મહિલા ઉપર રોફ જમાવતા શ્રીકાંત ત્યાગીના જામીન ના મંજૂર, હવે નસીબમાં છે જેલ
શ્રીકાંત ત્યાગીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાગીના વકીલ સુશીલ ભાટીએ બુધવારે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
નોઇડાની (Noida) કોર્ટે, મહિલા સાથે દુર્વ્યવહાર કરનાર (Abuse of women), ગેરકાયદે બાંધકામ, છેતરપિંડી સહિતના વિવિધ કેસોના આરોપી શ્રીકાંત ત્યાગીની (Srikanth Tyagi) જામીન અરજી ફગાવી દીધી છે અને એક મહિલા સાથે દુર્વ્યવહાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. શ્રીકાંત ત્યાગીની મંગળવારે યુપીના મેરઠ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં શ્રીકાંત ત્યાગીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યાગીના વકીલ સુશીલ ભાટીએ બુધવારે કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે આજે જામીન અરજી ફગાવી દીધી હતી. હવે શ્રીકાંત ત્યાગીને જેલવાસ ભોગવવો પડશે.
ઉલ્લેખનીય છે કે નોઈડાના સેક્ટર 93-બી (Sector 93-B of Noida) સ્થિત ઓમેક્સ સોસાયટીમાં રહેતી એક મહિલાએ શ્રીકાંત ત્યાગી દ્વારા સોસાયટીમાં નિયમોના ઉલ્લંઘનનું કારણ આપીને કેટલાક વૃક્ષો વાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ ત્યાગીએ આ મહિલા સાથે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો અને અપશબ્દો બોલીને ધક્કો પણ માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.
શ્રીકાંત ત્યાગી પોતાને ભાજપ સાથે જોડાયેલા ગણાવે છે
શ્રીકાંત ત્યાગી પોતાને ભાજપ સાથે જોડાયેલા ગણાવે છે, જ્યારે પાર્ટીએ તેમનાથી અંતર રાખ્યું છે. આ મામલે વિપક્ષી પાર્ટીઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે. વિરોધ પક્ષોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથેની ત્યાગીની કથિત તસવીરો પણ શેર કરી છે.
ત્યાગીની ધરપકડમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ભજવી મહત્વની ભૂમિકા – પોલીસ
સસ્પેન્ડેડ ફેઝ-2 પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ સુજીત ઉપાધ્યાયે આરોપી શ્રીકાંત ત્યાગીને પકડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સસ્પેન્ડ થવા છતાં ઉપાધ્યાયે હાર માની નહીં અને ત્યાગીની ધરપકડ કરવા માટે ત્રણ રાજ્યોમાં ભટકતા રહ્યા. નોઈડા પોલીસે ત્યાગી પર 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
નિરાશાથી ઘરે બેસી રહેવાને બદલે ગુનેગાર પકડ્યો
પોલીસ કમિશનરે જણાવ્યું કે, શ્રીકાંતની ધરપકડમાં સુજીત ઉપાધ્યાયે મહત્વની ભૂમિકા ભજવી છે. સસ્પેન્ડ થયા બાદ નિરાશ થઈને ઘરે બેસી રહેવાને બદલે તેણે ગુનેગારને પકડવા માટે રાત-દિવસ એક કર્યા. તેથી, તે ઉત્તર પ્રદેશ પોલીસના મહાનિર્દેશક અને અધિક મુખ્ય સચિવ ગૃહ દ્વારા પુરસ્કારના હકદાર બન્યા છે.