કોરોનાને કહેરને લઇને દિલ્લીમાં આખરે લાગશે વીકેન્ડ કરફ્યૂ ,શનિવાર-રવિવારે બંધ રહેશે સમગ્ર દિલ્લી
DDMAની બેઠકમાં દિલ્હીમાં વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાઇવેટ ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ અપાશે મંજુરી
દિલ્લી (Delhi)માં કોરોના (Corona)ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) અને ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant)ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્લીમાં હવે વીકએન્ડ કર્ફ્યૂ (Weekend curfew)ની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે શનિવાર અને રવિવારે કોઈપણ બિનજરૂરી અવરજવરને મંજૂરી આપવામાં આવશે નહીં. પ્રાઇવેટ ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને જ અપાશે મંજુરી
DDMA દ્વારા વધુ નિયંત્રણો અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્લીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ-19 સંક્રમણમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્લીમાં 4,099 નવા કોવિડ કેસ નોંધાયા છે, જ્યારે સકારાત્મકતા દર વધીને 6.46 ટકા થઈ ગયો છે. દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સોમવારે કહ્યું કે ઓમિક્રોન હવે દિલ્લીમાં કોવિડ-19નું મુખ્ય સ્વરૂપ છે. જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 81 ટકા સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યા છે
દિલ્લીમાં 10 હજાર સક્રિય કેસ
દિલ્લીમાં લાગુ કરવામાં આવેલા વીકએન્ડ કર્ફ્યૂ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્લીમાં લગભગ 10 હજાર સક્રિય કેસ છે. લગભગ 350 લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 124 લોકો ઓક્સિજન સપોર્ટ પર છે, જ્યારે 7 લોકો વેન્ટિલેટર પર છે. તેમણે કહ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે જ હોસ્પિટલ જાઓ. મનીષ સિસોદિયાએ કહ્યું કે આજે ડીડીએમએની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
મેટ્રો અને બસો સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે
મનીષ સિસોદિયાએ કહ્યું કે સરકારી ઓફિસોમાં કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ અથવા ઓનલાઈન મોડમાં કામ કરવું જોઈએ. ખાનગી ક્ષેત્રમાં 50 ટકા ક્ષમતા પર કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મેટ્રો સ્ટેશન અને બસ સ્ટેશન પર ઘણી ભીડ હોય છે. તેથી નિર્ણય લેવામાં આવ્યો છે કે બસ અને મેટ્રો સંપૂર્ણ ક્ષમતા સાથે ચલાવવામાં આવશે, પરંતુ માસ્ક પહેરવું જરૂરી રહેશે. તેમણે કહ્યું કે ખોરાક, તબીબી અને ઇમરજન્સી જેવી આવશ્યક સેવાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
નાઇટ કર્ફ્યૂ પહેલેથી જ અમલમાં છે
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) હેઠળ પહેલેથી જ યલો એલર્ટ છે, જેમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યાની વચ્ચે નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ, જીમ અને સિનેમાઘરોને બંધ રાખવા સહિત અન્ય નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. દિલ્લીમાં વીકએન્ડ અને નાઇટ કર્ફ્યૂને જોડીને, શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી દિલ્લીમાં બિન-જરૂરી કામ અને લોકો બહાર જવા પર પ્રતિબંધ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ટોચના સૂત્રોનું કહેવું છે કે જાન્યુઆરીના મધ્ય સુધીમાં દિલ્લીમાં એક દિવસમાં 20 થી 25 હજાર કેસ નોંધાઈ શકે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો થઈ શકે છે.
આ પણ વાંચોઃ વોટની તાકાતથી મણિપુર બદલ્યું, નોર્થ ઈસ્ટમાં ભળ્યો વિકાસનો રંગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી