RSS અને મોહન ભાગવતે ટ્વીટર પર પ્રોફાઈલ ફોટો બદલ્યો, લગાવ્યો ત્રિરંગો
સંઘે પોતાના સંગઠનનો ધ્વજ હટાવી લીધો અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચર પર રાષ્ટ્રધ્વજ લગાવી દીધો. ઠાકુરે કહ્યું કે આરએસએસના કાર્યકરો 'હર ઘર ત્રિરંગા' અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ સ્વતંત્રતા દિવસ પહેલા શુક્રવારે તેના ટ્વીટર હેન્ડલની પ્રોફાઈલ તસવીર બદલી છે. તેણે પોતાની પ્રોફાઈલ તસવીર પર તિરંગો (Indian National Flag) લગાવ્યો છે. આરએસએસ ઉપરાંત આરએસએસ ચીફ મોહન ભાગવતે (Mohan Bhagwat) પણ પોતાનો પ્રોફાઈલ પીક બદલ્યો છે. તેમણે સંગઠનનો ધ્વજ પણ હટાવીને પોતાના ડીપી પર ત્રિરંગો લગાવી દીધો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ પ્રોફાઈલ તસવીરમાં ફેરફાર ન કરવા બદલ આરએસએસ અને મોહન ભાગવતની આકરી ટીકા કરી હતી.
કોંગ્રેસના નેતા અને પ્રવક્તા પવન ખેરાએ આરએસએસ અને તેના વડા મોહન ભાગવતના પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ શેયર કરતા ટ્વિટ કર્યું, “સંઘના લોકો, હવે ત્રિરંગો અપનાવો.” સંઘનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ મહિને ટ્વિટ કર્યું હતું. શરૂઆતમાં, તેમણે પૂછ્યું કે શું સંગઠન, જેણે 52 વર્ષથી નાગપુરમાં તેના મુખ્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નથી, તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના ડીપી પર ત્રિરંગો મૂકવાની વડાપ્રધાનની વિનંતી પર ધ્યાન આપશે?
‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં ભાગ લેતા RSS કાર્યકર્તાઓ
આરએસએસના પ્રચાર વિભાગના સહ-પ્રભારી નરેન્દ્ર ઠાકુરે શુક્રવારે કહ્યું કે સંઘ તેના તમામ કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. સંઘે પોતાના સંગઠનનો ધ્વજ હટાવી લીધો અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઈલ પિક્ચર પર રાષ્ટ્રધ્વજ લગાવી દીધો. ઠાકુરે કહ્યું કે આરએસએસના કાર્યકરો ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે.
આવી બાબતો પર રાજનીતિ ન થવી જોઈએ
અગાઉ, આરએસએસના પ્રચાર વિભાગના વડા સુનીલ આંબેકરે કહ્યું હતું કે આવી બાબતોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આરએસએસ પહેલાથી જ ‘હર ઘર ત્રિરંગા’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમોને સમર્થન આપી ચૂક્યું છે. જણાવી દઈએ કે દેશ આઝાદીના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે.
13થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન
આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેમની ‘પ્રોફાઈલ’ પિક્ચર પર ત્રિરંગો લગાવવાની વિનંતી કરી છે. કેન્દ્ર સરકારે તેના ‘હર ઘર ત્રિરંગા’ કાર્યક્રમના ભાગરૂપે લોકોને 13થી 15 ઓગસ્ટ દરમિયાન તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા પ્રદર્શિત કરવા વિનંતી કરી છે.