સમાનતાના પ્રતિકનુ અનાવરણ : PM મોદી હૈદરાબાદમાં વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમાનું કરશે અનાવરણ
શ્રી રામાનુજાચાર્યની 1,000મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે 1035 યજ્ઞ અને સામૂહિક મંત્ર જાપ જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સહિત અનેક કાર્યક્રમો યોજાનાર છે
Statue of Equality: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 5 ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદમાં 11મી સદીના સમાજ સુધારક અને સંત રામાનુજાચાર્યની (Saint Ramanujacharya) 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. ચિન્ના જેયર સ્વામીજીના આશ્રમ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ પ્રતિમાને વિશ્વની બીજી સૌથી મોટી પ્રતિમા જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ મોટી પ્રતિમા શહેરની બહારના ભાગમાં લગભગ 45 એકરના કોમ્પ્લેક્સ વિસ્તારમાં પથરાયેલી છે.
સુવર્ણ પ્રતિમાનું રાષ્ટ્રપતિ કરશે અનાવરણ
ઉલ્લેખનીય છે કે, 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 120 કિલો વજનની રામાનુજની આંતરિક ચેમ્બરની સુવર્ણ પ્રતિમાનું પણ અનાવરણ કરશે.ચિન્ના જીયર સ્વામીએ જણાવ્યુ હતુ કે , “અમે મુખ્ય મહેમાનો, મહાનુભાવો, ભક્તો અને સમાનતાની પ્રતિમાના ભવ્ય ઉદઘાટન માટે દરેકનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ભગવદ રામાનુજાચાર્ય હંમેશા સમાનતાના સાચા પ્રતિક તરીકે રહ્યા છે. વર્ષો બાદ આ પ્રોજેક્ટ સુનિશ્ચિત કરશે કે તેમના ઉપદેશોનો ઓછામાં ઓછા બીજા 1,000 વર્ષ સુધી અભ્યાસ કરવામાં આવે.”
સમાનતાની પ્રતિમા વિશે મહત્વની બાબતો
– આઉટડોર 216-ફૂટ સ્ટેચ્યુ ઓફ ઈક્વાલીટી વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમા હશે. જેમાં રામાનુજને બેસવાની મુદ્રા દર્શાવવામાં આવ્યા છે.
– આ પ્રતિમા સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસત જેવી પાંચ ધાતુઓના મિશ્રણથી બનેલી છે.
– શ્રી રામાનુજાચાર્યના આંતરિક ગર્ભગૃહ સંતના પૃથ્વી પર વિતાવેલા 120 વર્ષોની યાદમાં આ પ્રતિમા બનાવાવમાં આવી.
– 1,000 કરોડના આ પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે ભક્તોના દાન દ્વારા ભંડોળ પૂરુ પાડવામાં આવ્યુ હતુ.
– સંકુલમાં 108 દિવ્ય દેશમ, 108 સુશોભિત કોતરણીવાળા વિષ્ણુ મંદિરો છે. જેનો ઉલ્લેખ અલ્વાર, રહસ્યવાદી તમિલ સંતોના કાર્યોમાં કરવામાં આવ્યો છે.
શ્રી રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિ
શ્રી રામાનુજાચાર્યની 1,000મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે 1035 યજ્ઞ અને સામૂહિક મંત્ર જાપ જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સહિત અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમો 2 ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિવિધ રાજકીયપક્ષના નેતાઓ, રાજકારણીઓ, સેલિબ્રિટી અને અભિનેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : PM મોદી સોમનાથ મંદિર પાસે બનેલા સર્કિટ હાઉસનું આજે કરશે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ઘણી સુવિધાઓથી છે સજ્જ