Jammu Kashmir: શ્રીનગર એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, મોટા ગુનાઓમાં સંડોવાયેલા 2 આતંકવાદીઓનો ખાત્મો
પોલીસ રેકોર્ડ મુજબ માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પોલીસ / એસએફ પરના હુમલાઓ અને નાગરિક અત્યાચાર સહિતના અનેક આતંકી પ્રવૃતીઓમાં સંડોવાયેલા જૂથોનો ભાગ હતા.
જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) શુક્રવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. સુરક્ષા દળોને આતંકીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા બંને આતંકીઓ લશ્કર-એ-તૈયબાના હોવાનું કહેવાઈ રહ્યું છે. એકની ઓળખ નઝીર અહેમદ સોફીના પુત્ર ઇરફાન અહેમદ સોફી અને બીજાની મંજૂર અહેમદ ભટનો પુત્ર બિલાલ અહેમદ ભટ તરીકે થઈ છે. બંને નાટીપોરા શ્રીનગરના રહેવાસી છે અને ડિસેમ્બર-2020 થી સક્રિય છે.
સુરક્ષા દળોને જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓન છુપાયા હોવાના સમાચાર મળ્યા હતા. માહિતી મળતાની સાથે જ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન આતંકવાદીઓને વારંવાર આત્મસમર્પણ કરવાની તકો આપવામાં આવી હતી પરંતુ, તેમની બાજુથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં પોલીસ અને સીઆરપીએફની (CRPF) ટીમે જવાબી કાર્યવાહી કરી અને બંને આતંકીઓને ઠાર માર્યા હતા.
પોલીસ રેકોર્ડ મુજબ માર્યા ગયેલા બંને આતંકવાદીઓ પોલીસ / એસએફ પરના હુમલાઓ અને નાગરિક અત્યાચાર સહિતના અનેક આતંકી પ્રવૃતીઓમાં સંડોવાયેલા જૂથોનો ભાગ હતા. બંને હત્યા કરાયેલા આતંકવાદીઓએ 14 ડિસેમ્બર 2020 ના રોજ નાટીપોરા ખાતે પીડીપી નેતાના પીએસઓની હત્યા કરી હતી. લવેપોરા ખાતે સીઆરપીએફ (CRPF) 73 બી.એન. ના આર.ઓ.પી. પર હુમલો પણ કર્યો હતો. જ્યારે પોલીસકર્મીઓ, એસ.એફ. અને નાગરિકો પર શ્રેણીબદ્ધ હુમલામાં પણ સંડોવાયેલા હતા.
આ આતંકવાદીઓને કારણે આ વર્ષે 25 માર્ચે સીઆરપીએફના બે જવાન શહીદ થયા હતા. આ ઉપરાંત 17 જૂને તેણે સૈદપોરા સ્થિત નિવાસસ્થાન નજીક રજા ગાળવા આવેલા પોલીસ અધિકારી સીટી જાવિદ અહેમદ પર હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. 22 જૂને મેંગનવારી નૌગામમાં ઇન્સ્પેક્ટર પરવેઝ અહેમદ પર હુમલો થયો હતો જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આઈજીપી (IGP) કાશ્મીરે પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત દળોને આ મોટી સફળતા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ અને સીઆરપીએફની મદદથી બે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા.