શુ હવે ભાજપ વિચારસરણી બદલી રહ્યું છે કે વિસ્તરણ કરી રહ્યું છે ? મોદીએ માત્ર મુસ્લિમોની જ વાત નથી કરી, જાણો
2024ની ચૂંટણી પહેલા ભાજપે ફરી એક વખત મોટો દાવ લગાવ્યો છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને લઈને આપેલા સંબોધનને, મુસ્લિમો પર ભાજપનો નવો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. PM મોદીના મુસ્લિમો અંગેના નિવેદનનો અર્થ આ છ મુદ્દામાં સમજો.

ચૂંટણીના સંદર્ભમાં વર્ષ 2023 અને 2024નું શું મહત્વ છે ? આ વાત કોઈનાથી છુપાયેલી નથી. 2023માં દેશના નવ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી અને 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી ભાજપ માટે મહત્વની છે. એ વાત તો સ્પષ્ટ છે કે 2023માં યોજાનાર રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 2024ની સેમીફાઇનલ સ્વરુપ હશે. અને આ જ કારણ છે કે દેશની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે તેની ચૂંટણીની રણનીતિ માત્ર રાજકીય જ નહીં, સામાજિક પણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને સ્પષ્ટ ભાષામાં સંદેશ આપ્યો છે કે, તેઓ મુસ્લિમ સમુદાય વિશે ખોટા નિવેદનો ના કરે. દેશના મુસ્લિમોની વચ્ચે જાઓ અને તેમને મળો. વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને ખાસ કરીને શિક્ષિત મુસ્લિમ વ્યાવસાયિકો સુધી તેમનો સંદેશ પહોંચાડવા આહ્વાન કર્યું હતું. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને વ્હોરા સમુદાયના મુસ્લિમોને નામ લઈને મળવા અને તેમની વાત સાંભળવાની સૂચના આપી છે. પીએમએ તો ત્યાં સુધી કહ્યું કે, ફિલ્મો સામે બિનજરૂરી નિવેદનો ન આપો.
ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન સામાજિક અને રાજકીય બંને રીતે કેટલું મહત્વનું છે.
1 – ભાજપને વધુ વિસ્તરણની જરૂર છે
દેશના નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ એવા રાજ્યોમાં પણ પોતાની વોટબેંક વધારવા માંગે છે, જ્યાં પાર્ટી સત્તામાં નથી અને જનાધાર ઓછો છે. પાર્ટીને અગાઉ ઉજળીયાતોની પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હતી. એ પછી આ પાર્ટી સવર્ણ જાતિની પાર્ટી બની ગઈ. પરંતુ છેલ્લી 2 લોકસભાની ચૂંટણીઓ અને ઘણી વિધાનસભાની ચૂંટણીઓ પછી, OBC મતદારોમાં ભાજપનો આધાર અન્ય કોઈપણ રાજકીય પક્ષ કરતા વધુ વધ્યો છે. ભાજપ માટે હવે માત્ર લઘુમતી સમુદાય જ બચ્યો છે. જો બીજેપીએ નોર્થ ઈસ્ટથી લઈને જમ્મુ અને કાશ્મીર સુધી પ્રભુત્વ મેળવવું હોય તો તેનો સીધો અર્થ એ છે કે તેણે લઘુમતી સમુદાયોમાં પણ પ્રવેશ કરવો પડે.
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વડાપ્રધાન મોદીએ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને દેશના સરહદી વિસ્તારોમાં જઈને સ્થિતિ જોવા અને કામ કરવાની સલાહ પણ આપી હતી. તેમનો સંદર્ભ સ્પષ્ટપણે ઉત્તર-પૂર્વના રાજ્યો તરફ હતો. 2023માં નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ સાથે ત્રિપુરામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.
2-ભાજપના મુસ્લિમ વોટ શેરમાં સતત વધારો
સર્વે દર્શાવે છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપનો મુસ્લિમ વોટ શેર સતત વધી રહ્યો છે. CSDSના સર્વે અનુસાર, 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 4 ટકા મુસ્લિમ મત મળ્યા હતા, જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં આ વોટ શેર બમણાથી વધુ વધીને 9 ટકા થઈ ગયો હતો. સૌથી મહત્વનું એ છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મુસ્લિમ વોટબેંકમાં ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો માર્યો અને તે 20 ટકા સુધી પહોંચી ગયો. જો આપણે ભાજપના મુસ્લિમ વોટ શેરની વૃદ્ધિ પર નજર કરીએ તો દરેક ચૂંટણીમાં તે લગભગ બમણો થયો છે. મુસ્લિમોનો આ વોટ શેર ભાજપ માટે પ્રોત્સાહક છે. આવી સ્થિતિમાં, ભાજપ હવે ઇચ્છતી નથી કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ વોટ શેર ઘટે.
