કોરોનાના નવા વેરીઅન્ટ ઓમીક્રોનને ધ્યાનમાં રાખીને ભારત આવતા યાત્રીઓ માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
સાઉથ આફ્રીકામાંથી મળી આવેલા કોરોનાના આ નવા વેરીઅન્ટને WHOએ ઝડપી ફેલાતો વેરીયન્ટ ગણાવ્યો છે. જેના કારણે સમગ્ર વિશ્વમાં ભય અને ચિંતાનો માહોલ છે, દરેક રાષ્ટ્ર સત્વરે તકેદારીના પગલા લઈ રહ્યું છે.
કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) દ્વારા ઊભા થયેલા જોખમને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મુસાફરી માર્ગદર્શિકામાં સુધારો કર્યો અને વધુ જોખમ ધરાવતા દેશોના પ્રવાસીઓ માટે કોવિડ પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. સુધારેલા નિયમો અનુસાર 12 ‘જોખમ ધરાવતા દેશો’ના મુસાફરોએ પોસ્ટ-અરાઈવલ કોવિડ ટેસ્ટ કરાવવો પડશે અને એરપોર્ટ પર પરિણામોની રાહ જોવી પડશે.
જો પેસેન્જરનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને 7 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરવું પડશે. અપડેટ કરાયેલ માર્ગદર્શિકા જણાવે છે કે આઠમા દિવસે તેમની ફરીથી તપાસ કરવામાં આવશે અને જો તેઓ નેગેટિવ જોવા મળે છે તો તેમણે આગામી 7 દિવસ સુધી સ્વ-નિરીક્ષણ કરવું પડશે.
#Omicron: Union Health Ministry revises guidelines for international arrivals in India to be effective from Dec 1; mandates submitting 14 days travel details, uploading negative RT-PCR test report on Air Suvidha portal before the journey#COVID19 pic.twitter.com/oClkfcG3hT
— tv9gujarati (@tv9gujarati) November 28, 2021
સંબંધિત એરલાઈન્સે દરેક ફ્લાઈટમાં પરીક્ષણ કરવા માટે આવા પાંચ ટકા મુસાફરોની ઓળખ કરવી જોઈએ, ખાસ કરીને વિવિધ દેશોના આવા મુસાફરોને એરલાઈન અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ દ્વારા આગમન પર પરીક્ષણ વિસ્તારમાં લઈ જવામાં આવશે અને આવા મુસાફરોના પરીક્ષણનો ખર્ચ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવશે. SARS-CoV-2, Omicron (B.1.1.529)ના નવા વેરીઅન્ટના અહેવાલને ધ્યાનમાં રાખીને હાલની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે, જેને હવે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચિંતાજનક વેરીઅન્ટ ગણાવ્યું છે. તેમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
1 ડીસેમ્બરથી લાગુ થશે નવી માર્ગદર્શિકા
ભારતમાં આંતરરાષ્ટ્રીય યાત્રા કરીને આવતા મુસાફરો માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકા 1 ડિસેમ્બરથી લાગુ થશે. માર્ગદર્શિકા જણાવે છે કે પ્રવાસીઓએ છેલ્લા 14 દિવસની તેમની મુસાફરીની વિગતો પણ સબમિટ કરવી પડશે અને તેમની મુસાફરી શરૂ કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર નેગેટીવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવો પડશે.
સંબંધિત એરલાઈન્સ/એજન્સી દ્વારા પ્રવાસીઓને ટિકિટ સાથે શું કરવું અને શું નહીં કરવું તે માર્ગદર્શિકા પણ આપવામાં આવશે અને એરલાઈન્સ ફક્ત એવા મુસાફરોને જ બોર્ડિંગની મંજૂરી આપશે, જેમણે એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ ભર્યું છે અને નેગેટીવ RT-PCR ટેસ્ટ રીપોર્ટ અપલોડ કર્યુ છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે મુસાફરોને 14 દિવસ માટે એરપોર્ટમાંથી બહાર નીકળવાની અને સ્વ-નિરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં દરેક ફ્લાઈટમાં 5 ટકા મુસાફરોને આગમન પર નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પરીક્ષણ માટે રેન્ડમલી પસંદ કરવામાં આવશે.
આટલા દેશોનો સમાવેશ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં કરવામાં આવ્યો
નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડૉ. વીકે પૉલ, વડાપ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વિજય રાઘવન અને આરોગ્ય, નાગરિક ઉડ્ડયન અને અન્ય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સહિત વિવિધ નિષ્ણાતો સાથે બેઠક યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોના પરીક્ષણ અને દેખરેખ અંગેની માનક ઓપરેટિંગ પ્રક્રિયાની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ખાસ કરીને એવા દેશો માટે કે જેને વધુ જોખમી ગણવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સક્રિય અભિગમ અપનાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાની યોજનાઓની સમીક્ષા કરી હતી અને લોકોને વધુ સાવચેત રહેવા વિનંતી કરી હતી તેના એક દિવસ પછી આ જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાનની બેઠક બાદ રવિવારે સવારે 11.30 વાગ્યે ગૃહ સચિવની અધ્યક્ષતામાં તાકીદની બેઠક યોજાઈ હતી.
સુધારેલી માર્ગદર્શિકા મુજબ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં યુનાઈટેડ કિંગડમ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, હોંગકોંગ અને ઈઝરાયેલ સહિતના યુરોપના દેશોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી દેખા દીધી, મુંબઈને અડીને આવેલા ભિવંડીના વૃદ્ધાશ્રમમાં 69 લોકોને થયો કોરોના