફર્સ્ટ કલાસ મેચ રમાડવાને લઇને ટીમ ઇન્ડીયા માટે નિરાશાનાં સમાચાર, ECBનો ઇન્કાર
ભારતીય ટીમ ને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા પ્રેકટીશ માટે ફર્સ્ટ ક્લાસ મેચ રમવા મળી શકી નહોતી. ત્યાર બાદ હવે ઇંગ્લેંડ સામેની શ્રેણી પહેલા પણ ફર્સ્ટ ક્લાસ મેચ થી દુર રહેવુ પડશે. કેપ્ટન વિરાટ કોહલી આ માટે પહેલા જ નારાજગી દર્શાવી ચુક્યો છે.
ટીમ ઇન્ડીયા (Team India) ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા ડરહમમાં રિવરસાઇડ મેદાન પર બે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમશે. વિરાટ કોહલી (Virat Kohli) ની ટીમના ખેલાડીઓને કાઉન્ટી ટીમ વિરુદ્ધ, કોઇ ફર્સ્ટ ક્લાસ પ્રેકટીસ મેચ રમવા મળવાની સંભાવનાઓ નથી.
જેને લઇને ટીમ ઇન્ડીયા હવે આંતરીક રુપે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમશે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અગાઉ ફર્સ્ટ ક્લાસ મેચ નહી રમવા મળવાને લઇને નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.
મીડિયા રિપોર્ટનુસાર, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ના પ્રવક્તા એ આ અંગે કહ્યુ હતુ. જે મુજબ કોવિડ-19 પ્રોટોકોલ અનુસાર આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ઓગષ્ટ મા રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા તેમના ખેલાડીઓની બે ટીમો રચીને ચાર દિવસની બે મેચ રમાશે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ECB ને પ્રેકટીશ માટે વાતચીત કરી હતી. જોકે કોરોના ની પરિસ્થીતીને ધ્યાને રાખીને તે યોજના મુશ્કેલ લાગી રહી છે. કાઉન્ટી ટીમો સામે કોઇ મેચનુ આયોજન કરવાને લઇને સવાલ કરવામાં આવતા તે અંગે પ્રવક્તાએ સ્પષ્ટ ના ભણી હતી. ઇંગ્લેન્ડમાં જુદી જુદી કાઉન્ટી ટીમો ના ખેલાડીઓ નિયમીત રુપે કોરોના પરીક્ષણ કરાવી રહ્યા છે. પરંતુ તેમને કોઇ બાયોબબલમાં રાખવામાં આવ્યા નથી.
ત્રણ સપ્તાહની રજાઓ ગાળી રહેલ ભારતીય ટેસ્ટ ટીમ, 14 જૂલાઇએ લંડનમાં એકઠી થશે. જ્યાંથી તે ડરહમ રવાના થશે અને ફરી થી બાયોબબલ હેઠળ રહેશે.
મીડિયા રિપોર્ટસનુસાર બીસીસીઆઇ ના એક અધિકારીએ નામ નહી જાહેર કરવાની શરતે જણાવ્યુ હતુ કે ઇંગ્લેન્ડમાં ઘરેલુ ક્રિકેટમાં ખેલાડીઓ બાયોબબલમાં નથી, તે નિશ્વિત રુપે એક મુદ્દો છે. જેના માટે ડરહમમાં મેચ ટીમના ખેલાડીઓને બે ટીમોમાં વિભાજીત કરીને રમાશે. આગામી 4 ઓગષ્ટથી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાનારી છે.