સંસદની રક્ષા સમિતિની બેઠકમાંથી Rahul Gandhi સહિત કોંગ્રેસ સાંસદોનું વોકઆઉટ, LAC મુદ્દે કરવા માંગતા હતા ચર્ચા
રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સમિતિના અધ્યક્ષે તેને મંજૂરી આપી ન હતી અને તેથી તેમણે બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)અને પાર્ટીના અન્ય સાંસદોએ બુધવારે સંરક્ષણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાંથી સરહદ મુદ્દે ચર્ચા કરતી વખતે વોકઆઉટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સમિતિના અધ્યક્ષે તેને મંજૂરી આપી ન હતી અને તેથી તેમણે બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું.
આ મુદ્દા એજન્ડામાં પૂર્વનિર્ધારિત ન હતા
સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ પાકિસ્તાન સરહદ પર ચીનના આક્રમક વલણ અને અફઘાનિસ્તાનના ઘણા વિસ્તારોમાં તાલિબાનના કબજા સહિતના ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આ અંગે પણ ચર્ચા થવી જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિતિના વડા અને ભાજપના નેતા જુઅલ ઓરાંવે આ અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દા એજન્ડામાં પૂર્વનિર્ધારિત નથી.
ગયા વર્ષે ડિસેમ્બરમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદો ભારતીય સુરક્ષા દળોના ડ્રેસ પર ચર્ચા દરમિયાન સંસદીય સમિતિની બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે આ બેઠકમાં ભારતીય સુરક્ષા દળોની ડ્રેસ શૈલી અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે રાજકીય લોકો છીએ અને સુરક્ષા દળોના ડ્રેસ અને બેચ અંગે નિર્ણય લેનારા આપણે નથી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય ફક્ત સુરક્ષા દળો દ્વારા લેવાની છૂટ હોવી જોઈએ.
લોકસભાના અધ્યક્ષને પત્ર લખ્યો
રાહુલ ગાંધીએ ડિસેમ્બર 2020 માં સંસદીય સમિતિની બેઠક અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે સંસદીય સમિતિની બેઠકમાં તેમને બોલવાની મંજૂરી આપવામાં આવી નથી. તેમણે લોકસભા અધ્યક્ષને વિનંતી કરી કે તેઓ આ મામલે દખલ કરે. તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા સાંસદોને કોઈપણ અવરોધ વિના સંસદીય સમિતિની બેઠકોમાં બોલવાની તક મળે તે સુનિશ્ચિત થવું જોઈએ.
પૂર્વી લદ્દાખમાં રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચેના ડિસએન્ગેજન્મેન્ટ પ્રક્રિયા અંગે વારંવાર પ્રશ્નો ઉભા કર્યા છે. તેમણે અનેક વખત આક્ષેપ કર્યો હતો કે સરકારે ભારતનો વિસ્તાર ચીનને આપ્યો છે. ફેબ્રુઆરીમાં પેંગોંગત્સોના લેક કાંઠે નિકાલની પ્રક્રિયા દરમ્યાન તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે જ્યારે ભારતની સરહદ ફિંગર ફોર સુધી જાય છે ત્યારે સરકારે અમારી સૈન્યને ફિંગર 4 થી ફિંગર 3 પર પાછા લાવવાની શરત કેમ સ્વીકારી?
ગયા વર્ષે 5 મેના રોજ ભારત અને ચીન વચ્ચેનો વિવાદ શરૂ થયા પછી બંને પક્ષોએ આ વર્ષે ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવની ઉત્તરી અને દક્ષિણ કાંઠેથી સૈન્ય અને હથિયારો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી વાતચીત થયા બાદ થયેલ કરાર હેઠળ આ ડિસએન્ગેજન્મેન્ટ કરવામાં આવ્યું હતું. જો કે, હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપ્સસંગ જેવા વિસ્તારોમાં હજુ પણ વિવાદ યથાવત છે.
આ પણ વાંચો : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મળી મોટી જવાબદારી, ભાજપે રાજયસભામાં ગૃહના નેતા નિયુક્ત કર્યા
આ પણ વાંચો : Dia Mirza ના ઘરે આવ્યો નાનો સભ્ય, અભિનેત્રીએ આપ્યો એક પુત્રને જન્મ