નકવી અને આરપી સિંહના રાજીનામા બાદ સ્મૃતિ ઈરાનીને લઘુમતી મંત્રાલય અને જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો હવાલો
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહે રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી (Mukhtar Abbas Naqvi) અને રામચંદ્ર પ્રસાદ સિંહના રાજીનામા બાદ તેમના સ્થાને બે મંત્રીઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને (Jyotiraditya Scindia) તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે સ્મૃતિ ઈરાનીને (Smriti Irani) તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ બાદ મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહે કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે.
જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહે રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થવાના એક દિવસ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. આ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશ અને લોકોની સેવા કરવા બદલ બંને નેતાઓની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનની પ્રશંસા એ સંકેત તરીકે જોવામાં આવી હતી કે આજે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠક બંને નેતાઓ માટે છેલ્લી હતી. રાજ્યસભાના સભ્ય તરીકે બંને નેતાઓનો કાર્યકાળ 7 જુલાઈ એટલે કે ગુરુવારે પૂરો થઈ રહ્યો છે.
તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણીમાં ભાજપ દ્વારા નકવીને નામાંકિત કરવામાં આવ્યા ન હતા. આરસીપી સિંહ જનતા દળ યુનાઈટેડના ક્વોટામાંથી કેન્દ્ર સરકારમાં મંત્રી હતા. તેમને પણ જેડીયુ દ્વારા આગામી કાર્યકાળ આપવામાં આવ્યો નથી. સિંઘે સ્ટીલ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. નકવી કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન હતા. તેઓ રાજ્યસભામાં ભાજપના ઉપનેતા છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી તેમને મોટી જવાબદારી આપી શકે છે.
રામપુર લોકસભા સીટ પરથી જીત્યા, બે વખત કર્યો હારનો સામનો
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પ્રયાગરાજના રહેવાસી છે. જોકે, તેમણે રામપુરને પોતાનું રાજકીય ક્ષેત્ર બનાવ્યું છે. રામપુર રાજ્યની એકમાત્ર લોકસભા બેઠક છે, જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા 50 ટકાથી વધુ છે. આ સીટ પર નકવી હંમેશા એક્ટિવ રહે છે. નકવી આ હોટ સીટ પરથી વર્ષ 1998માં લોકસભાની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે, જોકે ત્યારબાદ તેમને બે વખત ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.