‘આત્મસમર્પણ નહીં’, અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના બે નેતા આવ્યા સામસામે
અમેરિકા ઈરાન યુદ્ધની આંચ ભારતના વિપક્ષ સુધી પહોંચી ગઈ છે. કોંગ્રેસના બે વરિષ્ઠ નેતા ઈરાન યુદ્ધ પર એક ટિપ્પણીને લઈને જાહેરમાં પત્રો દ્વારા એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. પહેલા મણિશંકર ઐયરે શશી થરૂરની વિદેશ નીતિવાળી ટિપ્પમી પર સવાલ ઉઠાવ્યા તો હવે જવાબ શશી થરૂર તરફથી પણ સામે આવ્યો છે.

ઈરાન જંગ વચ્ચે એક તરફ જ્યા કોંગ્રેસ પાર્ટી સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવી રહી છે. તો બીજી તરફ વિદેશ નીતિના મુદ્દે જ પાર્ટીના બંને નેતા આમને સામને છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંક ઐયરને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે હવે વળતો જવાબ આપ્યો છે. જો કે કોંગ્રેસના કેટલાક નેતા તરફથી થોડા સમય પહેલા જ કહેવાયુ કે મણિશંકર ઐયર હવે પાર્ટીનો હિસ્સો નથી.
આ દરમિયાન સતત તેના દ્વારા પાર્ટીના અલગ અલગ નેતાઓ પર તેઓ પ્રહાર કરતા રહે છે. હાલમાં જ મણિશંકર ઐયરે કોંગ્રેસ સાંસદ શશી થરૂરની વિદેશ નીતિ પર ટિપ્પણી કરી સવાલ ઉઠાવતા એક પત્ર લખ્યો હતો. આ પત્ર ફ્રન્ટલાઈન મેગેઝિનમાં પણ છપાયો છે. આ જ મુદ્દે શશી થરૂરે જવાબ આપ્યો છે.
કોંગ્રેસના લોકસભા સાંસદ શશિ થરૂરે મણિશંકર ઐયરને સંબોધીને એક પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, “શ્રી ઐયર, લોકશાહીની સુંદરતા એ છે કે લોકો અલગ અલગ મંતવ્યો રાખી શકે છે. અસંમત થવામાં કંઈ ખોટું નથી. પરંતુ કોઈના ઇરાદા કે દેશભક્તિ પર પ્રશ્ન ઉઠાવવો એ યોગ્ય નથી કારણ કે તેઓ વિદેશ નીતિને થોડી અલગ રીતે જુએ છે. મારા વિચારો અને મારા પાત્ર વિશે તમારી જાહેર ટિપ્પણીઓએ જવાબ આપવો જરૂરી બનાવ્યો છે.”
શશિ થરૂરે આગળ લખ્યું, “મેં હંમેશા આંતરરાષ્ટ્રીય બાબતોને ભારતના રાષ્ટ્રીય હિતના દ્રષ્ટિકોણથી જોયા છે. મારા માટે, ભારતની સુરક્ષા, ભારતનું અર્થતંત્ર અને વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા સર્વોપરી છે. વિશ્વની રાજકીય વાસ્તવિકતાઓને સમજવી અને ભારતના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા એ ‘મોરલ સરેન્ડર’ નથી – તે જવાબદાર સ્ટેટક્રાફ્ટ છે.”
તેમણે આગળ લખ્યું કે દેશભક્તિ એ કોઈ એક પેઢીનું વિશિષ્ટ ક્ષેત્ર નથી. કે કોઈ એક જૂથને ગાંધી કે નેહરુને સમજવાનો વિશિષ્ટ અધિકાર નથી. સાચો આદર આજના સમયની વાસ્તવિકતાઓને સમજવામાં અને તેમના વિચારોને લાગુ કરવામાં રહેલો છે. ઐતિહાસિક રીતે, ભારત વારંવાર કોઈ દેશના ખોટા કાર્યોની જાહેરમાં નિંદા કરવાનું ટાળતું આવ્યું છે કારણ કે તે તેના પોતાના રાષ્ટ્રીય હિતોમાં મૂળ ધરાવે છે. ઉદાહરણ તરીકે, સોવિયેત યુનિયન સાથેના આપણા સંબંધો એટલા મહત્વપૂર્ણ હતા કે ભારતે હંગેરી, ચેકોસ્લોવાકિયા અને અફઘાનિસ્તાનના મુદ્દાઓમાં પણ ખૂબ જ સંતુલિત વલણ અપનાવ્યું હતું.
કોંગ્રેસના સાંસદે લખ્યું હતું કે મારી વિદેશ યાત્રાઓ વિશે કરવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. જ્યારે અમે ઓપરેશન સિંદૂર પછી વિશ્વ સમક્ષ ભારતનો અભિપ્રાય રજૂ કર્યો, ત્યારે મારો સંદેશ સ્પષ્ટ હતો: ભારત બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ. પરંતુ શાંતિનો અર્થ નબળાઈ નથી. જો આતંકવાદ આપણા લોકોના જીવ લે છે, તો ભારત કડક જવાબ આપશે. મને સબરીમાલા મુદ્દા પર તમારી ટીકા પણ થોડી વિચિત્ર લાગી. એક તરફ, તમે મારા ખોટા વિચારો માટે મારી ટીકા કરો છો, અને બીજી તરફ, તમે તે જ મુદ્દા પર પાર્ટીના નિર્ણય પર અડગ રહેવા બદલ મારી ટીકા કરો છો.
મારી જન્મ તારીખ વિશેની ટિપ્પણી પણ આ ચર્ચા સાથે સંબંધિત નથી. મહાત્મા ગાંધીનું સન્માન કરવા માટે કોઈએ તેમના ખોળામાં રમવું જરૂરી નથી. મેં ગાંધી અને નેહરુ વિશે વિસ્તૃત રીતે લખ્યું છે, અને તેમનો આદર મારા વિચારોમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે. કોંગ્રેસ પ્રમુખ પદ માટે મારી ચૂંટણીમાં તમારા સમર્થન બદલ હું આભારી છું. અને જ્યારે તમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે મેં પણ તમારા સમર્થનમાં વાત કરી હતી. મને આનંદ છે કે તે નિર્ણય પછીથી ઉલટાવી દેવામાં આવ્યો હતો. તમારી તાજેતરની ટિપ્પણીઓને કારણે જવાબ આપવો જરૂરી બન્યો, તેથી હું તે કરી રહ્યો છું.
