પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવા મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સાંસદ પદ થયુ રદ્દ ,લોકસભામાં એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર
આજે લોકસભામાં TMC સાંસદ મહુઆ મોઈત્રા સાથે જોડાયેલા કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ રજૂ થયા બાદ વિપક્ષી સાંસદોએ ભારે હંગામો પણ કર્યો. રિપોર્ટ પર ચર્ચા બાદ ધ્વનિમતથી વોટિંગ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન વિપક્ષી સાંસદોએ વોકઆઊટ પણ કર્યુ. ત્યારબાદ રિપોર્ટ મંજૂર રાખવામાં આવી. એથિક્સ કમિટીએ રજૂ કરેલો રિપોર્ટ ચર્ચા બાદ મંજૂર રાખવામાં આવ્યો અને સાંસદ મહુઆ મોઈત્રાની સંસદની સદસ્યતા રદ થઈ ગઈ છે.
![પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવા મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાનું સાંસદ પદ થયુ રદ્દ ,લોકસભામાં એથિક્સ કમિટીનો રિપોર્ટ મંજૂર](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/mahua-moitra-.jpg?w=1280)
‘કેશ ફોર ક્વેરી’ મામલે TMC સાંસદ મહુઆ મોઈત્રાની સંસદની સદસ્યતા રદ થઈ ગઈ છે. લોકસભામાં ગુરુવારે કેશ ફોર ક્વેરી મામલે એથિક્સ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટ પર ચર્ચા બાદ ધ્વનિ મતથી મતદાન થયુ. વિપક્ષી સાંસદોએ આ દરમિયાન વોક આઉટ કર્યુ. ત્યારબાદ રિપોર્ટ મંજૂર થઈ ગઈ. એથિક્સ કમિટીએ તેના રિપોર્ટમાં મહુઆ સામેના આરોપોને ગંભીર ગણાવ્યા. સાથે જ સંસદની સદસ્યતા રદ કરવાની માગ કરી હતી. રિપોર્ટ પર ચર્ચા દરમિયાન ટીએમસી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોએ મહુઆ મોઈત્રાને બોલવાનો મોકો આપવાની માગ કરી. જો કે ભાજપના સાંસદોએ આ માગનો વિરોધ કર્યો અને સ્પીકર આ માગ પર રાજી ન થયા.
મહુવા સામે પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપ લાગ્યા હતા. સાથે જ મહુઆ પર તેમના મિત્ર હિરાનંદાણીને સંસદની લોગઈન આઈડી અને પાસવર્ડ શેર કરવાનો પણ આરોપ લાગ્યો હતો. એથિક્સ કમિટીએ આરોપોને યોગ્ય બતાવ્યા. સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યુ કે જો સદન સમિતિના નિષ્કર્ષને સ્વીકારવામાં આવે છે તો સાંસદ મહુઆ મોઈત્રાનું આચરણ એક સાંસદ તરીકે અનૈતિક અને અશોભનિય હતુ. આથી તેને સાંસદ તરીકે ચાલુ રાખવા યોગ્ય નથી.
એથિક્સ કમિટીના રિપોર્ટ પર કોંગ્રેસના સાંસદ મનિષ તિવારી વ્યક્ત કરી નારાજગી
રિપોર્ટ રજૂ થયા બાદ સંસદમાં વિપક્ષી સાંસદોએ જોરદાર હંગામો કર્યો અને નારા લગાવ્યા. હંગામાને જોતા લોકસભાની કાર્યવાહી 2 દિવસ સુધી સ્થગિત કરી દેવામાં આવી. સદનની કાર્યવાહી શરૂ થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ તેના પર ચર્ચા કરવા માટેને સમય આપ્યો. બપોરના 2 વાગ્યાથી એથિક્સ કમિટીના રિપોર્ટ પર ચર્ચા શરૂ થઈ ગઈ. આ દરમિયાન કોંગ્રેસ સાંસદોએ પૂછ્યુ કે મહુઆ મોઈત્રા પર એક્શન આટલુ જલ્દી કેમ? કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ કહ્યુ “મહુઆને તેનો પક્ષ રાખવાનો પુરો મોકો મળવો જોઈએ. કમિટી એ કેવી રીતે નક્કી કરી શકે કે સાંસદનું શું સજા આપવી જોઈએ. તેનો નિર્ણય તો સદન કરશે. આ ન્યાયના અધિકારની વિરુદ્ધ છે.”
મનિષ તિવારીની આપત્તિ પર ઓમ બિરલાએ કહ્યુ “આ સદન છે કોર્ટ નથી- ના તો હું જજ છુ, હું લોકસભા સ્પીકર છુ’
મહુઆને બોલવાની તક મળવી જોઈએ – TMC
TMC એ માગ કરી કે મહુઆને સદનમાં બોલવાની તક મળવી જોઈએ. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યુ, ફેર ટ્રાયલ થવી જોઈએ. સદસ્યતા રદ કરતા પહેલા મોઈત્રાને બોલવાનો મોકો મળવો જોઈએ. તેમને સાંભળ્યા વિના નિષ્પક્ષ તપાસ કેવી રીતે થઈ શકે. તેમણે કહ્યુ આ બંધારણનો ભંગ છે. હિરાનંદાણીની પૂછપરછ નથી કરવામાં આવી.
ભાજપનો જવાબ- મહુઆ એ માની આઈડી શેર કરવાની વાત
ભાજપના સાંસદ હિના ગાવિતે જણાવ્યુ કે મહુઆએ પૈસા લઈને સંસદમાં સવાલ પૂછ્યા. મહુઆને તેની વાત રાખવાનો પુરો સમય મળ્યો. મે 2 કલાકમાં સંપૂર્ણ રિપોર્ટ વાંચ્યો. મહુઆએ સ્વીકાર્યુ કે તેમની આઈડી આપી હતી. હિરાનંદાનીના આ નિવેદનને નોંધવામાં આવ્યુ છે. આ ઘટનાને કારણે સમગ્ર સદન અને સાંસદોની છબી દેશ અને દુનિયાભરમાં ખરાબ થઈ છે. કોઈ દ્રૌપદીનું ચીરહરણ કરી રહ્યુ છે. અલગ અલગ દેવીઓના નામ લેવાઈ રહ્યા છે. અમે સાંસદના નાતે અહીં બેઠા છીએ. અમે અમારા સંસદીય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. તેના પ્રશ્નો ઉઠાવીએ છીએ. ના કે કોઈ ખાનગી વ્યક્તિ સાથે જોડાયેલા વ્યક્તિગત સવાલ કરવા આવે છે.
આ પહેલીવાર નથી, 2005માં જે દિવસે રિપોર્ટ આવ્યો હતો એ જ દિવસે 10 સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હતા
ભાજપના સાંસદ પ્રહલાદ જોષીએ કહ્યુ આ જ સદનમાં પશ્ચિમ બંગાળના સોમનાથ ચેટરજી જ્યારે સ્પીકર હતા. ત્યારે 10 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે સાંસદોને સમય ન આપવામાં આવ્યો, ત્યારે તેમણે કહ્યુ કે તમામ સાંસદોને એથિક્સ કમિટી સામે વાત રાખવાનો સમય આપવામાં આવ્યો હતો. એવામાં હવે અનુમતી આપવાનો સવાલ નથી ઉઠતો.