BCCI SGM: આજે IPL અને T20 વિશ્વકપને લઇ BCCI આપી શકે છે મોટા સમાચાર, અનેક મુદ્દે બેઠકમાં થશે ચર્ચા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની આજે વિશેષ સાધારણ સભા (Special General Meeting) મળનારી છે. BCCI વડા સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની અધ્યક્ષતામાં બેઠક દરમ્યાન કેટલાક મોટા નિર્ણયો લેવાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની આજે વિશેષ સાધારણ સભા (Special General Meeting) મળનારી છે. BCCI વડા સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ની અધ્યક્ષતામાં બેઠક દરમ્યાન કેટલાક મોટા નિર્ણયો લેવાશે. ખાસ કરીને IPL 2021 ની બાકી રહેલી 31 મેચોના આયોજનને લઇને પણ નિર્ણય લેવાઇ શકે છે. જ્યારે T20 વિશ્વકપ (World Cup) ના બાબતે પણ સ્થળ અંગેની ચર્ચા મુખ્ય મુદ્દામાં રહેશે.
હાલમાં ભારતમાં કોરોનાની બીજી લહેરની વિકટ પરિસ્થિતીને લઇને T20 વિશ્વકપના આયોજનને લઇને મુશ્કેલીઓ ઉભી થઇ છે. તો બીજી તરફ બીસીસીઆઇના આયોજન હેઠળ જ ટુર્નામેન્ટ ને યુએઇ ખસેડવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. આઇસીસી દ્વારા પણ બેકઅપ પ્લાન માટે પહેલાથી જ આ સંદર્ભમાં કહેવાયું હતું.
બીસીસીઆઇ T20 વિશ્વકપની મહત્વની ટુર્નામેન્ટને ભારતમાં જ રમાડવા માટે ઇચ્છે છે. જોકે આગામી 1 જૂને ICC ની બોર્ડ મીટીંગ મળનારી છે. જેમાં વિશ્વકપ મુખ્ય મુદ્દો રહીને તેના આયોજન અંગે નિર્ણય લેવાઇ શકે છે. આમ તે પહેલા બીસીસીઆઇ ભારતમાં આયોજનને લઇને ICC સમક્ષ પોતાનો પક્ષ તૈયાર રાખી શકે છે.
આઇપીએલ મુખ્ય મુદ્દો
આઇપીએલ 2021 ની બાકીની મેચોનુ આયોજન 18-20 સપ્ટેમ્બરથી શરુ થવાની આશાઓ છે. જે 10 ઓક્ટોબરે સમાપ્ત થઇ શકે છે. જે યુએઇમાં આઇપીએલ 2020 ની માફક અબૂધાબી, દુબઇ અને શારજાહમાં રમાઇ શકે છે.
મીડિયા રિપોર્ટસ મુજબ બીસીસીઆઇના એક અધિકારીએ બેઠક પહેલા આઇપીએલને મુખ્ય મુદ્દો હોવાનુ કહ્યુ હતું. તેમણે કહ્યુ હતુ કે, ફાઇનલ સહિત ચાર પ્લેઓફ મેચ ઉપરાંત 10 ડબલ હેડર મેચની આશા કરી એ છીએ. જેમાં સાત સિંગલ હેડર મેચ રહી શકે છે. લીગ વિકએન્ડમાં શરુ થશે. ફાઇનલ પણ વિકએન્ડમાં રમાશે.
વિદશી ખેલાડી અને બાયોબબલ સંદર્ભે ચર્ચા
દરમ્યાન બાયોબબલ સંદર્ભે અને વિદેશી ખેલાડીઓના જોડાવવા સહિત તેના સંબંધિત અનેક બાબતોની પણ ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇંગ્લેંડ દ્વારા પહેલાથી જ તેમના ખેલાડીઓ આઇપીએલ નહી રમે એમ કહી ચુક્યું છે. ભારતીય ટીમ 14 સપ્ટેમ્બરે ઇંગ્લેંડ પ્રવાસ બાદ સીધી જ આઇપીએલના બાયોબબલમાં પહોંચી શકે છે.