આ ચૂંટણી બંધારણ બચાવવા માટેની હતી: રાહુલ, વાયનાડ-રાયબરેલી બન્નેમાંથી કઈ બેઠક રાખશે ?
રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણ દેશની પરંપરા અને ઈતિહાસની રક્ષા કરે છે. આ વખતે ચૂંટણી બંધારણ બચાવવાની હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ બંધારણ બદલવાની વાત કરે છે. રાહુલે કહ્યું કે કેરળ અને ઉત્તર પ્રદેશની સાથે સાથે સમગ્ર દેશની જનતાએ આ વખતે પીએમ મોદી અને અમિત શાહને કહી દીધુ છે કે, તેઓ કોઈના પર હુકમ ચલાવી શકે નહી.

કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી જંગી જીત મેળવનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આજે 12 જૂન બુધવારે કેરળ પહોંચ્યા હતા. જ્યાં તેણે મલપ્પુરમના એડવાન્નામાં રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં યુડીએફના કાર્યકરો અને સમર્થકો હાજર રહીને રાહુલના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. નવા ચૂંટાયેલા સાંસદે પણ હાથ મિલાવીને સૌનું અભિવાદન કર્યું હતું. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાહુલની આજની કેરળ રાજ્યની પ્રથમ મુલાકાત છે.
રાહુલ ગાંધીએ વાયનાડથી સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. ચૂંટણી પરિણામો બાદ રાહુલ ગાંધી વાયનાડના લોકોનો આભાર વ્યક્ત કરવા અહીં પહોંચ્યા છે. મલપ્પુરમની સાથે રાહુલ વાયનાડની પણ મુલાકાત લેશે અને ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. તેમણે મલપ્પુરમમાં સભાને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન મંચ પર હાજર તમામ નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાહુલે પોતાની ભવ્ય જીત બદલ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
‘બંધારણ દેશની પરંપરા અને ઈતિહાસનું રક્ષણ કરે છે’
પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન તેમને સમર્થન આપનારા તમામ લોકોનો તેઓ હૃદયપૂર્વક આભાર માને છે. તેમણે કહ્યું કે બંધારણ દેશની પરંપરા અને ઈતિહાસનું રક્ષણ કરે છે. તેમણે કહ્યું કે જો સંવિધાન ખતમ થઈ જશે તો અહીં આવનારા લોકો કહેશે કે તેઓ મલયાલમ સાંભળવા નથી માંગતા અને ન તો તેઓ અહીંના ભોજન અને પરંપરાઓને સ્વીકારશે.
વધુમાં રાહુલે કહ્યું કે આ વખતે ચૂંટણી બંધારણ બચાવવા માટેની હતી. તેમણે કહ્યું કે એક તરફ દેશના લાખો લોકો છે જેઓ પોતાની પરંપરા, ઈતિહાસ, સંસ્કૃતિને ચાહે છે અને પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરવા માગે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ હતા જેઓ કહેતા હતા ના. રાહુલે કહ્યું કે પીએમ અને શાહ ઈચ્છે છે કે, જો તેઓ ઈચ્છે કે કેરળના લોકો હિન્દી બોલે તો તેમણે હિન્દીમાં જ બોલવુ પડશે, જો તેઓ ઈચ્છે છે કે તમિલ લોકો તમિલ છોડીને હિન્દી બોલે તો તેમણે પણ આવું કરવું પડશે.
‘ભાજપના નેતાઓએ બંધારણ બદલવાની વાત કરી હતી’
રાહુલે કહ્યું કે પીએમ અને શાહ પાસે રાજકીય તાકાત છે. તેની પાસે ED, CBI, IT જેવાની મદદથી તે લોકો પર રાજ કરતો હતા. પરંતુ કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર દેશના લોકોએ તેમને કહ્યું કે તેઓ કોઈના પર હુકમ ચલાવી શકે નહી. આ સાથે જનતાએ પણ તેમને કહ્યું કે બંધારણ તેમનો અવાજ છે, તેને હાથ ન લગાડો. રાહુલે કહ્યું કે ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ બંધારણ બદલવાની વાત કરી હતી, આ તેમને સત્તાનો ઘમંડ છે.
આ પહેલા, ગઈકાલ 11 જૂન મંગળવારના રોજ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાની જીત બદલ સૌનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. રાયબરેલીને ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. જ્યાંથી આ વખતે રાહુલ ગાંધી ચૂંટણી લડ્યા હતા. રાહુલે વાયનાડ અને રાયબરેલી બંને બેઠક પરથી જંગી જીત મેળવી છે. હવે આવી સ્થિતિમાં રાહુલ માટે લોકસભાની બેમાંથી એક બેઠક પસંદ કરવી એ મોટો પડકાર છે. માનવામાં આવે છે કે વાયનાડમાં આજે આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.