દેશભરમા 1.13 કરોડમાંથી 8.75 ટકા લોકોને સિકલ સેલનો રોગ, ગુજરાતમાં સૌથી વધુ કેસ, લોકસભામાં સરકારે રજુ કર્યા આંકડાઓ
ગુજરાતમાં 86,44,928 લોકોની તપાસ કરવામાં આવી, જેમાંથી 29,266 લોકોને સિકલ સેલ રોગ ( SCD ) અને 7,29,561 લોકોને સિકલ સેલ રોગના લક્ષણો ( SCT ) જણાયા હતા, જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે.
લોકસભામાં રજૂ કરાયેલા સરકારી આંકડા અનુસાર, દેશભરમાં તપાસવામાં આવેલા 1.13 કરોડ લોકોમાંથી 8.75 ટકા લોકોમાં સિકલ સેલ રોગ (sickle cell disease – SCD) અને સિકલ સેલના લક્ષણ (SCT) મળી આવ્યા છે. સિકલ સેલ રોગ (SCD) વંશપરંપરાગત રક્ત વિકૃતિઓનું એક જૂથ છે, જ્યાં લાલ રક્તકણો સખત અને ચીકણા બને છે અને સિકલ જેવા દેખાય છે. આ કોશિકાઓ સરળતાથી હલનચલન કરતી નથી અને શરીરના બાકીના ભાગમાં લોહીના પ્રવાહને જતો અવરોધે છે.
સિકલ સેલના લક્ષણ SCT એવા લોકોમાં થાય છે જેમની પાસે પહેલેથી જ એક સિકલ સેલ જનીન અને એક સામાન્ય જનીન હોય છે. આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી રેણુકા સિંહ સરુતા દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મુજબ, અત્યાર સુધીમાં 27 રાજ્યોમાં 1,13,83,664 લોકોની SCD અને SCT માટે તપાસ કરવામાં આવી છે. આમાંથી 9,49,057 લોકોને SCT અને 47,311 લોકોને SCD છે.
ગુજરાતમાં સૌથી વધુ લોકોને SCD-SCT ગુજરાતમાં 86,44,928 લોકોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 29,266 લોકોને SCD અને 7,29,561 લોકોને SCT જણાયુ હતુ, જે દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે. ઓડિશામાં, પરીક્ષણ કરાયેલા 1,30,561 લોકોમાંથી 21.80 ટકા લોકો SCD અથવા SCT ધરાવે છે. આંકડાઓ બતાવે છે કે મહારાષ્ટ્રમાં પરીક્ષણ કરાયેલા 13,71,758 લોકોમાંથી 1,69,191 ને SCT અને 14,141 ને SCD છે.
દેશભરમાં તેનો વ્યાપ 5 ટકાથી 34 ટકા છે આ એક આનુવંશિક રક્ત સંબધિત રોગ છે જે ખાસ કરીને મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. જો કે, આદિવાસી વસ્તીમાં સિકલ સેલ રોગનો રાજ્યવાર વ્યાપ દર નિશ્ચિતપણે જાણીતો નથી. કારણ કે આ પ્રકારનો કોઈ આંકડાકીય વિગતોને કેન્દ્રિય રીતે જાળવવામાં આવતો નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસો દર્શાવે છે કે દેશભરમાં તેનો વ્યાપ 5 ટકાથી લઈને 34 ટકા સુધીનો છે.
રાજ્યોને અપાયા છે 60 કરોડ રેણુકા સિંહ સરુતાએ લોકસભામાં જણાવ્યું હતું કે આદિજાતિ બાબતોના મંત્રાલયે સિકલ સેલના રોગની સારવાર અને રોગ સામે કામગીરી કરવા માટે 60 કરોડની રકમ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ OBC Bill: ઓબીસી અનામત અંગે રાજ્ય લઈ શકશે નિર્ણય, જાણો કેન્દ્ર સરકારના ઓબીસી બિલમાં શું છે ખાસ ?
આ પણ વાંચોઃ ભારતમાં રહેતા વિદેશી નાગરિકો પણ હવે કોરોના રસી મેળવી શકશે, CoWin પોર્ટલ પર કરાવવી પડશે નોંધણી