કોરોનાને કારણે એજબેસ્ટન ટેસ્ટમાં ન રમનાર રોહિત શર્મા (Rohit Sharma) 3 મેચની T20 સીરીઝની પ્રથમ મેચમાં ટીમમાં વાપસી કરવા માટે તૈયાર છે. કોરોનામાંથી સાજા થતાં તેણે નેટમાં ઘણો પરસેવો પણ વહાવ્યો હતો. મેચની પૂર્વસંધ્યાએ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રોહિત શર્માએ એજબેસ્ટન ટેસ્ટમાં ટીમની હારથી આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની તૈયારીઓ વિશે ખુલાસો કર્યો. એજબેસ્ટન ટેસ્ટમાં હાર પર રોહિત શર્માએ કહ્યું કે “તે ચોક્કસપણે નિરાશાજનક છે.” તેણે કહ્યું કે “આ હાર આવનારી T20 અને ODI સિરીઝ પર કેવી અસર કરશે તે તો સમય જ કહેશે. તે એક અલગ ફોર્મેટ હતું. આ એક અલગ ફોર્મેટ રહેશે.”
ટીમ ઈન્ડિયા (Team India) ના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) એ આગામી T20 વર્લ્ડ કપ વિશે કહ્યું કે “તેની નજર વર્લ્ડ કપ પર છે. તેણે કહ્યું કે ઈંગ્લેન્ડ સામેની 3 મેચની T20 સીરિઝ તેના માટે એખ શાનદાર તક છે. એ ઓળખવા માટે કે ટી20 વર્લ્ડ કપથી પહેલા ટીમ ક્યા ઉભી છે.”
તેણે કહ્યું કે “ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણી અમારા માટે મહત્વપૂર્ણ છે. અહીંથી ભારત માટે દરેક મેચ મહત્વપૂર્ણ છે અને અમે આ શ્રેણીમાં પણ સારું પ્રદર્શન કરવા ઈચ્છીએ છીએ.” પોતાના પ્રદર્શન વિશે રોહિત શર્માએ કહ્યું કે “જ્યારે તમે ભારતનું નેતૃત્વ કરો છો ત્યારે સારું કરવાની ભૂખ ક્યારેય દૂર થતી નથી. તેથી આ વખતે પણ પહેલા જેવું કંઈ અલગ નથી.”
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં એજબેસ્ટન ટેસ્ટ રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ મેચમાં જે યુવા ખેલાડીઓને તક મળી છે તેમના પર સારૂ પ્રદર્શન કરવાની જવાબદારી છે. રોહિતે કહ્યું કે “આ ટીમમાં ઘણા એવા યુવા ખેલાડીઓ છે જેમણે IPL માં પોતાની ફ્રેન્ચાઇઝી ટીમ માટે સારું રમીને આ ટીમમાં જગ્યા બનાવી છે.”
તેણે કહ્યું, “આપણી સામે ઇંગ્લેન્ડનો મોટો પડકાર હશે. મને ખાતરી છે કે આ યુવા ખેલાડીઓ કે જેઓ પહેલાથી જ અહીં છે અને આયર્લેન્ડ સામે અને કેટલીક પ્રેક્ટિસ મેચોમાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે તેઓ T20 શ્રેણીમાં પણ આમ કરવાનું ચાલુ રાખશે.” દેશની બહાર પ્રથમ વખત રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટી20 મેચમાં કેપ્ટન તરીકે ઉતરશે. આ પહેલા આયર્લેન્ડ સામે હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી.