સંસદમાં ગૂંજ્યો ગુજરાતમાં સર્જાયેલી તારાજીનો મુદ્દો, શક્તિસિંહે કહ્યુ ઠેકઠેકાણે આડેધડ ગેરકાયદે બાંધકામ કરી દેવાતા પાણીનો નિકાલ થતો નથી- Video
ગુજરાતમાં આવેલી વરસાદી તારાજીનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે આજે રાજ્યસભામાં ગુજરાતના પૂરનો મુદ્દો ઉઠાવ્યો. શક્તિસિંહે સરકાર પર સીધો આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચારને કારણે યોગ્ય ડ્રેનેજની વ્યવસ્થા ન થતા દર વર્ષે તારાજી સર્જાય છે.
ગુજરાતમાં સર્જાયેલી વરસાદી તારાજીનો મુદ્દો આજે રાજ્યસભામાં ગૂંજ્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર્સમાં ગુજરાતના પૂરનો મુદ્દો ઉઠાવ્યો. શક્તિસિંહે જણાવ્યુ કે ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. દર વર્ષે વરસાદી પૂરને કારણે જનજીવનને માઠી અસર પહોચે છે, ગુજરાતનો ઘેડ પંથક દર ચોમાસે જળબંબાકાર થઈ જાય છે અને દર વર્ષે ખેડૂતોનો પાક બર્બાદ થઈ જાય છે. પાક તો છોડો અહીંના સ્થાનિકોને દર વર્ષે આવતા પૂરને કારણે પારાવાર નુકસાની વેઠવી પડે છે. વર્ષોથી ઘેડમાં પૂરની સમસ્યા છે પરંતુ તેનો કોઈ ઉકેલ લાવવામાં સરકારને જાણે રસ નથી.
“ભ્રષ્ટાચારને કારણે ચોમાસા પહેલા ડ્રેનેજનું કામ યોગ્ય રીતે ન થયું”
વધુમાં શક્તિસિંહે જણાવ્યુ કે ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક બરબાદ થાય છે. ભ્રષ્ટાચારને કારણે ચોમાસા પહેલા ડ્રેનેજનું કામ યોગ્ય રીતે ન થયુ. સ્ટ્રોન ડ્રેનેજ વોટરનું ચોમાસા પહેલા જે કામગીરી થવી જોઈએ તેમાં નર્યો ભ્રષ્ટાચાર થાય છે અને કામગીરી યોગ્ય રીતે થતી નથી. આથી વરસાદી પાણીના નિકાલનુ કામ થતુ જ નથી. કુદરતી રીતે જે પાણીનો નિકાલ થવો જોઈએ તે સત્તાધિશોની રહેમનજર હેઠળ થયેલા ગેરકાયદે બાંધકામોને કારણે થઈ રહ્યો નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઈમાં રેસક્યુ, રિલિફ અને રિહેબિલીટી, જેમા શોધખોળ અને બચાવ, રાહત કામગીરી અને પૂનર્વાસનો સમાવેશ છે. પરંતુ ગુજરાતના પૂર પીડિતો માટે આ ત્રણ પૈકી કંઈ જ થઈ રહ્યુ નથી.
“ગુજરાતમાં આડેધડ બાંધકામો ખડકી દેવાથી પાણી નિકાલની જગ્યા ન રહી”
શક્તિસિંહે જણાવ્યુ કે જુની પરંપરા રહી છે કે જેને જે કંઈપણ નુકસાન થયુ હોય એ નુકસાનીનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત સંપૂર્ણ રીતે સહાય આપવામાં આવતી હતી. ખાસ કરીને જે રોજમદાર વર્ગ છે જે રોજેરોજનું કમાઈને ખાય છે. તેમને કેશડોલ્સ આપવાની જોગવાઈ છે. પરંતુ ગુજરાતમાં આ રોજમદાર શ્રમિકોને જે રીતે કેશડોલ્સ મળવી જોઈએ તે મળતી નથી.
ભાજપનો પલટવાર, 6 વર્ષે શક્તિસિંહને ઘેડ કેમ યાદ આવ્યુ?
શક્તિસિંહે સરકાર પર આરોપ લગાવ્યો કે આડેધડ બાંધકામો ખડકી દેવાથી પાણીના નિકાલ માટેની જગ્યા રહી નથી. ગુજરાતમાં પૂર પ્રભાવિત લોકો માટે ભાજપ સરકારે કંઈ કર્યુ નથી. શક્તિસિંહના આ પ્રહાર પર ભાજપે પલટવાર કર્યો. ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે શક્તિસિંહ પર નિશાન તાક્યું અને આરોપ લગાવ્યો કે 6 વર્ષે શક્તિસિંહને કેમ ઘેડ પંથક યાદ આવ્યો. તેઓ કોંગ્રેસને ખોટી રાજનીતિ નહીં કરવાની પણ સલાહ આપી.