3-આંતરરાષ્ટ્રીય સ્તરે છબી સુધારવાની કવાયત
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત વિરૂદ્ધ ખૂબ જ નિવેદનબાજી થઈ રહી છે. 2002ના ગુજરાત રમખાણોથી, લઘુમતીઓની સુરક્ષા માટે ભારતને નિશાન બનાવવામાં આવ્યું છે. જે બાદ વર્ષ 2009માં ઓડિશાના કંધમાલમાં ઈસાઈઓ પર થયેલા હુમલા અંગે અમેરિકન કમિશને સવાલો ઉઠાવ્યા હતા. તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ભારતમાં લઘુમતીઓની સુરક્ષાને લઈને નિવેદન આપ્યું હતું. એન્ટોની બ્લિંકને યુએસસીઆઈઆરએફના અહેવાલને ટાંક્યો હતો. જેમાં વર્ષ 2021માં ભારતમાં ધાર્મિક સ્થિતિમાં ઘટાડો થવાની વાત કરવામાં આવી હતી. આ અહેવાલ પર ભારતમાં આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી. પરંતુ આનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વર્તમાન છબી પર ચર્ચા જગાવી છે.
સ્વાભાવિક છે કે, જો ભાજપના નેતાઓ અને કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નિવેદનને ધ્યાનમાં લે તો USCIRFનો રિપોર્ટ સુધરશે અને તેનાથી ચૂંટણીમાં મોટો ફરક પડશે.
4-ઈસ્લામિક દેશોમાં પાકિસ્તાનને એકલું પાડવું
જો કે ભારતે વારંવાર કહ્યું છે કે, લઘુમતીઓના મામલામાં પાકિસ્તાને પહેલા પોતાના દેશમાં તપાસ કરવી જોઈએ. કારણ કે પાકિસ્તાનમાં લઘુમતીઓની સ્થિતિ સૌ કોઈને જાણ છે. આમ છતાં પાકિસ્તાન અવારનવાર ભારતીય મુસ્લિમોની સ્થિતિને લઈને વાત કરતું રહે છે. પાકિસ્તાન વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં મુસ્લિમોને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જમ્મુ-કાશ્મીરની તસવીર બદલવાની હાકલ કરી છે. જ્યારે વડાપ્રધાને બીજેપી કાર્યકર્તાઓને સરહદી વિસ્તારોમાં કામ કરવાની સલાહ આપી ત્યારે તેનો સીધો સંબંધ જમ્મુ-કાશ્મીર સાથે પણ છે. કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. મોદી સરકાર ત્યાં સુધારા અને વિકાસને કાર્યોને સતત પ્રાથમિકતા આપી રહી છે. જો કે આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે કે નહીં તે સ્પષ્ટ નથી, પરંતુ કાશ્મીરમાં ભાજપનું મિશન જાણીતું છે.
5- સૌનો સાથ સૌનો વિકાસની વાતને યથાર્થ કરવી
વડાપ્રધાન મોદીનું સૌથી લોકપ્રિય સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. વર્ષ 2014થી જ વડાપ્રધાન મોદીએ દલિત પછાત વર્ગને સાથે લેવાની વાત કરી હતી. પીએમ મોદી પણ તેમના મિશનમાં સફળ થયા. મુસ્લિમોના વધતા વોટ શેરની જેમ, બીજેપીનો ઓબીસી વોટ શેર પણ વધ્યો, જેના કારણે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને વિક્રમી જીત મળી. પરંતુ વડાપ્રધાન મોદી જ્યારે હિંદુઓના દલિતો સાથે મળીને સૌના વિકાસની વાત કરે છે ત્યારે પછાત તેમજ લઘુમતી સમુદાયની દરેક રીતે વાત કરે છે. દેશની લઘુમતીઓમાં મુસ્લિમો સમુદાયની સંખ્યા સૌથી વધુ છે, તેથી વડાપ્રધાન ખુલ્લેઆમ મુસ્લિમ શબ્દનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને મુસ્લિમોમાં પસમંદા (પછાત) અને વ્હોરા સમુદાયનો ઉલ્લેખ કરે છે.
6-પસમન્દા પર દાવ
મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ આપ્યા બાદ ભાજપે પસમન્દા મુસ્લિમો પર રાજકીય પાસાં ફેંક્યા છે. પસમન્દા એટલે પછાત. એક આંકડા મુજબ, દેશમાં મુસ્લિમોની કુલ વસ્તીના 85 ટકા લોકો પસમંદા મુસ્લિમોની છે. આ સમુદાય મુસ્લિમ સમુદાય વચ્ચે પોતાની અલગ સામાજિક લડાઈ લડી રહ્યો છે. તે આર્થિક અને રોજગાર સ્તરે પછાત છે. તેઓએ મુસ્લિમોની ઉચ્ચ જાતિની સામે પોતાના અધિકારો માટે આંદોલન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે લખનૌમાં પસમન્દા મુસ્લિમોનું બૌદ્ધિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર વતી બ્રજેશ પાઠકે પણ ભાગ લીધો હતો.