કોંગ્રેસ છોડી જનારા લોકો RSSના માણસો હતા, ભાજપના ‘ફેક ન્યૂઝ’થી ડરશો નહીં: Rahul Gandhi
રાહુલ ગાંધીએ જીતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પર નિશાન સાધ્યું હતું જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીના સોશિયલ મીડિયા સેલમાં નવા ભરતી થયેલા સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. તેમણે ભાજપના “ફેક ન્યૂઝ” થી ડરવાનું નહીં તેવું કહ્યું હતું. દેશમાં કોરોનાની સ્થિતિ અન સંચાલન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનોનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પીએમ મોદી (PM modi) કોવિડના સંચાલન માટે યુપી સરકારની પ્રશંસા કરે છે ત્યારે લોકો હસે છે.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, ચીન સાથે સરહદ વિવાદ અંગે વડા પ્રધાનનું નિવેદન હાસ્યાસ્પદ છે. તેમણે દાવો કર્યો હતો કે ચાઇના ભારતીય પ્રદેશ (LAC નજીક) હજી ઉપસ્થિત છે. તેમણે કહ્યું કે, લોકોએ ભાજપના બનાવટી સમાચારો પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું છે.
આ સિવાય કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટી છોડીને જનારાને RSSના માણસો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ”લોકો નિડર છે, તેઓ આપણા છે, તેમને અંદર લાવો. જેઓ આપણે ત્યાં ડરી રહ્યા છે તેઓને બહાર કાઢો. જો તમે આરએસએસના છો તો જાઓ અને આનંદ કરો, તમારી જરૂર નથી. આપણને નીડર લોકોની જરૂર છે. આ આપણી વિચારધારા છે.”
આ નિવેદનની સાથે રાહુલ ગાંધીએ જીતિન પ્રસાદ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓ પર નિશાન સાધ્યું હતું જેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ સાથે જ તેમણે પક્ષના નારાજ નેતાઓને પરોક્ષ રીતે સંદેશ મોકલવાનો પ્રયાસ પણ કર્યો હતો. સિંધિયાનું ઉદાહરણ આપતા કહ્યું કે, “તેમણે પોતાનું ઘર બચાવવું પડ્યું, તેઓ ડરી ગયા અને આરએસએસ સાથે જતા રહ્યા.”
એક એહેવાલ અનુસાર પહેલી વાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ઓનલાઈન માધ્યમ દ્વારા પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગના 3,500 કાર્યકરોને સંબોધન કર્યું હતું. સૂત્રોના કહેવા અનુસાર રાહુલ ગાંધીએ આ સમયગાળા દરમિયાન આશરે 10 યુવા કાર્યકરો સાથે વાતચીત કરી હતી.