તેલંગાણાના કાકાતીયા રૂદ્રેશ્વર રામપ્પા મંદિરને(Kakatiya Rudreshwara Temple) યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સ્થાંન મળ્યું છે ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન જી. કિશન રેડ્ડી (Union Minister for Culture and Tourism G Kishan Reddy) એ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સમર્થન બદલ આભાર માન્યો.
કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાને પોતાના ટવીટમાં જણાવ્યું હતું કે મને એ જાણીને ખૂબ જ આનંદ થાય છે કે યુનેસ્કો (UNESCO)એ તેલંગાણાના રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ શિલાલેખ તરીકે સ્થાન આપ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સિદ્ધિ બદલ રાષ્ટ્ર વતી અને ખાસ કરીને તેલંગાણાની જનતા વતી હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. તેમના માર્ગદર્શન અને સમર્થનના કારણે જ રામપ્પા મંદિરને આજે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત જી.કે. રેડ્ડીએ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) ની પુરી ટીમને અભિનંદન આપ્યા અને વિદેશ મંત્રાલયનો આભાર પણ માન્યો.
વડાપ્રધાને પણ ટ્વિટ કરીને પાઠવી હતી શુભકામના
જણાવી દઈએ કે, રામપ્પા મંદિરને વર્લ્ડ હેરીટેજ તરીકે સમ્માન મળ્યું એ માટે વડાપ્રધાને પણ ટ્વિટ કરીને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે તેમણે લોકોને એક વખત રામપ્પા મંદિરના દર્શન કરવા માટે આગ્રહ પણ કર્યો હતો.
ટ્વિટમાં તેમણે કહ્યું કે, આ સિધ્ધિ બદલ દરેકને, ખાસ કરીને તેલંગાણાના લોકોને અભિનંદન. પ્રસિધ્ધ રામપ્પા મંદિર, મહાન કાકાતીયા વંશની ઉત્કૃષ્ટ શિલ્પ કલાને દર્શાવે છે. હું આપ સૌને આ ગૌરવશાળી મંદિરમાં જઈને તેની ભવ્યતાનો અનુભવ કરવાનો આગ્રહ કરૂ છુ.
13 મી સદીમાં બનાવાયું હતું આ મંદીર
તેલંગાણાના વારંગલમાં સ્થિત આ શિવ મંદિર એકમાત્ર એવું મંદિર છે, જેનું નામ તેના શિલ્પકાર રામપ્પાના નામ પર રાખવામાં આવ્યું છે. ઇતિહાસમાં જાણવાં મળ્યું છે તે મુજબ, કાકાતીયા વંશના રાજાએ 13 મી સદીમાં આ મંદિર બનાવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન બાંધવામાં આવેલા મોટાભાગના મંદિરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે, પરંતુ આ મંદીરની ખાસ વાત એ છે કે ઘણી કુદરતી આફતો પછી પણ આ મંદિરને કોઈ ખાસ નુકસાન થયું નથી. આ સંશોધનનો વિષય પણ રહ્યો છે.
મંદિરના ઇતિહાસની વાત કરીએ તો, તે કાકાતીયા નરેશ રૂદ્ર રેડ્ડી દ્વારા 1213 માં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણ દરમિયાન સારી કોતરકામ અને અદ્યતન ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરનો પ્રભાવશાળી પ્રવેશદ્વાર, છત પર વિશાળ સ્તંભો અને શિલાલેખો આકર્ષણનું કેન્દ્ર છે.
આ પણ વાંચો : Corona Vaccine: શું હવે લેવો પડશે રસીનો બુસ્ટર ડોઝ, જાણો આ વિશે ડો. રણદીપ ગુલેરીયાએ શું કહ્યું
Published On - 10:22 pm, Mon, 26 July 21