West Bengal Election : રાહુલ ગાંધીએ કેન્સલ કરી તમામ રેલીઓ, દીદી પણ નહીં કરે કોલકત્તામાં પ્રચાર, મોદી અને શાહની આગામી 14 રેલીઓ પર તમામની નજર
બંગાળમાં કોરોનાની હાલની સ્થિતી જોતા કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પોતાની દરેક રેલીઓને રદ્દ કરવાની જાહેરત કરી
West Bengal Election : કોરોનાના સંકટ વચ્ચે થઇ રહેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બંગાળમાં પોતાની દરેક રેલીઓને રદ્દ કરવાની જાહેરત કરી જે બાદ તરત જ ટીએમસી (TMC) પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ કોલકત્તામાં પ્રચાર નહી કરવાની અને બાકીની રેલીઓનો સમય ઓછો કરવાની જાહેરાત કરી.
દેશભરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે. પશ્ચિમ બંગાળમાં ગત 24 કલાકમાં 8419 નવા કેસ સામે આવ્યા છે સાથે જ 28 લોકોના મોત થયા છે. આવી પરિસ્થિતીમાં બંગાળમાં યોજાઇ રહેલી ચૂંટણીઓ સામે દેશભરમાં સવાલ ઉઠી રહ્યા છે. પરિસ્થિતીને જોતા રાહુલ ગાંધીએ કૉંગ્રેસની પ્રચાર રેલીઓને રદ્દ કરી છે અને મમતા બેનર્જીએ પણ કોલકત્તામાં પ્રચાર ન કરવાની જાહેરાત કરી છે. અન્ય પાર્ટીઓના આ નિર્ણય બાદ બીજેપીએ “અપના બૂથ કોરોના મુક્ત” અભિયાન શરૂ કર્યુ છે.
પીએમ મોદીની 6 અને શાહની આગામી 8 રેલીઓ પર લોકોની નજર
બંગાળમાં કોરોનાનું સંકટ જોતા કૉંગ્રેસ અને ટીએમસીએ તો મહત્વના નિર્ણય લીધા છે પરંતુ હવે દેશભરના લોકોની નજર બીજેપીની આગામી રેલીઓ પર હશે. બંગાળમાં હજી પણ ત્રણ ચરણનું મતદાન બાકી છે. રાજ્યમાં 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે આગામી ચરણનું મતદાન થવાનું છે જેને લઇને આગામી 8 દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 6 અને અમિત શાહની 8 રેલીઓ થવા જનાર છે.
રાહુલ ગાંધીએ રેલીઓ રદ કરી
કોરોનાથી બગડતા હાલાત વચ્ચે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની તમામ રેલીઓ રદ કરવાની જાહેરાત કરી છે. બંગાળમાં હમણાં સુધી થયેલા પ્રચારમાં રાહુલ ગાંધી ફક્ત એક વાર રેલી કરવા માટે બંગાળ ગયા હતા. તેમણે ચોથા ચરણના છેલ્લા દિવસે બે જનસભાને સંબોધિક કરી હતી. હવે તેમણે બધા કાર્યક્રમ રદ્દ કરીને અન્ય પાર્ટીઓને પણ રેલીઓ રદ્દ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે ‘કોરોનાની હાલની સ્થિતીને ધ્યાનમાં લઇને હુ બધી રેલીઓને સ્થગિત કરુ છુ. હુ બધા નેતાઓને અપીલ કરુ છુ કે હાલની પરિસ્થિતીમાં પ્રચાર અને રેલીઓ કરવાને લઇને એક વાર ઉંડાણપૂર્વક વિચાર કરે’
રાહુલ ગાંધીની જાહેરાત બાદ તમામ પાર્ટીઓ પર દબાણ ઉભુ થવા લાગ્યુ અને રાહુલ ગાંધીની જાહેરાત બાદ તુરંત જ મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેમની પાર્ટી કોલકત્તામાં પ્રચાર નહી કરે અને બાકીની રેલીઓનો સમય પણ ઘટાડી દેશે. બંને પાર્ટીના આ નિર્ણય બાદ પણ ભાજપ તરફથી રેલીઓ અને સાર્વજનિક કાર્યક્રમો રદ્દ કરવાને લઇને કોઇ જાહેરાત થઇ નથી.