ટીમ ઈન્ડિયા (Team India) ના શ્રીલંકા પ્રવાસ દરમ્યાન કોરોના (COVID-19) ની ઝપેટમાં આવેલા ત્રણેય ભારતીય ક્રિકેટરો ઘરે પરત ફર્યા છે. કોલંબોમાં આ ત્રણેય ભારતીય ખેલાડીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને ઘરે પરત ફરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ત્રણ ક્રિકેટરોમાં ક્રૃણાલ પંડ્યા (Krunal Pandya), યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)અને કૃષ્ણપ્પા ગૌતમ (K. Gowtham) ના નામનો સમાવેશ થાય છે. શ્રીલંકા સામે રમાયેલી મર્યાદિત ઓવરની શ્રેણી દરમ્યાન, આ ત્રણેયનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
કોરોના રોગચાળાને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે સીધી ફ્લાઇટ્સ નથી. આ કારણે આ ત્રણેય ભારતીય ક્રિકેટરો માલદીવ થઇને સ્વદેશ પરત ફર્યા હતા. ત્રણેય શ્રીલંકા થી પહેલા માલદીવની રાજધાની મેલ પહોંચ્યા હતા. ત્યાંથી કોચી ની ફ્લાઇટ પકડી હતી. કોચીથી પંડ્યા અને ચહલ મુંબઈ જવા રવાના થયા જ્યારે કે. ગૌતમ બેંગલુરુ ગયો હતો. જ્યાં તેમને એરપોર્ટ પરિસરમાં થોડા કલાકો માટે આઇસોલેટ રાખવામાં આવ્યા હતા તેમજ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
પંડ્યા, ચહલ અને ગૌતમ ત્રણેય છેલ્લા 9 દિવસથી કોલંબોમાં આઇસોલેશનમાં હતા. તેમની સાથે શ્રીલંકા પ્રવાસે ગયેલા બાકીના સાથી ખેલાડીઓ સપ્તાહ પહેલા ચાર્ટર્ડ ફ્લાઇટમાં ઘરે પરત ફર્યા હતા. ત્યાં કોરોનાની ઝપેટમાં આવનાર પ્રથમ ભારતીય ખેલાડી કૃણાલ પંડ્યા હતો. તે પ્રથમ ટી20 બાદ પંડ્યાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, તે અને તેના સંપર્કમાં આવેલા 8 ખેલાડીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેના કોરોના પોઝિટિવ હોવાને કારણે, બીજી ટી20 પણ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. ચહલ અને ગૌતમ કોરોના પોઝિટિવ કૃનાલના સંપર્કમાં આવવાને કારણે આવ્યો હતો. 8 ખેલાડીઓના એક સાથે આઇસોલેશનમાં જવાને કારણે, ભારતે તેના રિઝર્વ ખેલાડીઓને પણ મેદાનમાં ઉતારવા પડ્યા હતા.
શ્રીલંકા થી કોરોનાને હરાવીને પરત આવેલા ત્રણ ભારતીય ખેલાડીઓ હવે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું બતાવાયુ છે. આ તમામ ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં તેમની આઈપીએલ ટીમમાં જોડાઇ જાય તેવી અપેક્ષા છે. જેના માટે તેઓ યુએઈ જવા રવાના થશે.