અમૃતપાલના 72 કલાક પછી પણ કોઈ સગડ નહીં, પાકિસ્તાન ભાગી જવાની સંભાવના
અમૃતપાલ સિંહની ધરપકડ પર સવાલ ઉઠાવનારા પંજાબના કેટલાક પત્રકારોના ટ્વિટર હેન્ડલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સિવાય કેનેડાના કેટલાક નેતાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ હજુ પણ પોલીસને ચકમો આપીને ફરાર છે. 72 કલાક બાદ પણ પોલીસને તેના કોઈ સગડ મળ્યા નથી. છેલ્લા ત્રણ દિવસથી અમૃતપાલની ધરપકડ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈ સફળતા મળી નથી. બીજી તરફ અમૃતપાલના સહયોગીઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે. સોમવારે તેના પાંચ નજીકના સાથીદારો પર રાષ્ટ્રિય સુરક્ષા ધારો (NSA) લાગુ કરવામાં આવ્યો છે.
અમૃતપાલના પાંચ નજીકના સંબંધીઓમાં તેના કાકા હરજીત સિંહનો પણ સમાવેશ થાય છે. જેમના પર પંજાબ પોલીસ દ્વારા રાસુકા લગાવવામાં આવ્યો છે. રવિવારે જલંધર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર અમૃતપાલના એક સહયોગી સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે. હરજીત સિંહ પાસેથી 32 બોરની લાયસન્સવાળી પિસ્તોલ અને એક લાખ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી.
TOIના અહેવાલ મુજબ, NSA હેઠળ કેસ નોંધાયેલાઓમાં અમૃતપાલ સિંહના પાંચ નજીકના સહયોગીઓમાંથી ચારને આસામની ગુવાહાટી જેલમાં ખસેડવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે અમૃતપાલ સિંહના પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે સંભવિત સંબંધો હોઈ શકે છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે, અમૃતપાલ સિંહ વેશ બદલીને નેપાળના માર્ગે પાકિસ્તાન ભાગી જઈ શકે છે.
આરોપીઓને આસામ જેલમાં મોકલાયા
રવિવારે રાત્રે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનાર હરજીત સિંહને પણ આસામ લઈ જવામાં આવ્યો છે. આ સિવાય પંજાબ પોલીસ ‘વારિસ પંજાબ દે’ સંગઠનના વધુ છ સભ્યોને આસામ લઈ જવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં, NSAની કલમ 5 રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે આરોપીઓને અન્ય રાજ્યની જેલોમાં શિફ્ટ કરવાની મંજૂરી આપે છે.
પંજાબ પોલીસના આઈજીપી (હેડક્વાર્ટર) સુખચૈન સિંહ ગિલે TOIને જણાવ્યું કે પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં છ કેસ નોંધ્યા છે. જેમાં લોકોમાં અશાંતિ પેદા કરવી, હત્યાનો પ્રયાસ, પોલીસ કર્મચારીઓ પર હુમલાનો સમાવેશ થાય છે.
પિતાએ પોલીસની વાતોને બનાવટી ગણાવી
બીજી તરફ અમૃતપાલ સિંહના પિતા તરસેમ સિંહે પોલીસની વાતોને બનાવટી ગણાવી છે. તરસેમનું કહેવું છે કે પોલીસ અમૃતપાલને બદનામ કરવા માટે આવી મનઘડત વાતો કહી રહી છે. અમૃતપાલ સિંહની ધરપકડ માટે પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર છે. રાજ્યમાં ઈન્ટરનેટ અને મેસેજિંગ સિસ્ટમ આજે મંગળવાર બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.