પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ, TMC ના 50 ધારાસભ્યો અને 12 સાંસદો બળવાના મૂડમાં
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાની હકાલપટ્ટી બાદ હવે 50 ધારાસભ્યો મમતા બેનર્જીનો સાથ છોડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કરારી હાર વેઠ્યા બાદ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સપાટી પર આવી ગયો છે. પક્ષના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટીએમસીમાં નેતા વિપક્ષની નિમણૂકને લઈને ભારે વિવાદ સર્જાયો છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે પક્ષ હવે બે ભાગમાં વહેંચાવાની અણી પર આવીને ઊભો છે.
50 ધારાસભ્યો અને 12 સાંસદો કરી શકે છે બળવો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીએમસીના એક મોટા વર્ગના ધારાસભ્યો હવે પક્ષમાંથી હાંકી કઢાયેલા નેતા ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે સમર્થન આપવાની તૈયારી કરી રહ્યા છે. એટલું જ નહીં, ઋતબ્રત બેનર્જીના જૂથના 50 ધારાસભ્યો મમતા બેનર્જીનો સાથ છોડી શકે છે. આ સાથે જ ટીએમસીના 12 સાંસદો ભાજપમાં જોડાવા અથવા તેમને સમર્થન આપવાની ગણતરી કરી રહ્યા છે અને બીજા 5 થી 6 સાંસદો પણ પક્ષ બદલવાની યાદીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પહેલા 100 થી વધુ ટીએમસી કાઉન્સિલરો (પાર્ષદો) ઓલરેડી રાજીનામું આપી ચૂક્યા છે.
શું છીનવાઈ જશે પક્ષનું નામ અને પ્રતીક?
રાજકીય વિશ્લેષકોનું માનીએ તો જો આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો અને સાંસદો બળવો કરશે, તો તૃણમૂલ કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ જશે. આવી સ્થિતિમાં ‘અસલી ટીએમસી કોણ?’ તેવો મોટો કાયદાકીય સવાલ ઊભો થશે. પરિણામે મમતા બેનર્જી પાસેથી પક્ષનું નામ અને તેનું ચૂંટણી પ્રતીક (સિમ્બોલ) પણ છીનવાઈ શકે છે, જેવું તાજેતરમાં આપણે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીના કિસ્સામાં જોઈ ચૂક્યા છીએ.
કોની સામે છે નારાજગી?
સૂત્રોનું કહેવું છે કે નારાજ ધારાસભ્યોની નારાજગી સીધી મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે નથી, પરંતુ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની કામ કરવાની શૈલીને લઈને પક્ષના ઘણા નેતાઓ અસંતુષ્ટ છે. આ જ કારણે ટીએમસીમાં બે અલગ-અલગ જૂથો સક્રિય બન્યા છે. મમતા બેનર્જીએ તાજેતરમાં કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાને 80 ધારાસભ્યોની બેઠક બોલાવી હતી, જેમાંથી માત્ર 20 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા. આ ગેરહાજરી પક્ષના નેતૃત્વ માટે ચિંતાનો વિષય બની છે.
કોણ છે ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહા?
ઋતબ્રત બેનર્જી પહેલા ડાબેરી પક્ષ (સીપીઆઈ-એમ) માં હતા અને 2014 માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા, પરંતુ 2017 માં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના કારણે તેમને ત્યાંથી પણ હાંકી કઢાયા હતા. બાદમાં તેઓ ટીએમસીમાં આવ્યા હતા. જ્યારે સંદીપન સાહા ટીએમસીના પૂર્વ ધારાસભ્ય સ્વર્ણકમલ સાહાના પુત્ર છે અને કોલકાતાના એન્ટાલીથી ચૂંટણી લડ્યા હતા. ટીએમસીએ આ બંને નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેઓ કોલકાતાની એક હોટેલમાં 50 થી વધુ ધારાસભ્યોના સંપર્કમાં હોવાનું અને મમતા બેનર્જી સામે રણનીતિ બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
