વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના મંત્રીઓ પાડોશી દેશો યુક્રેન (Ukraine) , રોમાનિયા, હંગેરી, પોલેન્ડ જશે, જ્યાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જે મંત્રીઓને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે તેમાં કાયદા મંત્રી કિરણ રિજિજુ, હરદીપ પુરી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને જનરલ વીકે સિંહ સામેલ છે. આ મંત્રીઓ ભારતના વિશેષ દૂત તરીકે જઈ રહ્યા છે. તેમને ત્યાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભારતીય નાગરિકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને સ્થળ પર જ દૂર કરી શકાય. બેઠક દરમિયાન જમીનની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar), વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. મામલા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે પીએમની બેઠક 2 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. બેઠકમાં પીએમએ કહ્યું કે અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને તેમને યુક્રેનમાંથી બહાર કાઢવા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ ઉપરાંત, યુક્રેનના પડોશી દેશો સાથે ઝડપથી સ્થળાંતર કરવા માટે સહયોગ વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા પુતિન સાથે કરી હતી વાતચીત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને હિંસા બંધ કરીને વાતચીત શરૂ કરવાની અપીલ કરી હતી. આ પહેલા ગુરુવારે પણ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠક મળી હતી. જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા મંત્રીઓએ ભાગ લીધો હતો.