BCCI ની પાસે વિરાટ કોહલીને ટીમથી બહાર કરવો પોષાય એમ નથી, આ માટે ઈંગ્લીશ ક્રિકેટરે આર્થિક કારણ ધર્યુ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) લાંબા સમયથી રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા દિગ્ગજોએ તેને ટીમમાંથી બહાર કરવાની વાત કરી છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એક સમયે પોતાના રેકોર્ડ અને શાનદાર બેટિંગ માટે જાણીતા હતા. જો કે, તાજેતરના ભૂતકાળમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે માત્ર કોહલીની ટીકાના જ સમાચાર પ્રકાશિત થાય છે. તે લાંબા સમયથી રન માટે લડી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેને ભારતીય ટીમ (Indian Cricket Team) માંથી બહાર કરવાની ચર્ચા ચાલી રહી છે. જો કે ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનરે આ અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે કોહલીને ટીમમાંથી હટાવવો આસાન નહીં હોય કારણ કે BCCI ને આ માટે ઘણી હિંમતની જરૂર પડશે.
કોહલીની હકાલપટ્ટીની અસર BCCIની તિજોરી પર પડશે
મોન્ટી પાનેસરે એક મીડિયા અહેવાલમાં કહ્યું, તે મુશ્કેલ છે કારણ કે તે વિશ્વમાં સૌથી વધુ વેચાતો ક્રિકેટર છે. તેને સચિન તેંડુલકર બાદ આ સ્થાન મળ્યું છે. તેથી આર્થિક રીતે દરેક વ્યક્તિ માત્ર વિરાટ કોહલીને બેટિંગ કરતો જોવા માંગે છે અથવા તેને મેદાન પર જોવા માંગે છે. ચાહકો તેને ખૂબ પ્રેમ કરે છે. આપણે બધા માત્ર વિરાટ અને તેના નેતૃત્વને પ્રેમ કરીએ છીએ. ફેન ફોલોઈંગના કારણે બીસીસીઆઈ પર એવું પણ દબાણ છે કે ભલે તે પ્રદર્શન કરે કે ન કરે, તેને રમાડવો પડશે જેથી સ્પોન્સર્સને ખુશ રાખી શકાય.
ભૂતપૂર્વ સ્પિનરે કહ્યું, ‘જ્યારે વિરાટ રમે છે ત્યારે સ્ટેડિયમ સ્પોન્સર્સથી ભરેલું હોય છે. વિરાટ કોહલીની રમતથી અન્ય બોર્ડને ઘણો ફાયદો થાય છે. પરંતુ શું વિરાટને રમાડવાનો નિર્ણય ભારત માટે સારો છે? આ સૌથી મોટો પ્રશ્ન છે જેને BCCI એ હલ કરવાની જરૂર છે. જ્યારે ટી20 વર્લ્ડ કપ અથવા વન ડે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટની વાત આવે છે, ત્યારે તે કદાચ વધુ પૈસા કમાય છે. કોચ રાહુલ દ્રવિડ અને સુકાની રોહિત શર્મા જેવા ખેલાડીઓ માટે આ ઘણું મુશ્કેલ બની રહ્યું છે.
વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે
વિરાટ કોહલી હાલમાં તેની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પહેલા તે સદી ફટકારવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો પરંતુ હવે તે તેના બેટમાંથી રન નથી નિકાળી રહ્યો. કપિલ દેવે પણ કહ્યું છે કે ટીમ હવે આ ખેલાડીને લઈ વેઠી રહી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં તેણે પ્રથમ દાવમાં 11 રન અને બીજા દાવમાં 20 રન બનાવ્યા હતા. આ પછી તે T20 સિરીઝમાં પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો.