શું ‘ધ ચિત્તા રિટર્ન્સ’ સફળ થશે ? ભારતનું વાતાવરણ નામીબિયાના ચિત્તાને અનુકુળ આવશે કે ક્યાંક ‘શિકારી’ પોતે જ શિકાર બની જશે
Cheetah In India : ભારતમાં કાલે 7 દશક બાદ ચિત્તાનું આગમન થશે. ભારતમાં ફરી ચિત્તાની ત્રાડ સંભળાશે. ત્યારે સવાલ એ થાય કે આ ચિત્તા ભારતની ધરતી પર ટકી શકશે ? ભારતનું વાતાવરણ નામીબિયાથી આવી રહેલા 8 ચિત્તાઓને અનુકુળ આવશે કે નહીં. ક્યાંક આ ચિત્તા પોતે જ શિકાર ન બની જાય.
Cheetah coming to India: ભારતમાં 7 દશક બાદ ચિત્તા આવી રહ્યા છે. 7 દશક બાદ ચિત્તાનું આગમન થશે અને ભારતમાં ફરી ચિત્તાની ત્રાડ સંભળાશે. ત્યારે કેટલાક સવાલો આજે ભારતના લોકોને થઈ રહ્યા છે. સવાલ એ થાય કે આ ચિત્તા ભારતની ધરતી પર ટકી શકશે ? ભારતનું વાતાવરણ નામીબિયાથી આવી રહેલા 8 ચિત્તાઓને અનુકુળ આવશે કે નહીં. ક્યાંક આ ચિત્તા (Cheetah) પોતે જ શિકાર ન બની જાય. તેના માટે કેટલાક ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કૂનો નેશનલ પાર્કમાં પણ તેના માટેની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ચાલો જાણીએ કે કેમ આવા સવાલો ઉઠી રહ્યા છે.
કોઈપણ પ્રાણી જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેના સ્વાસ્થ્ય પર બદલાયેલા વાતાવરણની અસર પડે છે. સવાલો એટલે પણ ઉઠી રહ્યા છે કે નામીબિયામાં આટલા વર્ષોથી રહ્યા પછી તેમને ભારતનું વાતાવરણ ફાવશે કે નહીં. તેનાથી તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડશે ?
મધ્ય પ્રદેશના શ્યોપુરમાં કૂનો નેશનલ પાર્કના 750 વર્ગ કિમીમાં લગભગ 2 ડઝન ચિત્તાઓના વસવાટ માટે અનુકુળ વાતાવરણ છે. હવે સવાલ થાય કે વિદેશથી આવી રહેલા ચિત્તાઓ ભારતમાં સર્વાઇવ કરી શકશે કે નહીં. એવા ઘણા બધા રિપોર્ટસ સામે આવ્યા છે જેમાં ચિંતા વ્યકત થઇ છે કે ચિત્તાઓને સર્વાઇવ કરવા માટે ઘણા વિશાળ એરિયાની જરૂર હોય છે. એવામાં ભારતમાં ચિત્તાઓનું પુનર્વસન પડકારરુપ બની શકે છે. સાથે જ અહીંના વાતાવરણમાં ચિત્તાઓનું રહેવું પણ થોડું મુશ્કેલીભર્યું છે. જો કે હાલમાં ચિત્તાઓ ભારત આવે છે એ જ મોટી ઉપલબ્ધી છે. એમના સ્વાગત માટે મોટા સ્તરે તૈયારીઓ ચાલી રહી છેજણાવી દઈ કે તેવા માટે થોડા વર્ષો પહેલા મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કના વાતાવરણની તપાસ થઈ હતી. અને અભ્યાસ પછી આ જગ્યાને ચિત્તાઓ માટે અનુકુળ ગણવામાં આવ્યુ હતું.
જંગલ છે દુશ્મનોથી ભરપૂર
ચિત્તા ખૂબ ચપળ છે, પરંતુ જંગલ તેના દુશ્મનોથી ભરેલુ છે. સિંહ અને હાયના તેનો પીછો કરે છે અને તક મળતાં જ તેને મારી નાખે છે. ખાસ કરીને જ્યારે ચિત્તા બચ્ચા હોય છે. બચ્ચાને જંગલી કૂતરા ખાઈ જાય છે. એવું માનવામાં આવે છે કે 95 ટકાથી વધુ ચિત્તાઓ તેમના બાળપણમાં જંગલમાં માર્યા જાય છે. 70 ટકા ચિત્તા 3 મહિનાની ઉંમરે પહોંચે તે પહેલાં જ મારી નાખવામાં આવે છે. તેમની ઘટતી વસ્તીનું આ પણ એક મોટું કારણ છે. સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝના ડાયરેક્ટર ઉલ્લાસ કરંથે નેશનલ જિયોગ્રાફિક સાથેની વાતચીતમાં આ ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે તેમને આ પ્રોજેક્ટથી કોઈ વાંધો નથી, પરંતુ અચાનક જ ચિત્તાઓને માણસોની વચ્ચે જંગલમાં લાવીને છોડી દેવા ન આવવા જોઈએ.
કૂનો સુધી સીમિત ન રાખી શકાય ચિત્તાઓને
માત્ર કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓને કેદમાં રાખી શકાય નહીં. પરંતુ જંગલની બહાર, તેમના માટે જોખમ છે. જો તેઓ પોતાનો રસ્તો ભૂલીને ક્યાંક દૂર જાય છે, તો તે મુશ્કેલ બની શકે છે. 24 કલાક તેમની દેખરેખ રાખવી એક મોટો પડકાર હશે. જો ચિત્તા શિકારમાંથી બચી જાય તો પણ ભૂખે મરવાનો ભય રહેશે. ચિત્તા વજનમાં નબળા અને હલકા પ્રાણીઓને જ પોતાનો શિકાર બનાવે છે. જ્યારે સિંહ, વાઘ અને દીપડા જેવા પ્રાણીઓ ઓચિંતો હુમલો કરીને શિકાર કરે છે, પછી ભલે તે ગમે તેટલા મોટા હોય. આ જંગલી પ્રાણીઓને તેમના વિસ્તારમાં કોઈ પણ પ્રકારના પડકાર ઊભા કરતા બીજા પ્રાણીઓ જોવાનું પસંદ નથી.
જણાવી દઈએ કે આ ચિત્તાઓને પહેલા મહિના સુધી નાના પાંજરામાં રાખવામાં આવશે. જ્યારે તેઓને અહીં રહેવાની આદત પડી જશે, ત્યારે તેઓને એક મોટા પાંજરામાં છોડી દેવામાં આવશે. થોડા મહિના પછી, તેઓને જંગલમાં ખુલ્લા છોડી દેવામાં આવશે.