West Bengal Violence : West Bengal માં ચૂંટણીના પરિણામો બાદથી ચાલી રહેલી હિંસા વચ્ચે ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. કોલકાતા એરપોર્ટ પર જેપી નડ્ડાએ હિંસા અંગે ટીએમસીને ચેતવણી આપતા કહ્યું હતું કે અમે લોકશાહી રીતે લડવા તૈયાર છીએ. જે.પી.નડ્ડાએ કહ્યું, ‘અમે વૈચારિક લડાઇ માટે પૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. ટીએમસીની પ્રવૃત્તિઓ અસહિષ્ણુતાથી ભરપૂર છે. અમે લોકશાહી રીતે તેની સામે લડવા તૈયાર છીએ. હું હવે દક્ષિણ 24 પરગણા જઈશ અને હિંસામાં પોતાનો જીવ ગુમાવનાર ભાજપના કાર્યકરોના સંબંધીઓને મળીશ. ભાજપના વરિષ્ઠ નેતાઓ કૈલાસ વિજયવર્ગીય અને ભૂપેન્દ્ર યાદવ પણ જેપી નડ્ડા સાથે બંગાળ પહોંચ્યા છે.
જે.પી.નડ્ડાએ કહ્યું કે બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી જે બન્યું તે ઘટનાઓથી અમે ચિંતિત છીએ અને આઘાત પામ્યા છીએ. મેં ભારતના ભાગલા વખતે જ આવી ઘટનાઓ સાંભળી હતી. સ્વતંત્ર ભારતમાં ચૂંટણીના પરિણામો પછી આવી હિંસા આપણે કદી જોઇ ન હતી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરીને ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, ભાજપે હિંસાની સીબીઆઈ તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી હિંસાની સીબીઆઈ તપાસની માંગ
એડવોકેટ ગૌરવ ભાટિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેમાં માંગ કરવામાં આવી છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ થયેલી ભયાનક હિંસાની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે. આ ઉપરાંત તેમણે અરજીમાં સુપ્રીમ કોર્ટમાંથી માંગણી કરી છે કે તેમણે બંગાળ સરકારનો રિપોર્ટ મંગાવવો જોઇએ કે ચૂંટણી પરિણામો પછી થયેલી હિંસાને રોકવા માટે તેમના દ્વારા કયા પગલા લેવામાં આવ્યા છે. દરમિયાન, ભાજપ કાર્યકરની પત્ની શેફાલી દાસે કહ્યું છે કે ટીએમસી કેડરે દક્ષિણ 24 પરગણાના ઘણા વિસ્તારોમાં દુકાનો અને મકાનોમાં તોડફોડ કરી છે. શેફાલી દાસે કહ્યું, ‘2 મેના રોજ ટીએમસીના ગુંડાઓ દ્વારા મારા ઘર પર હુમલો કર્યો હતો, કેમ કે મારા પતિ ભાજપના મતદાન એજન્ટ હતા. તેઓએ અમને મિલકત વેચવાની અને ઘર છોડી દેવાની ધમકી પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જે ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું હતું કે પરિણામો બાદ 700 થી વધુ ગામોમાં હિંસા થઈ છે અને ભાજપના નવ કાર્યકરોની હત્યા કરવામાં આવી છે.
Published On - 4:47 pm, Tue, 4 May 21