IND vs PAK: કોહલી-રોહિતની નિષ્ફળતાનો ફાયદો ઉઠાવી ટીમ ઈન્ડિયાને રદ થયેલી મેચમાં સમસ્યાનો ઉકેલ મળ્યો
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં વરસાદના કારણે કોઈ પરિણામ ન આવ્યું, છતાં ભારતીય ટીમને એક ફાયદો થયો છે. લાંબા સમયથી ચાલી રહેલ મિડલ ઓર્ડરની સમસ્યાનો એક ઉકેલ હાલ ટીમને મળી ગયો છે. કેન્ડીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમ માત્ર 49 ઓવરની બેટિંગ કરી શકી હતી અને માત્ર 266 રન જ બનાવી શકી હતી, પરંતુ મેચમાં હાર્દિક અને ઇશાનની દમદાર બેટિંગ બાદ ભારતની એશિયા કપ અને વર્લ્ડ કપની સમસ્યાનું એક સમાધાન હાલ પૂરતું મળી ગયું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ (Asia Cup 2023) ની મેચમાં બોલ અને બેટની ટક્કર રોમાંચક રહી હતી. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અને પાકિસ્તાનની બોલિંગને જો કોઈ ક્રિકેટ નિષ્ણાત અને તટસ્થ ક્રિકેટ ચાહકના દૃષ્ટિકોણથી જુએ તો તે બોલ અને બેટ વચ્ચેની જોરદાર લડાઈનું ઉત્તમ ઉદાહરણ હતું. જો ભારતીય ટીમ (Team India) ના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ટોપ ઓર્ડરની નિષ્ફળતા તેમના માટે પરેશાન કરનારી રહી હશે, પરંતુ આ નિષ્ફળતામાં પણ તેમને સારો સંકેત મળ્યો છે, જે વર્લ્ડ કપ (World Cup 2023) ની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
પાકિસ્તાની બોલરો સામે ભારતનો ટોપ ઓર્ડર ‘ફ્લોપ’
કેન્ડીના પલ્લેકેલે મેદાન પર, ભારતીય ટીમે ઝડપી બોલરો માટે અનુકૂળ પીચ પર પ્રથમ બેટિંગ કરી પરંતુ જે ધાર્યું હતું તે થયું નહીં. ફાસ્ટ બોલર શાહીન શાન આફ્રિદી અને હરિસ રઉફે સાથે મળીને ભારતીય બેટિંગ ઓર્ડરના પ્રથમ ચાર દિગ્ગજ ખેલાડીઓને 15 ઓવરની અંદર પેવેલિયન પરત મોકલી દીધા હતા. તે સમયે સ્કોરબોર્ડ પર માત્ર 66 રન હતા. આવી સ્થિતિમાં મોટો સ્કોર બનાવવાની તકો ઓછી હોવાનું નિશ્ચિત લાગતું હતું. આમ છતાં ટીમ ઈન્ડિયા 266 રન સુધી પહોંચી ગઈ.
Ishan Kishan departs, but only after a solid knock of 82 off 81 deliveries.
Live – https://t.co/L8YyqJF0OO… #INDvPAK pic.twitter.com/9goYe8sDO9
— BCCI (@BCCI) September 2, 2023
ઇશાન કિશને હાર્દિક પંડ્યા સાથે 138 રનની ભાગીદારી કરી
ટીમ ઈન્ડિયાને આ સ્થાન સુધી લઈ જવામાં વાઇસ કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોટી ભૂમિકા ભજવી હતી, જેણે 87 રન બનાવ્યા હતા. ઇશાન કિશને પંડ્યા સાથે મળીને આ કામ પાર પાડ્યું હતું. ઈશાને હાર્દિક સાથે મળીને 138 રનની ભાગીદારી કરી હતી અને તે પોતે 82 રનની જોરદાર ઈનિંગ રમીને આઉટ થયો હતો. ઈશાનની આ ઈનિંગ માત્ર એટલા માટે ખાસ ન હતી કારણ કે તેણે ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું, પરંતુ તેણે એક મોટા સવાલનો જવાબ પણ આપ્યો હતો જે ટીમ ઈન્ડિયાને પરેશાન કરી રહ્યો હતો.
પાંચમા નંબરે બેટિંગ કરી ટીમને સંભાડી
હકીકતમાં આ મેચમાં ઈશાન વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો. અગાઉ, તેણે વનડેમાં ઓપનિંગ કરતી વખતે સતત રન બનાવ્યા હતા, જ્યારે મિડલ ઓર્ડરમાં નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં સતત સવાલ ઉઠી રહ્યો હતો કે શું ટીમ ઈન્ડિયા ઈશાન માટે બેટિંગ ઓર્ડર બદલશે? શું કોહલી કે રોહિત મિડલ ઓર્ડરમાં આવશે? આવું ન થયું અને ઈશાનને પાંચમા નંબરે મેદાનમાં ઉતારવામાં આવ્યો, જ્યાં કેએલ રાહુલ રમે છે. પાકિસ્તાન સામે નબળી સ્થિતિમાં પહોંચેલી ટીમ ઈન્ડિયાને ઇશાન કિશને પાંચમા નંબરે બેટિંગ કરી સંભાડી હતી અને કાઉન્ટર એટેક કરીને પાકિસ્તાનને બેક ફૂટ પર ધકેલી દીધું.
Vice-Captain @hardikpandya7‘s valiant knock comes to an end on 87.
Live – https://t.co/L8YyqJF0OO…… #INDvPAK pic.twitter.com/iVfyraVx7r
— BCCI (@BCCI) September 2, 2023
વર્લ્ડ કપ પહેલા મુશ્કેલી દૂર થઈ
કહેવાય છે કે કેટલીકવાર કંઈક ગુમાવવાથી કંઈક પ્રાપ્ત થઈ જાય છે. ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનને એવી જ રીતે શોધી કાઢ્યો છે. તેને કેએલ રાહુલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં તક મળી કારણ કે રાહુલ ગ્રુપ સ્ટેજ માટે ફિટ નહોતો. મિડલ ઓર્ડરમાં ઈશાનને રમાડવા અંગે પણ શંકા હતી. ઈશાને ન માત્ર આ શંકાઓને ખોટી સાબિત કરી, પરંતુ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પોતાનો દાવો પણ દાખવ્યો. એ પણ સ્પષ્ટ થઈ ગયું કે વિકેટકીપર-બેટ્સમેન તરીકે તેને બેટિંગ ઓર્ડરમાં ખલેલ પહોંચાડ્યા વિના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. હવે ટીમની સામે ચિંતા એ રહેશે કે રાહુલ કે ઈશાનમાંથી કોની પસંદગી કરવી અને કેપ્ટન રોહિત શર્માને આ માથાનો દુખાવો ચોક્કસ ગમશે.