ટી. રાજાના નિવેદન પર હોબાળો યથાવત, આગચંપી બાદ તોફાનીઓએ પોલીસની સામે પોકાર્યા શિરચ્છેદના નારા
પ્રોફેટ મુહમ્મદ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહ દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને બુધવારે રાત્રે હૈદરાબાદના શાલીબંદા ખાતે વિરોધ કરવા મોટી ભીડ એકઠી થઈ હતી.
હૈદરાબાદના (Hyderabad) શાલીબંદા વિસ્તારમાં ગઈ મોડી રાત્રે કેટલાક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રસ્તા પર ઉતરી આવેલા લોકોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં ભારે સૂત્રોચ્ચાર કરવાની સાથે તોડફોડ અને આગ લગાડી હતી. પોલીસે સમજાવવા છતાં તેઓ કોઈ વાત સ્વીકારવા તૈયાર ના હતા. હોબાળો મચાવતા લોકોએ ફરી એકવાર પોલીસની સામે ‘શિરચ્છેદ’ના નારા લગાવ્યા હતા. હકીકતમાં, ટોળું ભાજપના નેતા ટી. રાજા સિંહના (T Raja Singh) જામીનનો વિરોધ કરી રહ્યું હતું. પરંતુ આ દરમિયાન તેમણે કાયદો પોતાના હાથમાં લીધો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. હૈદરાબાદ પોલીસે હોબાળો મચાવનારા અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે.
રાજાને જામીન મળ્યાં
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહે પ્રોફેટ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતો 10 મિનિટનો વીડિયો જાહેર કર્યો હતો, જે પછી તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ભારે હોબાળો થયો હતો. રાજાને તે જ દિવસે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, જો કે, કોર્ટે મંગળવારે તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો હતો. દબીરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સસ્પેન્ડેડ નેતા ટી રાજા સિંહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A, 295 અને 505 હેઠળ તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
ભાજપની કાર્યવાહી
ભાજપે રાજાના નિવેદનને ફગાવી દીધું અને કહ્યું કે તેમની ટિપ્પણી પાર્ટી લાઇનની વિરુદ્ધ છે. રાજાના કરાયેલા સસ્પેન્શન પત્રમાં લખવામાં આવ્યું છે કે, “તમે ભારતીય જનતા પાર્ટીના બંધારણના નિયમ રહેલી વિવિધ બાબતો પર પાર્ટીની સ્થિતિ વિશે વિપરીત વિચારો વ્યક્ત કર્યા છે. જે પાર્ટીના બંધારણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.’ અગાઉ, બીજેપીએ તેના બે રાષ્ટ્રીય પ્રવક્તા – નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના નેતા નવીન જિંદાલને – પ્રોફેટ વિરુદ્ધ સમાન ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા.