BCCI: અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની ઈંગ્લેન્ડ જવાની વાતે આઈપીએલના આયોજનને લઈને અટકળો શરુ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહ (Jay Shah) બંને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચને લઈને ઇંગ્લેંડ જઈ શકે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સચિવ જય શાહ (Jay Shah) બંને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship)ની ફાઈનલ મેચને લઈને ઇંગ્લેંડ જઈ શકે છે. આગામી 18મી જૂનથી ઇંગ્લેંડના સાઉથમ્પટનમાં ફાઈનલ મેચ રમાનારી છે. BCCI ના સુત્રોએ મીડિયાને કહ્યુ હતુ કે, યોજના અનુસાર બોર્ડ અધ્યક્ષ અને સચિવ બંને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ માટે સાઉથમ્પટનમાં ઉપસ્થિત રહેશે.
આ દરમ્યાન બંને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે આઈપીએલ 2021ની સિઝનની બાકી રહેલી 31 મેચોને બ્રિટનમાં આયોજીત કરવાની સંભાવનાની ચર્ચા કરી શકે છે. સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નિતીગત નિર્ણયોને લઈને પણ ચર્ચા કરી શકે છે.
આઈપીએલ બાયોબબલમાં અનેક ખેલાડીઓ અને સ્ટાફ કોરોના વાયરસ સંક્રમિત થવા બાદ ટુર્નામેન્ટને અચાનક જ સ્થગીત જાહેર કરી દેવાઈ હતી. મિડલસેક્સ, સરે, વારવિકશર અને લેન્કશાયર કાઉન્ટી ટીમોએ આઈપીએલની બાકી રહેલી મેચોને લઈને યજમાન થવા ઈચ્છા દર્શાવી હતી.
આ ઉપરાંત ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પિટરસને પણ આઈપીએલને તેમના દેશમાં યોજવા માટે વકીલાત કરી હતી. પિટરસને એક કોલમ લખવા દરમ્યાન કહ્યું હતુ કે, ઈંગ્લેંડ અને ભારત વચ્ચે રમાનારી ટેસ્ટ બાદ થોડોક સમય રહેશે. ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પહેલાથી જ અહીં હશે. આ સાથે જ ઈંગ્લેંડના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ પણ ઉપલબ્ધ હશે.
તો વળી ભારતીય ટીમ ઈંગ્લેંડ પ્રવાસ દરમ્યાન સૌથી પહેલા ન્યુઝીલેન્ડ સામે 18 જૂનથી શરુ થનારી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડીયા આગળના એક મહિના સુધી સુધી ઈંગ્લેન્ડમાં જ રહેશે. 4 ઓગષ્ટથી ઈંગ્લેંડની સામે 5 મેચોની ટેસ્ટ સિરીઝ શરુ થશે. જે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી જારી રહેશે. આવામાં ભારતીય ટીમનો પ્રવાસ ત્રણેક મહિના જેટલો લાંબો ચાલી શકે છે.
આ પણ વાંચો: BCCI: ટીમ ઇન્ડીયા માટે પસંદગીકારોની ના પસંદ બનવાનુ કારણ સામે આવ્યુ, પૃથ્વી શો ‘ભારે’ લાગી રહ્યો છે