
ધોળેશ્વર મંદિર સામે સાબરમતિના પટમાં તાજેતરમાં એક ઘુમ્મટ દેખાઇ આવ્યો છે. જેને લઇને ભાવિકોમાં અનેક ચર્ચા ચાલી છે. ત્યારે મંદિરના મહંત રામસ્વરૂપજીએ જણાવ્યુ હતું કે નદીને પવિત્ર માનવામાં આવે છે. જેથી આજે પણ દરેક નાગરિક માતાજીની ખંડિત થયેલી મૂર્તિ, ફોટા તેમજ વાર તહેવારે પૂજાપા સહિતની સામગ્રી નદીમાં પધરાવે છે. ત્યારે આ પણ કોઇ જગ્યાએથી તણાઇને આવ્યુ હોય અથવા કોઇએ પધરાવ્યુ હોય તેવી શક્યતા છે. નદીના પટનું ધોવાણ થવાના કારણે ઉપર દેખાઇ આવ્યુ છે. હજુ પણ જો નદીનુ સ્તર નીચું જાય તો કેટલીયે મૂર્તિઓ મળી આવે.

વૈદિક ધર્મના પુરાણો તરીકે મહર્ષિ વેદ વ્યાસ કૃત 18 પુરાણોમાંના ઉત્તર ક્રિયાખંડ અધ્યાય 151 અને સ્ક્ન્દ પુરાણ ધર્મારણ્ય ખંડમાં ઇન્દ્રેશ્વર મહાત્મ્ય તરીકે વર્ણન કરેલુ છે. ધોળેશ્વર મંદિરે ભગવાન શંકરાચાર્યના સમયથી મહંત પરંપરા અવિરત ચાલી આવી રહી છે અને 27 સંતો આ પરંપરાને શોભાવી ચૂક્યા છે. પૌરાણિક ઇતિહાસ પ્રમાણે અહીં શિવલિંગની સ્થાપના ઇન્દ્રએ કરી હતી. પૃથ્વી ઉપર આ શિવલિંગ ઇન્દ્ર નામથી ઓળખાયુ હતું. ત્યારબાદ ધોળેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું.

આ ધોળેશ્વર મહાદેવનું નામ ભગવાન ઇન્દ્ર ઉપરથી પડ્યું છે જેની એક પૌરાણિક વાર્તા એવી છે કે ભગવાન ઇન્દ્રનું શરીર એકદમ કાળુ પડી ગયું હતું ત્યારે તેઓ અહીંયા આવીને તપ કર્યું હતું અને અને તેમનું શરીર ધોળું થઈ ગયું હતું જેથી તેના ઉપરથી આ મંદિરનું નામ ધોળેશ્વર મહાદેવ પડ્યું છે

ગાંધીનગર શહેરની પાસે આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરનુ પૌરાણિક દષ્ટીએ અનેરુ મહત્વ છે. વર્ષ દરમિયાન અહીં સતત ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. શ્રાવણી આઠમે મેળો ભરાય છે. તેમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. સંતોની પરંપરા અહિયા અખંડ ચાલતી આવી છે. પદ્મ પુરાણના ઉત્તર ક્રિયાખંડમાં વર્ણવ્યુ છે કે ભગવાન ધોળેશ્વરનો ઇતિહાસ મહારાજા પૂના પેશ્વોનાં સમયનો છે. ધોળેશ્વર મંદિરને ગુજરાતના કાશી વિશ્વનાથની ઉપમા અપાઇ છે. જે વ્યક્તિ કાશીમાં વિશ્વનાથના દર્શન નથી કરી શકતો તેને કલયુગમાં ગંગા કશ્યપ પુત્રી સાબરમતીનુ સ્નાન અને ભગવાન ધોળેશ્વરના દર્શન કરી કાશીમાં ગંગા સ્નાન અને કાશી વિશ્વનાથના દર્શનનું ફળ મળે છે.