UTTAR PRADESH : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ વારાણસી (VARANASI) રેલવે સ્ટેશન પર નવા એક્ઝિક્યુટિવ લાઉન્જનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન સાથે આ લાઉન્જ સામાન્ય રેલ મુસાફરો માટે ખોલવામાં આવ્યું છે જેને IRCTC દ્વારા વિકસાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર એવા વારાણસીનો વિકાસ વિદેશી પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ માટે IRCTC એ ફી નક્કી કરી છે, જેને ચૂકવીને યાત્રીઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.
મુસાફરોને કઈ સુવિધાઓ મળશે?
દેશના પ્રખ્યાત યાત્રાધામ વારાણસી શહેરના પ્રવેશદ્વાર વારાણસી રેલવે સ્ટેશન પર વિશ્વકક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જ્યાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લે છે. ઉત્તર રેલવે સમય -સમય પર આ સુવિધાઓમાં સુધારો કરી રહી છે. આ ક્રમમાં વારાણસી રેલવે સ્ટેશન પર એક નવું અને અત્યાધુનિક એક્ઝિક્યુટિવ લાઉન્જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તે IRCTC દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે દેશની અગ્રણી આતિથ્ય અને પર્યટન કંપની છે અને તેનું સંચાલન પણ IRCTC દ્વારા કરવામાં આવશે.
તેનો ઉદ્દેશ પ્રસ્થાન પહેલા આવતા મુસાફરો માટે રાહ જોનારા મુસાફરોનો સમય અને આગમન પછી કોઈ કારણસર ત્યાં રોકાઈ જનારા મુસાફરોનો સમય સુખદ અને આરામદાયક બનાવવાનો છે. આ સુવિધાની ડિઝાઇન પૃથ્વી, આકાશ, હવા, અગ્નિ અને જળ આ પાંચ તત્વોની ભારતીય પ્રણાલી પર આધારિત છે.
આ માટે ફી પણ ચૂકવવી પડશે
IRCTC ના મુસાફરોએ એક કલાક માટે 85/- ની એન્ટ્રી ફી ટેક્સ સાથે અને એક કલાક બાદ દર કલાક માટે રૂ.60 અને ટેક્સ ચૂકવવો પડશે. આમાં મુસાફરો માટે આરામદાયક બેઠક, WIFI ઈન્ટરનેટ સુવિધા, પુસ્તકો અને સામયિકોનું છૂટક વેચાણ, કોમ્પ્લીમેન્ટરી ચા, કોફી અને રિફ્રેશિંગ પીણાં જેવી ઘણી સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.
આ લાઉન્જમાં મુલાકાતીઓ સંગીત, WIFI ઇન્ટરનેટ કનેક્શન, ટીવી, રેલ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, ગરમ અને હળવા પીણાં, વિવિધ પ્રકારના ભોજન, લગેજ રેક વગેરેનો આનંદ માણી શકે છે. આ ઉપરાંત કપડાં ધોવા અને બદલવાની સુવિધાઓ, શૂ-શાઇનર્સ, અખબારો અને સામયિકો, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ફોટોસ્ટેટ અને ફેક્સ સુવિધાઓ સાથે સંપૂર્ણ કાર્યરત બિઝનેસ સેન્ટર્સ અને ટિકિટ બુકિંગ, હોટલ અને કેબ્સ માટે ટ્રાવેલ ડેસ્કની પણ સુવિધા મળશે.
આ પણ વાંચો : વારાણસીમાં PM મોદીની લોકોને ખાસ અપીલ, કહ્યું- લોકલ ચીજવસ્તુઓ જ ખરીદો, બધાની દિવાળી ખુશીઓથી ભરાઈ જશે